Friday, April 20, 2018

ઉપવાસ : કોઈનું માથું ખાવાની નિષ્ફળ રીત?

દિવ્યેશ વ્યાસ


‘ચતુરસેન, આજે મને આઇન્સ્ટાઇનનું એક વાક્ય યાદ આવ્યું અને પછી ખૂબ હસવું આવ્યું.’

‘તો હસી લેવાનું બકા! આપણી સરકાર એટલી દયાળુ છે કે તેણે હસવા પર, અરે ખડખડાટ હાસ્ય પર પણ હજુ સુધી જીએસટી લગાડ્યો નથી.’

‘એમ જાહેરમાં એકલા એકલા થોડું હસી શકાય? કોઈ ગાંડા ગણી લે.’

‘એવી ફિકર નહીં કરવાની ગાંડા! આઇન્સ્ટાઇને જ કદાચ કહેલું છે કે બુદ્ધિમત્તાનું માપ નીકળી શકે, પાગલપનને માપી શકાય નહીં. તું કેટલો પાગલ છે, એનો કોઈને અંદાજ જ નહીં આવે.’

‘અચ્છા તો તમે મને પાગલ ગણો છો? જવા દો, તમને તો ક્યાં કોઈ સારા જ લાગે છે... પેલો નેતા આવો, પેલા પ્રધાને આવી ભૂલ કરી, પેલા અધિકારીની અહીં ચૂક થઈ ગઈ, પેલા મંત્રીની દાનત નથી... અને હવે તો તમે કોર્ટ કે ન્યાયમૂર્તિઓને પણ છોડતા નથી... તમને તો આખી દુનિયા પાગલ જ લાગતી હશે.. બસ તમે એક જ ડાહ્યા, તમે જ સૌથી વધુ હોંશિયાર અને તમારાં અઢારેય અંગ ચતુર!’

‘જો દોસ્ત, પાગલ માણસનું પ્રથમ લક્ષણ એ છે કે તે પેટ્રોલ કરતાં પણ વધારે જ્વલનશીલ હોય છે, સાદી ભાષામાં નાની એવી વાતમાં તેનો ગુસ્સો તરત જ ભભૂકી ઊઠે છે. આ લક્ષણનો પુરાવો તો તે અત્યારે જ આપ્યો.’

‘મારા પાગલપનની માથાકૂટ છોડો, મને આઇન્સ્ટાઇનના કયા વાક્ય પર હસવું આવ્યું, એ તો પૂછો.’

‘ચાલો પૂછ્યું. હવે બોલો...’

‘આઇન્સ્ટાઇને તો કહેલુું કે ગાંધીજી જેવો હાડમાંસનો માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે, એવું આવનારી પેઢીઓ માનશે નહીં. જોકે, ગાંધીજીએ ઉપવાસ જેવા અહિંસક શસ્ત્રથી અંગ્રેજોને હંફાવ્યા હતા, એવું તો આજનીય પેઢી કદાચ માનવાનું છોડી દેશે.’

‘અણ્ણાના આમરણ ઉપવાસ પછી લાધેલું આ જ્ઞાન લાગે છે!’

‘આમાંય અણ્ણાને ઘુસાડ્યા? બહુ કરી! તમને કૉંગ્રેસીઓ અને રાહુલ ગાંધીના છોલેભટૂરેછાપ ઉપવાસ કે વડાપ્રધાન મોદી સહિત ભાજપીઓના ફાઇવસ્ટાર ઉપવાસ યાદ જ ન આવ્યા?’

‘હા, એમ તો પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસ પણ ક્યાં 48 કલાકેય ચાલ્યા?’

‘બસ, પ્રવીણભાઈના ઉપવાસ તરત યાદ આવી ગયા... તમારા જેવા દંભી સેક્યુલરિસ્ટોને તો શ્રી રામ જ પહોંચશે!’

‘ફાંકેરામ, તને કેટલી વખત સમજાવું કે શ્રી રામનો તો હું પરમ ભક્ત છું, પણ રામના નામે જે પથ્થરો તરવા મથે છે, તેનો જ વિરોધ કરતો હોઉં છું. હા, ગાંધીજીની વિચારધારાના વિરોધીઓ પણ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરે, એ જોઈને આનંદ થાય છે.’

‘પ્યોર ગાંધીવાદી અણ્ણાજી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરે ત્યારે કેમ તમને પેટમાં દુખવા માંડે છે?’

‘ના એવું નથી દોસ્ત! અણ્ણા માટે મને પણ માન છે. ખેર, તારી એ વાતમાં ચોક્કસ દમ છે કે ઉપવાસનું શસ્ત્ર હવે અસરકારક રહ્યું નથી.’

‘ઉપવાસ હવે ઉપહાસમાં જ પરિણમે છે.’

‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય, એમ ઉપવાસ પર ઊતરી જઈને ગાંધી માર્ગે ચડી ન શકાય. કોઈનું માથું ખાવા માટે તમે ઉપવાસ પર ઊતરો તો આ શસ્ત્ર નિષ્ફળ જ જાય! ઉપવાસ અંગે ગાંધીજીએ એક શાસ્ત્ર રચેલું છે, પણ એની કોને પડી છે?’

‘અહીં શાસ્ત્રની માથાકૂટમાં કોણ પડે, શૉ મસ્ટ ગો ઓન!’

(‘દિવ્ય ભાસ્કર’ના 20 એપ્રિલ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, April 6, 2018

સંતજન તો તેને કહીએ, જે સત્તા પચાવી જાણે રે!

દિવ્યેશ વ્યાસ



‘અણ્ણા અણ્ણા બહુ કરતો હતો, જોયું ને એમની કેવી હાલત થઈ?’ ફાંકેરામ આવ્યો કે તરત ચતુરસેને ઠપકો આપ્યો.

‘એ તો તમે પાંચ દિવસ ખાધા-પીધા વિના રહો પછી જોઈ લો, તમારી હાલત પણ કેવી થઈ જાય છે!’  ફાંકેરામે પ્રતિકાર કર્યો.

‘હું એ જ કહું છું, ખાયા-પીયા કુછ નહિ, ઔર ઇજ્જત ખો કે ઘર જાના!’

‘એમની ઇજ્જત તો હજું એવી ને એવી જ છે, ખોટી વાત ન કરો.’ ફાંકેરામ ઉશ્કેરાઈ ગયો.

‘એમની ઇજ્જત એવી ને એવી જ છે, પણ એ તારા હૃદયમાં બાકી જનતા કે સરકારે તેમને કોઠું ન આપ્યું. એમાંય મીડિયા અને સોશિયલ મીડિયામાં ‘લશ્કરમાંથી ભાગી આવેલા’થી માંડીને ‘ફૂટી ગયેલી બંદૂક’ ગણાવાયા હતા.’

‘મીડિયા અને પોલિટિક્સની વાત છોડો, તમારા દિલ પર હાથ મૂકીને કહો કે અણ્ણાનો મુદ્દો 2012માં પણ સાચો હતો અને 2018માં પણ સાચો જ છે કે નહીં?’

‘એમનો મુદ્દો સાચો છે, પણ એમનો સમય રહ્યો નથી, મારા મિત્ર! કાબે અર્જૂન લૂંટ્યો વહીં ધનુષ વહી બાણ...’

‘અણ્ણા હજારે એમ હારે એવા નથી, લોકપાલ નહીં નિમાય તો છ મહિના પછી ફરી આંદોલન કરશે.’

‘અણ્ણાજીએ જે રીતે સમાધાન કરી લીધું, એ જોતાં તેઓ હવે બીજી વાર આંદોલનની ‘ભૂલ’ કરે એવું મને લાગતું નથી. હા, અણ્ણા ખાદીનાં સફેદ વસ્ત્રો છોડીને જો ભગવા પહેરીને આંદોલન કરવાની વાત કરે તો કંઈક વાત બને.’

‘ભગવાથી ભડકી જનારા આજે ભગવાની પ્રેરણા શા માટે આપી રહ્યા છે?’ ફાંકેરામે ચતુરસેનની ફિરકી લેવાના અંદાજમાં કહ્યું.

‘પ્રેરણાની વાત નથી પાક્કા પુરાવાવાળી વાત છે. તેં સમાચાર ન સાંભળ્યા? મધ્ય પ્રદેશમાં બે ભગવાધારી બાબાઓ નર્મદા કૌભાંડ યાત્રા કાઢીને આંદોલન કરવાના હતા. આંદોલન કર્મ શરૂ પણ નહોતું થયું ત્યાં તો તેમને ફળ મળી ગયું! બે બાબાઓ સહિત બીજા પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો અપાયો. અણ્ણાજીની આબરૂ તો એવી છે કે ભગવા પહેરેલા હોય તો તો રાષ્ટ્રપતિ પદના દાવેદાર બની જાય!’

‘અણ્ણાજીની મજાક ન કરો પ્લીઝ! સંતોને સત્તા મળી, એમાં તમને કેમ પેટમાં દુખવા માંડે છે.’

‘સંતોને સત્તા મળે, એની સામે મારો વાંધો નથી, પરંતુ સંતો જે કૌભાંડોની વાતો કરતા હતા, જે મુદ્દો લઈને આંદોલન કરવાના હતા, એ તો હવે ભૂલી જ જવાનો ને? સંતો સત્તાની લાલચે મૌન રાખવા માંડશે તો આપણા સંતાવલંબી સમાજનું શું થશે?’

‘ચતુરસેન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ભજન બહુ જૂનું થયું, નવું લેટેસ્ટ ભજન આવ્યું છે, સંતજન તો તેને કહીએ જે સત્તા પચાવી જાણે રે!’

‘ફાંકેરામ, સત્તા પચાવે એમાં વાંધો નથી પણ આજકાલના સંતો પહેલાં જમીન પચાવે છે, પછી સંપત્તિ પચાવે છે, મોટા સંતો તો દેશની સાથે સાથે વિદેશની સાહ્યબી પણ પચાવી જાણે છે. કેટલાક સંતોની તાકાત તો એટલી વધારે છે કે તેમના હાથમાં આવે તો આખેઆખું રાજ્ય પણ પચાવી નાખે. તેમની પાચનશક્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 6 એપ્રિલ,  2018ના રોજ પ્રકાશિત વ્યંગ્ય કૉલમ  ‘ગાંડી કુકરીનું ડહાપણ’)