દિવ્યેશ વ્યાસ
(કાર્ટૂન ગૂગલ ઇમેજ પરથી ડાઉનલૉડ કરેલું છે.)
ફાંકેરામ આવ્યો ત્યારથી એક જ પંક્તિ ગાતો રહ્યો, ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ...’
‘આગળની પંક્તિ આવડતી નથી કે શું? તારું ભલું પૂછવું, બીજી પંક્તિ યાદ આવી જાય એટલે તો વારંવાર એક જ રેકર્ડ વગાડ્યા નથી કરતો ને?’
‘આ કોઈ સામાન્ય કાવ્યપંક્તિ નથી, આ કોઈ ફિલ્મના ગીતનું મુખડું નથી, આ તો મારો મહામંત્ર છે, મહામંત્ર!’ ફાંકેરામે જરાક ઘોઘરા અવાજે ગુજરાતી ફિલ્મના ચરિત્ર અભિનેતા જેવી સ્ટાઇલમાં જવાબ આપ્યો.
‘મહામંત્ર કોને કહેવાય એની તને કોઈ ગતાગમ છે? એવો કોઈ સવાલ પૂછીને હું મારો વખત બરબાદ કરવા માગતો નથી, પણ તને અચાનક આ મહામંત્રની ચાનક શા માટે ચડી, એનો કરી શકે તો ટૂંકમાં ખુલાસો કર.’
‘વાહ, આ મંત્રની અસર તો જોરદાર છે, લોકો મારી પાસેથી ખુલાસા પણ માગવા માંડ્યા છે!’
‘કોઈ ખુલાસો માગે એમાંય તને પ્રગતિના દર્શન થયા? તું કંઈક અવળે રસ્તે ચડી ગયો લાગે છે.’ ચતુરસેનના અવાજમાં સહેજ ચિંતા ઝળકી.
‘ચતુરસેન, હવે જ હું સાચા રસ્તે છું. કાલ સુધી મને મારું વાંઢાપણું ખુંચતું હતું, પણ હવે વાંઢા હોવાનું વહાલું લાગવા માંડ્યું છે. એકલા હોવાનો ગમ અચાનક મારા દિલોદિમાગમાંથી ગાયબ થઈ ગયો છે. સિંગલ છું અને એટલે જ અનેક સિદ્ધિઓ અને શિખરો મારો જ ઇંતેઝાર કરી રહ્યાં છે!’
‘ગાંડા, સિંગલ હોવાથી સફળ બનાતું હોત તો તું આજે અહીં હોત? તારા દિમાગમાં આવું ભૂંસું કોણે ભરાવ્યું?’
‘આજ સુધી હું સફળ ન થયો, કારણ કે મને સિંગલ હોવાનું સ્વસન્માન નહોતું, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે.’
‘શેની ખાતરી? મારા મગજની કાતરી તળવાનું છોડ ભાઈ!’
‘ચતુરસેન, તમે સમજો. દેશના વડાપ્રધાન જીદ કરીને સિંગલ રહ્યા છે. દેશના મુખ્યમંત્રીઓ પર નજર નાખો તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અપરિણીત છે, તેમની જેમ જ ઓડિશાના સીએમ નવીન પટનાયક, આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સિંગલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને ગોવામાં ફરી સત્તા સંભાળનારા મનોહર પરિકર વિધુર છે તો વસુંધરા રાજે અને મહેબૂબા મુફ્તિએ પણ ઘરસંસારથી મુક્તિ મેળવી લીધેલી છે. આ યાદીમાં તાજેતરમાં એક નવું નામ ઉમેરાણું છે - યોગી આદિત્યનાથનું... બોલો, સિંગલ હોય તો જલદી સત્તા મળે, એ વાત હવે તો તમારા ગળે ઊતરી કે નહીં?’
‘સિંગલ તો રાહુલ ગાંધી પણ છે અને તોય ચૂંટણી હારવાનો ગિનીસ રેકોર્ડ બનાવી રહ્યા છે!’ ચતુરસેને ફાંકેરામના ફુગ્ગામાં ટાંકણી ભોંકી દીધી.
‘હું રાહુલ ગાંધીજીની જેમ માત્ર સિંગલ જ રહેવાનો નથી, હું પણ યોગી આદિત્યનાથની જેમ ભગવા ધારણ કરવાનો છું... બોલો પછી તો સત્તા મળશે ને?’
‘ભગવા ધારણ કર્યા પછી પણ સત્તા મળશે કે નહીં ખબર નહીં, હા, યોગ્ય સંપ્રદાય પકડી લઈશ તો તમામ પ્રકારની સુખ-સમૃદ્ધિ જરૂર મળશે... તથાસ્તુ!’
(‘દિવ્ય ભાસ્કર’ના 24મી માર્ચ, 2017ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)