દિવ્યેશ વ્યાસ
ફાંકેરામ એની પ્રકૃતિ મુજબ ફૂટબૉલની જેમ કૂદતો કૂદતો આવી પહોંચ્યો. અલબત્ત, તેના કૂદકાઓમાં થાક વર્તાતો હતો. એ થાક શેનો હતો, એ ચતુરસેન સારી રીતે જાણતા હતા. આજકાલ મોટા ભાગના લોકોનાં બીજાં કોઈ કામો તો ચાલતાં નથી અને લોકો કયા એક જ કામમાં તન-મન લગાડી રહ્યાં છે, એનો ચતુરસેનને સ્વાનુભવ હતો એટલે તેઓ એ બાબતે મૌન રહ્યા. ચતુરસેનનું મૌન રહેવાનું બીજું એક કારણ એ પણ હતું કે આ મુદ્દે તેઓ કોઈના બખાળા સાંભળવા માનસિક રીતે તૈયાર નહોતા.
ચતુરસેને સાવ સામાન્ય મુદ્દે વાત શરૂ કરી, ‘શિયાળો બેસી ગયો. હવે સાંજ પડ્યે ઠંડી લાગવા માંડી છે નહીં?’
‘ઠંડી? મને તો ધ્રુજારી આવે છે, ધ્રુજારી....!’ પોતાની વાતને અનુરૂપ હાવભાવ દર્શાવવાની કળા એ હમણાં હમણાં શીખી ગયો છે, એનો પુરાવો ફાંકેરામના અવાજની સાથે સાથે ધ્રૂજતાં તેના શરીર પરથી આવતો હતો.
‘ઓ ભાઈ, બહુ ધ્રુજારીઓ આવતી હોય તો ભુવો બની જા, પણ અહીં ગુસ્સો ઉતારવાનું રહેવા દે...’
‘હા, હવે તો ભુવા કે સાધુ-બાવા બની જશું તો જ સુખ અને શાંતિ બન્ને મળશે, એવું લાગે છે.’
‘સુખ-શાંતિની સાથે સમૃદ્ધિ પણ અને એ પણ કોઈ રંગ વિનાની!’ ચતુરસેનથી બોલતાં તો બોલાઈ ગયું પણ વળી બીક પેઠી કે ક્યાંક કાળાં-ધોળાં રૂપિયાના મામલે ફાંકેરામ બબાલ ન શરૂ કરી દે એટલે આગોતરું જ પૂર્ણવિરામસભર વાક્ય ઉચ્ચાર્યું, ‘ફાંકેરામ, બેન્કવૈરાગ્યમાંથી બહાર નીકળ, સૌ સારાં વાનાં થઈ જશે.’
‘સારાં વાનાં કે સારા દિવસોની તો વાત જ ન કરશો. મોંઘવારી મારતી હતી, હવે નોટબંધી પછી મંદી મારશે!’ ફાંકેરામને જાણે ચિંતાનો તાવ ચડ્યો.
‘ફાંકેરામ, બસ કર, બહુ થયું, નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી! પંદરેક દિવસથી તો નોટની જ રામાયણ અને નોટની જ મહાભારત વગર સંજયદૃષ્ટિએ જોયા કરું છું. હવે તો કંટાળો આવે કે નહીં!’ ફાંકેરામની ધ્રુજારીનો ચેપ ચતુરસેનને પણ લાગ્યો.
‘નોટની રામાયણના રામ કે મહાભારતના શ્રીકૃષ્ણ દેખાય તો જરા અમને પણ બતાવજો!’
‘ફાંકેરામ, આ નોટોની રામાયણ અને મહાભારતનો કંટાળો જ એટલે આવે છે કે અહીં કાળાં નાણાં ધરાવતાં કૌરવો છે, વગર કારણે દંડાતા પાંડવો છે, શકુનીઓનો તો કોઈ તોટો નથી, અનેક સીતામાતાઓ બેન્કવનમાં જાણે બંધક બની છે, દુર્યોધનો મોટા મોટા વહીવટો કરે છે, લક્ષ્મણો બેન્ક બહાર ખાર ખાઈ રહ્યા છે, અક્ષૌહિણી સેના જાણે લાઈનો લગાવી બેઠી છે. અટ્ટહાસ્યો સંભળાય છે પણ રાવણને કોઈ જોઈ શકતું નથી, અર્જુનો વિષાદ કરે છે, પણ સારથિરૂપે સુપંથે દોરી જતાં શ્રીકૃષ્ણ કે સુશાસનના પર્યાય સમા શ્રીરામ ક્યાંય નજરે પડતાં નથી!’
(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 25 નવેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)