દિવ્યેશ વ્યાસ
ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’
‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’
‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’
‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’
‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’
‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’
‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’
‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’
‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’
‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’
‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’
‘બોલ શું કન્ફ્યુઝન છે?’
‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’
‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’
‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’
(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)