Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, December 9, 2016

લાઇનલેસ ઇન્ડિયાનાં લપસણાં સપનાંઓ

દિવ્યેશ વ્યાસ


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)


‘એશ કરો કે ટેસ કરો, દેશ બનશે કેશલેસ રે,
છાશ પીવો કે વાઇન, દેશ બનશે લાઇનલેસ રે...’
બેન્કની બહાર લાઇનમાં ઊભેલા ફાંકેરામે 10 નંબરી ટોકનને પંપાળતાં પંપાળતાં તાજો શેર ફટકાર્યો.

‘આવો વાહિયાત શેર તો તારો જ હશે ને?’

‘ચતુરસેન, આ શેરને વાહિયાત ન કહેતા પ્લીઝ! ફેસબુક પર ભલભલા સાહિત્યકારોએ લાઇક્સ અને કૉમેન્ટ્સ આપીને વધાવ્યો છે. કોઈએ છંદ-બંદનોય વાંધો પાડ્યો નથી.

‘છંદની છોડ, નોટબંધીના એક મહિના પછી પણ આપણે બેન્કની બહાર લાઇનમાં ઊભા છીએ તોય તું લાઇનલેસ બનવાની વાત કઈ રીતે કરી શકે? લાઇનમાં ઊભા રહેવાનોય વાંધો નથી પણ કેશ મળવાની કોઈ ખાતરી ખરી?’

‘નેગેટિવ નહીં બનવાનું! કેશ જરૂર મળશે.’

‘પોઝિટિવિટીના પુજારી, કેશ મળવાની ખાતરી હોય તો લગાવ શરત, જો કેશ મળે તો હું તને તારું ફેવરિટ પીણું ચા પીવડાવીશ, નહિ તો તારે ઉધાર રાખતા કેશકર્તન સેન્ટરમાં તારા કેશ મુંડાવી નાખવાના.’

‘આવી કોઈ શરત માટેનો કોન્ફિડન્સ તો અરુણભાઈ કે ઉર્જિતભાઈ પણ નહીં ધરાવતા હોય ત્યારે મારું શું ગજું? પણ એટલી ખાતરી જરૂર આપું કે દેશમાં અત્યારે જોવા મળતી લાઇનો ઇતિહાસની છેલ્લી લાઇનો છે, હવે પછી દેશમાં કોઈ લાઇનો નહીં લાગે. માનનીય વડાપ્રધાને કહ્યું એટલે ફાઇનલ!’

‘લાઇનલેસ ઇન્ડિયા... વાહ, ક્યાં આઇડિયા હૈ!’ ચતુરસેન અહોભાવ દર્શાવતા હાવભાવ સાથે મૂછમાં હસ્યા.

‘લાઇનલેસ ઇન્ડિયા... ચતુરસેન મને હવે જાતભાતનાં સપનાં આવે છે. દેશ તો હવે ડિજિટલ થઈ જશે, એટલે રાશનની દુકાને પણ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, તમારા સ્માર્ટફોનમાં મેસેજ આવી જશે કે તમારે કઈ તારીખે કેટલા વાગ્યે રાશન લેવા આવવાનું છે.’

‘તને તો એવા સપનાં પણ આવવા જોઈએ કે લગ્નના ભોજન સમારંભોમાં હવે ન તો ભોજન માટે લાઇનમાં ઊભા રહેવું પડશે, ન ચાંદલો લખાવવા. ચાંદલાની રકમ કંકોતરીમાં છપાયેલા એકાઉન્ટ નંબરમાં એડવાન્સમાં જ જમા કરાવી દેવાની અને દર્શનાભિલાસીઓ તમને જણાવી દેશે કે તમને કેટલા વાગ્યે ભોજનની ડિશ મળી જવાની છે.’

‘જોકે, અફસોસ એ વાતનો છે કે હવે કોઈ સુપરસ્ટાર એવો ફાંકો નહીં રાખી શકે કે પ્રોડ્યુસરો તેના ઘરની બહાર લાઇનો લગાવે છે.... વળી, મજા એ વાતની આવશે કે કોઈ પત્ની પણ પતિને એવું મહેણું નહીં મારી શકે કે પાડ માનો મેં તમને પસંદ કર્યા, બાકી મને પરણવા ઉત્સુક છોકરાઓની લાંબી લાઇનો હતી!’
‘મતદાન કરવા માટે પણ લાઇનો નહીં લગાવવી પડે?’

‘રાહુલબાબાના યોગદાનથી દેશ કૉંગ્રેસમુક્ત થઈ જવાનો અને દેશપ્રેમની આગમાં દેશ એટલો સમરસ થઈ જશે કે પછી મતદાન કરવાની જરૂર જ ક્યાં રહેવાની?!’

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ડિસેમ્બર, 2016ના અંકમાં તંત્રી પેજ પર પ્રકાશિત કૉલમ-બિનસંપાદિત)

Friday, November 25, 2016

‘નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી!’

દિવ્યેશ વ્યાસ

 

(તસવીર www.qz.com પરથી લેવામાં આવી છે.)

ફાંકેરામ એની પ્રકૃતિ મુજબ ફૂટબૉલની જેમ કૂદતો કૂદતો આવી પહોંચ્યો. અલબત્ત, તેના કૂદકાઓમાં થાક વર્તાતો હતો. એ થાક શેનો હતો, એ ચતુરસેન સારી રીતે જાણતા હતા. આજકાલ મોટા ભાગના લોકોનાં બીજાં કોઈ કામો તો ચાલતાં નથી અને લોકો કયા એક જ  કામમાં તન-મન લગાડી રહ્યાં છે, એનો ચતુરસેનને સ્વાનુભવ હતો એટલે તેઓ એ બાબતે મૌન રહ્યા. ચતુરસેનનું મૌન રહેવાનું બીજું એક કારણ એ પણ હતું કે આ મુદ્દે તેઓ કોઈના બખાળા સાંભળવા માનસિક રીતે તૈયાર નહોતા.

ચતુરસેને સાવ સામાન્ય મુદ્દે વાત શરૂ કરી, ‘શિયાળો બેસી ગયો. હવે સાંજ પડ્યે ઠંડી લાગવા માંડી છે નહીં?’

‘ઠંડી? મને તો ધ્રુજારી આવે છે, ધ્રુજારી....!’ પોતાની વાતને અનુરૂપ હાવભાવ દર્શાવવાની કળા એ હમણાં હમણાં શીખી ગયો છે, એનો પુરાવો ફાંકેરામના અવાજની સાથે સાથે ધ્રૂજતાં તેના શરીર પરથી આવતો હતો.

‘ઓ ભાઈ, બહુ ધ્રુજારીઓ આવતી હોય તો ભુવો બની જા, પણ અહીં ગુસ્સો ઉતારવાનું રહેવા દે...’

‘હા, હવે તો ભુવા કે સાધુ-બાવા બની જશું તો જ સુખ અને શાંતિ બન્ને મળશે, એવું લાગે છે.’

‘સુખ-શાંતિની સાથે સમૃદ્ધિ પણ અને એ પણ કોઈ રંગ વિનાની!’ ચતુરસેનથી બોલતાં તો બોલાઈ ગયું પણ વળી બીક પેઠી કે ક્યાંક કાળાં-ધોળાં રૂપિયાના મામલે ફાંકેરામ બબાલ ન શરૂ કરી દે એટલે આગોતરું જ પૂર્ણવિરામસભર વાક્ય ઉચ્ચાર્યું, ‘ફાંકેરામ, બેન્કવૈરાગ્યમાંથી બહાર નીકળ, સૌ સારાં વાનાં થઈ જશે.’

‘સારાં વાનાં કે સારા દિવસોની તો વાત જ ન કરશો. મોંઘવારી મારતી હતી, હવે નોટબંધી પછી મંદી મારશે!’ ફાંકેરામને જાણે ચિંતાનો તાવ ચડ્યો.

‘ફાંકેરામ, બસ કર, બહુ થયું, નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી! પંદરેક દિવસથી તો નોટની જ રામાયણ અને નોટની જ મહાભારત વગર સંજયદૃષ્ટિએ જોયા કરું છું. હવે તો કંટાળો આવે કે નહીં!’ ફાંકેરામની ધ્રુજારીનો ચેપ ચતુરસેનને પણ લાગ્યો.

‘નોટની રામાયણના રામ કે મહાભારતના શ્રીકૃષ્ણ દેખાય તો જરા અમને પણ બતાવજો!’

‘ફાંકેરામ, આ નોટોની રામાયણ અને મહાભારતનો કંટાળો જ એટલે આવે છે કે અહીં કાળાં નાણાં ધરાવતાં કૌરવો છે, વગર કારણે દંડાતા પાંડવો છે, શકુનીઓનો તો કોઈ તોટો નથી, અનેક સીતામાતાઓ બેન્કવનમાં જાણે બંધક બની છે, દુર્યોધનો મોટા મોટા વહીવટો કરે છે, લક્ષ્મણો બેન્ક બહાર ખાર ખાઈ રહ્યા છે, અક્ષૌહિણી સેના જાણે લાઈનો લગાવી બેઠી છે. અટ્ટહાસ્યો સંભળાય છે પણ રાવણને કોઈ જોઈ શકતું નથી, અર્જુનો વિષાદ કરે છે, પણ સારથિરૂપે સુપંથે દોરી જતાં શ્રીકૃષ્ણ કે સુશાસનના પર્યાય સમા શ્રીરામ ક્યાંય નજરે પડતાં નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 25 નવેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, November 11, 2016

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક

દિવ્યેશ વ્યાસ

 

( તસવીર  http://blogs.icemd.com પરથી લીધી છે.)

ચતુરસેન તેમના નામ પ્રમાણે ચતુર તો હતા જ પણ સાથે સાથે ચોવટાઈ કરવામાં પણ પાછા પડતા નહોતા. તેમની ચોવટ કરવાની વૃત્તિ એટલી તીવ્ર હતી કે તેમનો ચતુરાઈનો ગુણ મોટા ભાગના લોકોને ધ્યાને જ ન આવતો. ચતુરસેનનો એક ખાસ માણસ હતો. ચતુરસેન પોતે તેને ખાસ માણસ જ માનતા હતા, પરંતુ અન્ય લોકો તેને ચતુરસેનના ફોલ્ડર તરીકે ઓળખતા હતા. નવી પેઢી લોકો ક્યારેક તેના માટે સર્કિટનો કોડવર્ડ પણ વાપરતા હતા. એ ખાસ માણસ, એ ફોલ્ડર કે એ સર્કિટનું નામ હતું ફાંકેરામ.

અણ્ણા હજારેથી બહુ પ્રભાવિત એવા ફાંકેરામ પણ પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ ઉપરાંત ગોડફાધર સમાન ચતુરસેનની જેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. ફાંકેરામ ફેંકવામાં અને ફાંકા-ફોજદારી કરવામાં કદી પાછો ન પડે. અણ્ણા હજારે પછી તે વિગત વર્ષોમાં નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો હતો. એટલું જ નહિ મોદીસાહેબનો ટ્વિટર પરના ફેક પ્રકારનો નહિ પણ સાચો ફૉલોઅર હતો. ફાંકેરામનું લોહી ગરમ હતું, અથવા તો કહી શકો કે તેના લોહીનું ઉત્કલનબિંદુ બહુ નીચું હતું. વાતે વાતે તેને ગુસ્સો આવી જશો.


ફાંકેરામ એવું માનતો કે તેનો ગુસ્સો જ તેની અસલી તાકાત છે. પોતાની રોષાગ્નિથી તે ભલભલાને ઢીલા પાડી શકે છે. ચતુરસેન તેને ઘણી વખત સમજાવતા કે ‘ફાંકેરામ, વ્યક્તિ માટે ગુસ્સો સારો નહીં. માણસ જ્યારે પિત્તો ગુમાવે છે ત્યારે તેની વિવેકબુદ્ધિ બહેર મારી જતી હોય છે. અને આપણી પાસે જે ઓછું હોય તેને સાચવી રાખવું જોઈએ! વળી, ગુસ્સામાં જ્યારે ડાબેરી થયા વિના જ રાતાચોળ થઈ જઈએ અને ઉશ્કેરાટ વધી જાય તો આડુંઅવળું પગલું ભરાઈ જતું હોય છે. તું જ્યાં ને ત્યાં વારંવાર ભેરવાઈ જાય છે, એના મૂળમાં તારો ગુસ્સો જ જવાબદાર છે.’

પણ, બચાવમાં ફાંકેરામનો એક જ જવાબ હોય, ‘સાહેબ તમને કેટલી વાર સમજાવું કે ક્યાંક ભરાઈ પડ્યો હોઉં અને બુદ્ધિ પણ ચાલતી ન હોય ત્યારે આ જ ગુસ્સાએ મને કેટલી વાર બચાવ્યો છે!’ ફાંકેરામને આનાથી વધારે સલાહ આપવા જતાં તેને ગુસ્સો આવી જશે, એવા ડરે ચતુરસેન ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત સ્મરી લેતા અને ક્યારેક મનોરંજન ખાતર ‘ભેંસ આગળ ભાગવત’નું સ્મરણ કરીને મનમાં ને મનમાં જરાક હસી લેતા!

ફાંકેરામની એક વિશેષતા એ હતી કે તેને નવા નવા અખતરા કરવા બહુ ગમતા.  અખતરામાં કેટલા ખતરા છે, એ જોવાનું એણે ચતુરસેન પર છોડેલું. ‘પ્રારંભે શૂરા’ એ જાણે તેનો જીવનમંત્ર હતો. ફાંકેરામને કોઈ આઇડિયા જોરદાર લાગે એટલે તે લાગી પડતો અને આજુબાજુવાળાની વાટ લગાડી દેતો અને તેની પહેલી અને સીધી અસર ચતુરસેન પર પડતી.

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક ઝર્યા કરતી, જેમાં ચતુરસેનને ક્યારેક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના દર્શન થતાં તો ક્યારેક ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ હોવાનો વહેમ સંતોષાતો. ચતુરસેન અને ફાંકેરામ વચ્ચેની ચર્ચાની ચકમકના તણખાં તમારા સુધી દર પખવાડિયે પહોંચતાં રહેશે, સાબદા રહેજો!

(‘દિવ્ય ભાસ્કર’ના 11મી નવેમ્બર, 2016ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ-બિનસંપાદિત. )