દિવ્યેશ વ્યાસ
(આ રેખાંકન કાર્ટૂનિસ્ટ શ્યામના બ્લોગ http://shyamcartoonist.blogspot.in પરથી લીધું છે.)
‘ચતુરસેન, જોયું ને? ચૂંટણી હોય કે ન હોય, ભાજપ એક પછી એક રાજ્ય સર કરતું જાય છે ને? વધુ એક રાજ્ય હવે કૉંગ્રેસ મુક્ત! આને કહેવાય રાજનીતિ.’ ફાંકેરામના મોં પર હાસ્યના બારેય મેઘ ખાંગા થઈ ગયા હતા.
‘ફાંકેરામ, તમે ખુશ ખબર લાવ્યા અને સાથે મીઠાઈ ન લાવ્યા?’
‘નીતીશકુમારે બિહારમાં સીએમ પદનો છગ્ગો લગાવ્યો અને એ પણ મોદીસાહેબના પક્ષ સાથે મળીને, એટલે મને મીઠાઈ લાવવાની ઇચ્છા તો બહુ હતી, પણ રસ્તામાં પાણી ભરાયાં હતાં.’
‘બધા રસ્તાઓ પર થોડા પાણી ભરાયા હોય? ખોટાં બહાનાં ન કાઢ.’
‘ના, એકાદ રસ્તે પાણી નહોતા ભરાયાં, પરંતુ ખાડા એટલા બધા પડ્યા હતા કે મને મારા બાઇકની દયા આવી ગઈ.’
‘તારે ખરેખર તો તારી બુદ્ધિની દયા ખાવી જોઈએ.’
‘મારી બુદ્ધિ ઠેકાણે જ છે. વાત આડે પાટે ન ચડાવો, હું બિહારની વાત કરતો હતો. હા, તમને પહેલેથી જ કહી રાખું કે નીતીશકુમાર ભલે સાઠીમાં આવી ગયા હોય તોય તેમની બુદ્ધિ હજુ નાઠી નથી. તેમને સમજાઈ ગયું છે કે સત્તાના મહાસાગરમાં મગરમચ્છ જોડે દુશ્મની કરવા કરતાં દોસ્તી કરવામાં વધારે સલામતી છે.’
‘નીતીશકુમાર તો માસ્ટરસ્ટ્રોકકુમાર ગણાય છે, તેમની રાજકીય સમજ અંગે મને પહેલેથી માન છે, પરંતુ તું આટલો બધો કેમ ફુલાઈ રહ્યો છે?’
‘લાલુ જેવા ભ્રષ્ટાચારી સાથે નીતીશે ગઠબંધનનો ફુગ્ગો ફોડી નાખ્યો છે, એનાથી ખુશ છું. મારા અણ્ણાસાહેબ પણ ખુશ થયા હશે.’
‘અણ્ણાસાહેબ તો દેશમાં લોકપાલ નિમાશે ત્યારે ખુશ થશે!’
‘લોકપાલ-લોકપાલ શું માંડ્યું છે, તેમના પટ્ટશિષ્ય અરવિંદ કેજરીવાલ પણ લોકપાલને ભૂલી ગયા છે અને તમે છાલ છોડતા નથી!’
‘આમ તો અણ્ણાસાહેબ પણ લોકપાલ મુદ્દે ચૂપ જ છે, પણ તું એક સવાલનો જવાબ આપ, આ રોડરસ્તામાં ભ્રષ્ટાચાર ન થતો હોત તો શું તારે તારી બાઇકની દયા ખાવી પડી હોત?’
‘ના, ભ્રષ્ટાચાર ન થતો હોત તો રસ્તાની સાવ આવી હાલત ન થઈ હોત.’
‘ફાંકેરામ, હવે બીજો સવાલ, ઘાસચારો ખાઈ જનારો ભ્રષ્ટાચારી તો રોડરસ્તા ખાઈ જનારાને શું કહીશું?’
‘તમે ક્યાંની વાત ક્યાં જોડો છો... વરસાદ વધ્યો છે, હું ભાગું છું!’
‘તારા જેવા ભક્તોનો આ જ વાંધો છે, સવાલોનો વરસાદ વરસે એટલે ભાગવા માંડો છે.’
(‘દિવ્ય ભાસ્કર’ના 28મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)