દિવ્યેશ વ્યાસ
‘ચતુરસેન, નોટબંધી પછી કાળાં-ધોળાં નાણાંના ખેલમાં માહેર સીએની બોલબાલા જોઈને મને થયું હતું કે મારે સીએ જ થવા જેવું હતું.... પણ હમણાં હમણાંથી સમાચારો વાંચીને થાય છે કે આ જમાનામાં બનવું હોય તો વકીલ જ બનાય!’
‘તારા જેવા એટીકેટી સાથે માંડ માંડ બીએ પાસ થયેલાએ સીએ બનવાનાં સપનાં ન જોવાય...’
‘અરે ભાઈ, મારે તો કંઈ ભણવું નથી કે બનવું નથી. ડિગ્રી હોય કે ન હોય, તેની કેટલી બધી ઉપાધિ હોય છે! આ તો ખાલી વાત કરતો હતો કે વકીલો આજકાલ ભારે ચર્ચામાં રહે છે.’
‘તારું તો એવું છે કે જે ચર્ચામાં આવે તે તારું ચિતડું ચોરી લે છે... બહું ભોળું ને મોળું છે તારું મન... ખેર કયા વકીલનો ભક્ત બની ગયો?’
‘ભક્ત-બક્ત કોઈનો નથી બન્યો, પણ પેલા એડવોકેટ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ માટે જે જોરદાર દલીલો કરીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.. એ જોઈને હું આફરીન પોકારી ગયો.’
‘ફાંકેરામ, તું અત્યારે હરીશ સાલ્વે પર આફરીન થયો છે એ તો ઠીક બાકી મને એમ કે તું રામ જેઠમલાણીની ધારદાર દલીલોથી ઘાયલ થઈ ગયો હોઈશ.’
‘જેઠમલાણીની તો વાત જ જવા દો... કોઈ નહીં ને કેજરીવાલનો કેસ લડી રહ્યા છે!’
‘આ જ જેઠમલાણી જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારા વતી કેસ લડી રહ્યા હતા ત્યારે સારા લાગતા હતા... હર્ષદ મહેતા અને કેતન મહેતા જેવા કૌભાંડીના કેસ લડતા હતા ત્યારેય તમને વાંધો નહોતો. અડવાણીનો હવાલા કાંડવાળો કેસ લડેલા ત્યારે પણ પ્યારા લાગતા હતા. યેદ્દિયુરપ્પાનો કેસ લડ્યા ત્યારેય તમે રાજી હતા, હવે કેજરીવાલનો કેસ લડે છે ત્યારે પેટમાં કેમ દુ:ખે છે.’
‘ઓહો... તમે તો જેઠમલાણીની આખી કુંડળી કાઢી નાખી...’
‘આ તો હજું અડધી જ કુંડળી છે. આ જ જેઠમલાણીએ ડોન હાજી મસ્તાન, જેસિકા લાલના હત્યારા મનુ શર્માથી માંડીને અફઝલ ગુરુના બચાવમાં પણ દલીલો કરેલી છે. ગંદા હૈ પર ધંધા હૈ યે!’
‘તમે તો મૂડ મારી નાખ્યો... હરીશ સાલ્વેની કામગીરી જોઈને તો મને અહેસાસ થઈ ગયેલો કે એક સૈનિક નહીં, વકીલ પણ દેશભક્તિ કરી શકે છે!’
‘કોઈ પણ કામ સારી રીતે કરો, એ દેશભક્તિ જ છે! જેઠમલાણીએ પણ ઘણા સારા કેસો લડેલા જ છે, પણ તેઓ ક્યારે કોના માટે કેસ લડે એનું કંઈ કહેવાય નહીં. માત્ર ભાજપના જ નહીં અન્ય પક્ષોના નેતાઓના કેસો પણ તેઓ લડી જ ચૂક્યા છે.’
‘જેઠમલાણીએ તો અરુણ જેટલીને ‘ધૂતારા’ જ કહી દીધા! જબરું બોલે છે, આ માણસ અને એ પણ ભરી અદાલતમાં...’
‘એટલે તો તેઓ જોખમી જેઠમલાણી કહેવાય છે. કોઈ ન પહોંચે એને જેઠમલાણી પહોંચે! ભાજપની સ્થાપનામાં સહયોગ કરનારા આ માણસે એક સમયે વાજપેયી વિરુદ્ધ પણ ચૂંટણી લડી છે! આ એવા ‘રામ’ છે, જે ભાજપને ભારે પડે છે!’
(‘દિવ્ય ભાસ્કર’ના 19મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)