Showing posts with label ચતુરસેન. Show all posts
Showing posts with label ચતુરસેન. Show all posts

Monday, March 26, 2018

આક્ષેપોની તલવાર, માફીની ઢાલ, લડીશ હું ધરાર

દિવ્યેશ વ્યાસ

(આ ઉદયશંકરે દોરેલું કેજરીવાલનું આ કાર્ટૂન www.pinsdaddy.com પરથી લીધું છે.)

‘ચતુરસેન, તમને બૌદ્ધિક બૌદ્ધિક કહીને મેં બહુ ચીડવેલા છે. ક્યારેક ગુસ્સામાં આવીને દેશ-વિરોધી પણ ગણાવી દીધા હશે. સ્યુડો સેક્યુલર ગણાવીને તમને ઉતારી પણ પાડ્યા હશે. આજે હું મારાં આ કડવાં વચનો અને આક્ષેપો માટે માફી માગું છું. મને માફ કરી દો....’ ફાંકેરામે આવીને તરત ઓશિયાળા ચહેરે માફીનામું રજૂ  કરી દીધું.

‘અમે આપણે તો ચર્ચાના માણસો, ક્યારેક ચકમક ઝરતી રહે, રોષના તણખા ખર્યા કરે, એમાં માફી શું માગવાની?’ ચતુરસેને ફાંકેરામને માફી પાછી ખેંચી લેવાની તક આપી.

‘ના, માફી માગવી જ પડે, મારી ભૂલોને ભૂલી જાવ અને મને માફ કરો.’ ફાંકેરામ કરગરવા માંડ્યો.

‘ગાંડા, આજે તને શું થયું છે? શેનાં નાટક માંડ્યાં છે?’ ચતુરસેન અકળાયા.

‘નાટક નથી ચતુરસેન, જરાય નાટક નથી. બસ ઇચ્છા થઈ ગઈ, એટલે નમ્રતાપૂર્વક માફી માગું છું.’

‘લાગે છે, આજે તારામાં કેજરીવાલનો આત્મા ઘૂસી ગયો છે. કેજરીવાલ આજકાલ એક પછી એક માફીનામાં બહાર પાડી રહ્યા છે. તેના સમાચારો પણ બહુ ચગી રહ્યા છે, એના ટ્રાન્સમાં તો તું નથી આવી ગયો ને? કે પછી કેજરીવાલની નકલ કરી રહ્યો છે?’

‘કેજરીવાલ તે કાંઈ મોટા કિંગ છે? કે એમની નકલ કરું?’

‘કેજરીવાલ ગમે તેમ તોય દિલ્હીના મુખ્યમંત્રી એટલે કિંગ તો ગણાય!’

‘કિંગ હશે એ દિલ્હીના, મારે શું? નકલ કરવી જ હોય તો મોદીની કરું કેજરીની શા માટે?’

‘નકલ પછી કરજે, પહેલા એક સ્પષ્ટતા કર, કયા મોદીની નકલ? નીરવ કે નરેન્દ્ર મોદી? મારી પાસેથી સાઇકલ લેવા તે 600 રૂપિયાની લોન લીધેલી છે, એટલે પૂછવું જરૂરી છે.’

‘તમે મજાક છોડો, બોલો, મને માફ કરો છો કે નહીં?’

‘જો તું ગંભીરતાથી માફી માગતો હોય તો સાંભળી લે, બોલતાં પહેલાં ધ્યાન રાખો તો માફી માગવાનો વારો ન આવે. બાકી કેજરીવાલની જેમ આક્ષેપોની તલવાર, માફીની ઢાલ અને લડવું ધરાર હોય તો પછી મારે માફીની ફોર્માલિટીનો કોઈ મતલબ નથી.’

‘કેજરીવાલને તો લીગાલિટીનો પ્રશ્ન છે, આપણે એવું નથી. તેમને તો માનહાનિના કેસોથી છૂટકારો મેળવવો છે, પણ મારે એવો કોઈ સવાલ નથી. તમે માફ કરી દો, જેટલી જેવું ન કરશો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્....’

‘મારે નથી વીરનું ભૂષણ જોઈતું કે નથી પદ્મ ભૂષણ બનવું... હવેથી બોલતા પહેલાં ધ્યાન રાખજે. છેલ્લે સાચું કહી દે, માફી માગવાનું કેમ સૂઝ્યું?’

‘આજે જ્યોતિષની કૉલમમાં વાંચ્યું હતું કે માફી માગી લેજો, બાકી હેરાનગતિ વધશે.’

‘માફી તો દિલમાં ઊગવી જોઈએ, તું તો જ્યોતિષનું માનીને માફી માગે છે? જા નથી આપવી માફી.’

‘ચતુરસેન, હો સકે તો મુજે માફ કરના, ગલતી મારે સે હો ગઈ!!’

(‘દિવ્ય ભાસ્કર’ના 23મી માર્ચ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)

Friday, September 22, 2017

સીઝન શરૂ થશે ન્યારી, ચૂંટણી લાવશે રોજગારી

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, ગમે તે કરો, આપણને પાસપોર્ટ કઢાવી આપો.’

‘તારું આધાર કાર્ડ તો નીકળી ગયું છે ને? આધાર કાર્ડ તો હાથીનું પગલું અને ઘોડાનું પૂછડું! એમાં બધાનાં પગલાં આવી જાય અને એમાંજ બધાની પૂંછડીઓ દબાઈ જાય. આધાર હોય પછી બીજાની શું ઓશિયાળી!’

‘આધાર કાર્ડ તો ક્યારનુંય કઢાવી લીધું છે, છૂટકો છે કાંય? પણ મારા સાહેબ, પાસપોર્ટ વિના વિઝા કોણ આપવાનું?’

‘ઓહો... બડ્ડે બડ્ડે પ્લાન.... કોઈ મસમોટું કૌભાંડ કરીને માલ્યાગીરી કરવાનો તો વિચાર નથી ને?’

‘અણ્ણાનો ચાહક છું, હું તો સપનામાં પણ કૌભાંડ ન કરું.’

‘તો પછી તું પણ બૌદ્ધિકો-કર્મશીલોની જેમ દેશમાં અસહિષ્ણુતા ભાળી ગયો છે? તુંય હવે પરદેશમાં વસી જવાનો પ્લાન ઘડવા માંડ્યો છે?’

‘દેશમાં અસહિષ્ણુતા વ્યાપી હોય કે એથીય ખરાબ હાલત હોય, હું મારી માતૃભૂમિ છોડીને ક્યાંય જવાનો નથી.’

‘તો પછી વિઝા કેમ લેવા છે? કયા દેશમાં જવું છે તારે?’
ફાંકેરામે પોતાના ખ્વાબનું લોકાર્પણ કરતા કહ્યું, ‘હું અમેરિકા જવા માગું છું.’

‘કેમ અચાનક અમેરિકા જવાનું ભૂત સવાર થયું?’

‘રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ અંગેના સમાચારો અને ચર્ચાઓ વાંચીને થાય છે કે અમેરિકાના હવા-પાણીમાં કંઈક જાદુ છે.’

‘કેવો જાદુ?’

‘રાહુલ ગાંધી કેવી ડાહીડમરી વાતો કરવા માંડ્યા છે અને જોરદાર નિવેદનો આપવા માંડ્યા છે કે સ્મૃતિ ઈરાનીથી વાત ન બની તો ખુદ ભાજપ પ્રમુખ અમિત શાહે મેદાનમાં આવવું પડ્યું છે. આવી વાતો અહીં કરી હોત તો કૉંગ્રેસની આ હાલત ન થઈ હોત.’

‘અમેરિકાની હવાના જાદુથી કોઈ માણસ ડાહીડમરી વાતો કરવા માંડતો હોય તો ટ્રમ્પ નામની ઘટના પેદા જ ન થઈ હોત!’

‘અહીંના મોદી નથી ગમતા ત્યાંના ટ્રમ્પ નથી ગમતા, તમને ગમે છે કોણ?’

‘તને રાહુલની વાતો ડાહીડમરી લાગી, એ ગમ્યું... બાકી તારે તો કાયમ સાહેબ કહે તે સાચું!’

‘રાહુલે મોદીજીની ભાષણકળાના વખાણ કર્યા એ ગમ્યું અને સાથે બેરોજગારીની સમસ્યાની વાત કરી, એમાં દમ લાગ્યો.’

‘આ સત્ય તને બેરોજગાર થયો પછી સમજાયું ને? બાકી હું તો એક વર્ષથી આ મુદ્દે ગાંગર્યા કરું છું, પણ તું ભજન-કીર્તનમાંથી ઊંચો આવતો નહોતો. અને સાંભળી લે, અમેરિકામાં રોજગારી માટે જતો હોય તો ત્યાં હવે પણ સ્થિતિ કફોડી છે.’

‘મારે રોજગારી માટે અમેરિકા લાંબા થવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં ચૂંટણી આવી જ રહી છે. એકેય પક્ષને સભાઓમાં ભીડ ભેગી કર્યા વિના ચાલવાનું નથી. એટલે મને તો રોજગારી મળી જ રહેવાની છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 22મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, June 30, 2017

અભિ‘નેતા’ઓના ટોળામાં આઇટમ ગર્લ

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન વિક્રમ નંદવાણીએ બનાવેલું છે.)


‘ચતુરસેન, આજકાલ GST - GST બહુ ચાલ્યું છે. છાપાંના લેખોથી માંડીને વૉટ્સએપ પર ફરતી જોક્સ પણ GSTની જ વાંચવા મળી રહી છે. કંઈક તો ફોડ પાડો.’

‘કરવેરાના ભલભલા જાણકારોથી માંડીને જાણભેદુઓ પણ કંઈ ફોડ પાડતા નથી, એમાં હું શું બોલું. GSTનું ગુજરાતી થાય, માલ અને સેવા કર. નામ પરથી અને સાંભળેલી વાતો પરથી મને તો એટલી જ ખબર છે કે પહેલી જુલાઈથી ફોડ પડાવવાનું એટલે કે સલાહ-સૂચન મેળવવાની સેવા પણ મોંઘી બની શકે છે.’

‘શું વાત કરો છો? આજે મોંઘવારી ઓછી છે તે તમે વધવાના વરતારા બહાર પાડો છો?’

‘વરતારા નથી, વાસ્તવિકતા છે.’

‘આ તો દુષ્કાળમાં અધિક માસ જેવું થશે.’

‘દુષ્કાળ અને એની ઉપર અધિક માસ વીતશે, પણ પછી તો સારો વરસાદ આવશે. FDIનો વરસાદ, રોજગારીનો વરસાદ...’

‘તમેય રાજકારણીઓની જેમ ધોળા દિવસે તારા બતાવવાનું ક્યારથી શરૂ કર્યું?’

‘લોકો ધોળા દિવસે સૂરજને ગાળો દે અને સિતારા માટે વલખાં મારે ત્યારે બીજું તો શું કરી શકાય!’


‘ખેર, સિતારાની વાત નીકળી છે ત્યારે મને આઇટમ ગર્લ યાદ આવી જાય છે!’

‘અણ્ણા હઝારેનો ચાહક અચાનક આઇટમ ગર્લના મોહમાં કાં ફસાઈ ગ્યો?’

‘સાચું કહું તો આઝમ ખાને ફસાવ્યો છે. હમણાં જ આઝમ ખાનનું નિવેદન સાંભળ્યું: મૈં બીજેપી કા આઇટમ ગર્લ હૂં. ઉનકે પાસ કોઈ ઔર શખ્સ નહીં હૈ, જિસકે બારે મેં બાત કરકે વોટ બટોરેં જા સકે.... બીજેપી કે લિયે મૈં નફરત કા એજન્ડા હૂં. મેરે ખિલાફ નફરત ફૈલાકર બીજેપી કો વોટ મિલતે હૈ. મુઝ સે પ્યાર કીજિયે, નફરત મત કીજિયે...’

‘આઝમ ખાન નિખાલસ કહેવાય કે પોતે આઇટમ ગર્લ બની રહ્યાનું કબૂલી લીધું. બાકી કેજરીવાલ હોય કે લાલૂ, એમનો પણ કંઈક આવો જ ઉપયોગ થતો રહ્યો છે.’

‘કેટલાક બબાલવીર નેતાઓ એવા પણ છે, જે સામેથી પોતાના નામના વિવાદોના પરપોટા ફોડ્યા કરે છે અને સમાચારોમાં ચમક્યા કરે છે.’

‘રાજકારણીઓ માટે લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જાણે સમાચારમાં ચમકવું અનિવાર્ય બની ગયું છે. નેતાઓ ભાષણ કળાની સાથે સાથે અભિનય કળામાં માહેર થવા મથી રહ્યા છે.’

‘સાચી વાત છે, નેતાઓ હવે અભિનેતાની અદાથી છવાઈ રહ્યા છે અને એમાં વચ્ચે વચ્ચે આઇટમ ગર્લની એન્ટ્રીઓથી લોકોનું મનોરંજન થતું રહે છે.’

‘આ મનોરંજનની માયાજાળમાં GST જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ ભુલાઈ જાય છે, એનું રોદણું ક્યાં રડવું?’

(‘દિવ્ય ભાસ્કર’માં 30મી જૂન, 2017ના તંત્રીપાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 16, 2017

‘વિજય’ને જોતાં યાદ આવે આપણો ‘પરાજય’

દિવ્યેશ વ્યાસ

(વિજય માલ્યાનું કાર્ટૂન BCCLની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, તમને ખબર છે કે મારે અત્યારે ક્યાં હોવું જોઈએ?’

‘બીજે ક્યાં હોવું જોઈએ, એ તારે વિચારી લેવાનું પણ મને તો લાગે છે કે એટલિસ્ટ સવાર સવારમાં તો મારા ઘરે તારે ન જ હોવું જોઈએ?’

‘આંગણે આવેલા અતિથિનું આવું અપમાન? તમે બૌદ્ધિકોને માનવ અધિકારનો મુદ્દો આવે તો ઉછળી પડો, પણ માનવ સંવેદનાનો જરાય વિચાર ન કરો! તમે તો મૂડ ભાંગી નાંખ્યો.’

‘ફાંકેરામ, હું તો મજાક કરતો હતો! તું ચૂંટણીનાં વચનોનેય ગંભીરતાથી લેતો નથી ત્યાં મારી મજાકને કેમ આટલી સિરીયસલી લઈ લીધી? ખેર, બોલ બોલ... તું અત્યારે ક્યાં હોવો જોઈતો હતો?’

‘અત્યારે હું ઇંગ્લેન્ડમાં હોવો જોઈતો હતો.’

‘ઓહો... એટલે આપશ્રી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો સગી આંખે જોવાની ઇચ્છા ધરાવો છે.’

‘ક્રિકેટ મેચ જોવા કરતાંય મને વિજય માલ્યાને જોઈ લેવાની ઇચ્છા થઈ રહી છે.’

‘અણ્ણાના આંદોલનોમાં સામેલ થવા આતુર રહેનારો ફાંકેરામ વિજય-પંથે ક્યારથી ચડી ગયો છે?’

‘ચતુરસેન, તમે મારી વાત સમજ્યા નહીં. મને વિજય માલ્યાને ‘જોવા’ની ઇચ્છા નથી થઈ રહી ‘જોઈ લેવાની’ ઇચ્છા થઈ રહી છે. ભારતની મેચ હોય ત્યાં લાજશરમ વિના મહાલવા લાગતા માલ્યાનું ઓવલ સ્ટેડિયમ ખાતે લોકોએ હૂટિંગ કરીને જલસો પાડી દીધો. મને તો ભારતે દ. આફ્રિકાને હરાવ્યું, એના કરતાં પણ લોકોએ માલ્યાને ‘ચોર ચોર’ કહીને સ્ટેડિયમમાંથી ભગાવી દીધો, એમાં મજા પડી!’

‘ફાંકેરામ કેટલાક ‘વિજય’ એવા પણ હોય છે, જેમાં આપણને આપણા ‘પરાજય’ના દર્શન થઈ જાય.

‘પરાજયના મુદ્દે જ મારું તો લોહી ઉકળી ઊઠે છે. હું ઓવલ સ્ટેડિયમમાં હોત તો ઝાલ્યો ન રહ્યો હોત...’

‘કોઈ ખરેખર ગુનેગાર હોય તોપણ તેને સજા તો કોર્ટે આપવાની હોય, આપણે નહીં. તારા જેવા લોકો વધી રહ્યા છે, એટલે જ દેશમાં મારીપીટીને માણસને મારી નાખવાની અમાનવીય ઘટનાઓ વધતી જાય છે.’

‘ફરી તમે તમારી ઓકાત-માનવ અધિકાર પર આવી ગયા ને?’

‘આ તો ન્યાય વ્યવસ્થાની સાદી સમજ છે, માનવ અધિકાર તો મોટો શબ્દ છે. પણ તારા જેવાને કેમ સમજાવવા?’

‘તમારે સમજાવવું હોય તો વિજય માલ્યા જેવાને સમજાવો ને?’

‘મારે કોઈને સમજાવવું નથી, મારે બસ થોડુંઘણું સમજવું છે. તને સમજાવવાની ભૂલ થઈ ગઈ... માફ કર ભઈલા!’

(‘દિવ્ય ભાસ્કર’ના 16મી જૂન, 2017ના તંત્રીપેજ પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 2, 2017

દિમાગનું દહીં અને સત્તાનું માખણ

દિવ્યેશ વ્યાસ


(ગૂગલ ઇમેજ પરથી મળેલું રેખાચિત્ર)


‘આ ગાયનો એક વિવાદ ઓછો હતો તે હવે મોરનો લઈ આવ્યા!’ ચતુરસેનના ચહેરા પરની અકળામણ તેમની વાણીમાં પણ ભળેલી હતી.

‘યુનો, યે દિલ માંગે મોર!’

‘શું મોર? કંકોડા?’

‘કંકોડા નહિ, કકળાટ... રેડિયો પર કકળાટ, ટીવી પર કકળાટ, મોબાઇલ પર કકળાટ, અખબારોમાં કકળાટ, સડક પર કકળાટ અને સંસદમાં પણ કકળાટ.... બીજું કંઈ થાય કે ન થાય, બસ કકળાટ-દેકારો ચાલું રહેવો જોઈએ.’

‘એક તરફ ગરમીનો ઉકળાટ અને બીજી તરફ નીતનવા મુદ્દે પેદા થતો આ કકળાટ. મને તો એ નથી સમજાતું કે કકળાટ કરીને શું કાંદા કાઢી લેવાના છે?’

‘કાંદા કોઈને કાઢવા નથી, ભાવ ન મળતાં ખેડૂતો આમ પણ રસ્તા પર કાંદા ફેંકી દેતા હોય છે. કાંદા જેવી મામૂલી નહિ, પણ કોહિનૂર જેવી કીમતી એવી સત્તાના આ ખેલ છે.’

‘સત્તાના આ ખેલ તો હું સારી રીતે સમજું છું, પણ આ કકળાટને કારણે મારા દિમાગનું દહીં થઈ જાય છે.’

‘બસ, એ જ તો જોઈએ છે રાજકારણીઓને. લોકોના દિમાગનું દહીં થઈ જવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખતા દિમાગ બહુ ખતરનાક પુરવાર થઈ શકે છે. આવાં દિમાગ સત્તાધીશો પાસે હિસાબ માગી શકે છે, નઠારા સત્તાધીશોના તખતાઓ ઊથલાવી શકે છે, સ્વતંત્રપણે વિચારીને અણિયાળા સવાલો પૂછી શકે છે, સત્તાપક્ષ-વિપક્ષોના રાજકારણીઓની અંદરોઅંદરની મિલીભગતના ભાંડા ફોડી શકે છે, પણ દિમાગનું દહીં થઈ જાય તો પછી સાવ શાંતિ! લોકોના દિમાગનું એક વખત દહીં થઈ જાય પછી તેને મનફાવે તેમ વલોવી વલોવીને સત્તા રૂપી માખણ આસાનીથી તારવી શકાય.’

‘દિમાગનું દહીં અને સત્તાનું માખણ... વાહ ફાંકેરામ, જબરું લાવ્યો!’

‘ચતુરસેન, તમારી સાથે રહી રહીને થોડુંક તો હું પણ શીખી ગયો છું.’

‘માખણ મારવાનું રહેવા દે અને એમ કહે કે આ કકળાટનું કરવાનું શું?’

‘નાના મોંઢે મોટી વાત કરું તો માફ કરજો, પણ માહોલ જોતાં તો મને એવું લાગે છે કે તમારે કકળાટ સહન કરવાની આદત કેળવવી પડશે!’

‘ફાંકેરામ, તારી વાત તો સાચી છે. આજે દેશના સત્તાધીશો ‘ગજકેસરી’ યોગમાં મહાલી રહ્યા છે. વિમર્શલાયક મુદ્દાઓ પર પણ વાહિયાત સ્તરના વાદવિવાદના દોર ચાલી રહ્યા છે ત્યારે શાંતિ-સુમેળભર્યું વાતાવરણ સર્જાવાના યોગ જણાતા નથી.’

‘એટલે તો કહું છું કકળાટને જોઈને તમારા દિમાગનું દહીં થવા ન દેશો.’

‘ચિંતા ન કરીશ, મારા દિમાગનું દહીં થશે તોપણ માખણ બીજો કોઈ લઈ જાય, એવો ફુહડ તો હું નથી જ!’



(‘દિવ્ય ભાસ્કર’ના 2જી જૂન, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 19, 2017

જેને કોઈ ન પહોંચે તેને જેઠમલાણી પહોંચે!

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન આઉટલુકની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, નોટબંધી પછી કાળાં-ધોળાં નાણાંના ખેલમાં માહેર સીએની બોલબાલા જોઈને મને થયું હતું કે મારે સીએ જ થવા જેવું હતું.... પણ હમણાં હમણાંથી સમાચારો વાંચીને થાય છે કે આ જમાનામાં બનવું હોય તો વકીલ જ બનાય!’

‘તારા જેવા એટીકેટી સાથે માંડ માંડ બીએ પાસ થયેલાએ સીએ બનવાનાં સપનાં ન જોવાય...’

‘અરે ભાઈ, મારે તો કંઈ ભણવું નથી કે બનવું નથી. ડિગ્રી હોય કે ન હોય, તેની કેટલી બધી ઉપાધિ હોય છે! આ તો ખાલી વાત કરતો હતો કે વકીલો આજકાલ ભારે ચર્ચામાં રહે છે.’

‘તારું તો એવું છે કે જે ચર્ચામાં આવે તે તારું ચિતડું ચોરી લે છે... બહું ભોળું ને મોળું છે તારું મન... ખેર કયા વકીલનો ભક્ત બની ગયો?’

‘ભક્ત-બક્ત કોઈનો નથી બન્યો, પણ પેલા એડવોકેટ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ માટે જે જોરદાર દલીલો કરીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.. એ જોઈને હું આફરીન પોકારી ગયો.’

‘ફાંકેરામ, તું અત્યારે હરીશ સાલ્વે પર આફરીન થયો છે એ તો ઠીક બાકી મને એમ કે તું રામ જેઠમલાણીની ધારદાર દલીલોથી ઘાયલ થઈ ગયો હોઈશ.’


‘જેઠમલાણીની તો વાત જ જવા દો... કોઈ નહીં ને કેજરીવાલનો કેસ લડી રહ્યા છે!’

‘આ જ જેઠમલાણી જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારા વતી કેસ લડી રહ્યા હતા ત્યારે સારા લાગતા હતા... હર્ષદ મહેતા અને કેતન મહેતા જેવા કૌભાંડીના કેસ લડતા હતા ત્યારેય તમને વાંધો નહોતો. અડવાણીનો હવાલા કાંડવાળો કેસ લડેલા ત્યારે પણ પ્યારા લાગતા હતા. યેદ્દિયુરપ્પાનો કેસ લડ્યા ત્યારેય તમે રાજી હતા, હવે કેજરીવાલનો કેસ લડે છે ત્યારે પેટમાં કેમ દુ:ખે છે.’

‘ઓહો... તમે તો જેઠમલાણીની આખી કુંડળી કાઢી નાખી...’

‘આ તો હજું અડધી જ કુંડળી છે. આ જ જેઠમલાણીએ ડોન હાજી મસ્તાન, જેસિકા લાલના હત્યારા મનુ શર્માથી માંડીને અફઝલ ગુરુના બચાવમાં પણ દલીલો કરેલી છે. ગંદા હૈ પર ધંધા હૈ યે!’

‘તમે તો મૂડ મારી નાખ્યો... હરીશ સાલ્વેની કામગીરી જોઈને તો મને અહેસાસ થઈ ગયેલો કે એક સૈનિક નહીં, વકીલ પણ દેશભક્તિ કરી શકે છે!’

‘કોઈ પણ કામ સારી રીતે કરો, એ દેશભક્તિ જ છે! જેઠમલાણીએ પણ ઘણા સારા કેસો લડેલા જ છે, પણ તેઓ ક્યારે કોના માટે કેસ લડે એનું કંઈ કહેવાય નહીં. માત્ર ભાજપના જ નહીં અન્ય પક્ષોના નેતાઓના કેસો પણ તેઓ લડી જ ચૂક્યા છે.’

‘જેઠમલાણીએ તો અરુણ જેટલીને ‘ધૂતારા’ જ કહી દીધા! જબરું બોલે છે, આ માણસ અને એ પણ ભરી અદાલતમાં...’

‘એટલે તો તેઓ જોખમી જેઠમલાણી કહેવાય છે. કોઈ ન પહોંચે એને જેઠમલાણી પહોંચે! ભાજપની સ્થાપનામાં સહયોગ કરનારા આ માણસે એક સમયે વાજપેયી વિરુદ્ધ પણ ચૂંટણી લડી છે! આ એવા ‘રામ’ છે, જે ભાજપને ભારે પડે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 19મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 5, 2017

કવિ શું કહેવા માગે છે, એ સમજાય ત્યારે...

દિવ્યેશ વ્યાસ

(કુમાર વિશ્વાસનું કાર્ટૂન http://www.theforthright.com પરથી લીધું છે.)


‘હું કહું એ મારું શાસન, મારા શબ્દો મારું શાસન, સખણો રહેજે, છે મારું શાસન, સૌથી શ્રેષ્ઠ છે મારું શાસન’ ફાંકેરામ શાસન શબ્દની આજુબાજુ કવિતા રચવા શબ્દાસનોના અખતરા કરી રહ્યો હતો.

‘ફાંકેરામ, બાહુબલીનો ‘મેરા વચન હી મેરા શાસન’ ડાયલોગ તારા દિમાગની દીવાલ પર ચ્યુઇંગમની જેમ ચોંટી ગયો લાગે છે. રાજકારણ પછી સાહિત્ય ક્ષેત્રમાં પણ તારો ઇન્ટરેસ્ટ વધતો જતો હોય એવું મને છેલ્લા કેટલાક દિવસોથી લાગવા માંડ્યું છે.’

‘તમે જબરું પકડ્યું! મને ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં રસ પડવા માંડ્યો છે, કારણ કે હવે મને લાગે છે કે ત્યાં ભાષા કે સાહિત્ય કરતાં પણ રાજકારણમાં ફાવટ હોય તો સાહિત્યક્ષેત્રે વધારે સફળતા મળે છે. મારામાં ક્રિએટિવિટી વધારે-ઓછી હશે પણ કાવાદાવામાં તો આપણે પાવરધા છીએ જ... એટલે સાહિત્યમાં ઝંપલાવવાની ઝંખના જાગી રહી છે.’

‘સાહિત્ય ક્ષેત્રમાં રાજકારણ કરી કરીનેય લઈ શું લેવાનું? વધીને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવો કે પછી સરકાર મહેરબાન થાય તો તારા જેવા પણ પહેલવાન બનીને અકાદમીના પ્રમુખ બની શકે. જોકે, આમાં સ્પર્ધા એટલી ગળાકાપ છે કે આપણા જેવા નવાણિયા તો ક્યાંક કુટાઈ જાય!’



‘ચતુરસેન, તમે સમજ્યા નહીં... સાહિત્ય સંસ્થાઓના પ્રમુખ પદની કોને પડી છે? આપણે તો બસ રાજકારણની નેટ પ્રેક્ટિસ કરવી છે. વળી, જો પ્રાસ-અનુપ્રાસની સાથે સાથે થોડી શબ્દરમતો શીખી જવાઈ તો આપણે પણ ફાંકડું ભાષણ કરવા માંડીએ અને રાજકારણમાં જામી જઈએ...’

‘વાહ ફાંકેરામ! તમે શેખચલ્લીના વારસો જરૂર જાળવશો! સાહિત્યકાર ગણો કે શબ્દબાજ, એ બિચારો ગૌરવ પુરસ્કાર અને વધીને મહામહેનતે પદ્મશ્રી મેળવતો હોય છે. તું જ વિચાર કયો કવિ રાજકારણમાં જામી શક્યો અને સાંસદ કે મુખ્યમંત્રી બન્યો?’

‘બન્યો નથી પણ બનજે જરૂર!’

‘કોણ તું?’ ચતુરસેન હસવા માંડ્યા.

‘મારે તો થોડી વાર લાગશે પણ કુમાર વિશ્વાસ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. કેજરીવાલ સામે વાંધો પાડ્યા પછી હવે આ કવિને રાજસ્થાનના પ્રભારી બનાવી દેવાયા છે, જ્યાં આગામી વર્ષે ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીમાં સફળ થશે તો સીએમ પદ પાક્કું!’

‘કવિ હોવા છતાં કુમાર વિશ્વાસે પણ તારા જેવી મનોહર કલ્પનાઓ નહીં કરી હોય!’

‘કવિ એની કવિતામાં શું કહેવા માગે એ ન સમજાય પણ રાજકારણનું લોહી ચાખી ગયેલા કુમાર વિશ્વાસ શું કહેવા માગે છે, એ કેજરીવાલ સમજી ગયા અને રાજસ્થાન સોંપી દીધું! હવે જોજો કુમારનો કમાલ!’

‘કુમારનું શું થાય છે, એ તો સમય જ કહેશે. મારે તો એટલું જ કહેવું છે કે તું શાસનવાળી કવિતાને વહેલામાં વહેલી તકે કચરાટોપલીમાં પધરાવી દે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 5મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)

Friday, April 21, 2017

અડવાણીની આજકાલ : હમારી અધૂરી કહાની!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન આઉટલુક ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલું છે.)

ફાંકેરામ બાઉન્સર બૉલની જેમ ધસી આવ્યો. ચતુરસેનના હોંશકોંશની વિકેટ ખેરવવાના ઈરાદે કોમેન્ટ્રી શરૂ કરી, ‘ઔર એક બાર ફિર અડવાણી અપની મંજિલ પાને મેં નાકામ દિખ રહે હૈ!’

ચતુરસેને શાણા ખેલાડીની જેમ બાઉન્સર બૉલને ઇગ્નોર કરવાની સ્ટાઇલમાં કહ્યું, ‘કંઈક નવા સમાચાર હોય તો આપ...’

અમ્પાયરની આડોડાઈ પર ખિજાઈ જતાં ખેલાડીની જેમ ફાંકેરામ ચતુરસેન પર અકળાઈ ઊઠ્યો, ‘તમે જાણો છો કે હું ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનો શોખીન નથી, આપણે તો છાપું કહે તે સાચું.... ન્યૂઝ ચેનલ બતાડે એ પાક્કું!’

વાઇડ બૉલનો ઈશારો કરતા અમ્પાયર જેવા હાવભાવ સાથે ચતુરસેન બોલ્યા, ‘તારા જેવા ઇતિહાસ સરખો વાંચતાં નથી અને પછી સંસ્કૃતિ કે વારસાના નામે કૂદાકૂદ કરતા હોય છે. ઇતિહાસને વાંચો નહીં, સમજો નહીં અને પછી ધોકા લઈને નીકળી પડો... આમાં દેશનો વિકાસ ક્યાં થાય?’

આગળના બૉલ પર છગ્ગો પડ્યા પછી બૉલર જે કચકચાવીને દડો ફેંકે એમ ફાંકેરામે રોકડું પરખાવ્યું,
‘દેશનો વિકાસ તો થઈ ને જ રહેશે. અર્થશાસ્ત્રીઓ અને અંકશાસ્ત્રીઓ ગમે તે કહે દેશની પ્રગતિને હવે કોઈ રોકી શકવાનું નથી.’

સ્પિનરની જેમ મુદ્દાને ટર્ન આપીને ચતુરસેને કહ્યું, ‘વિકાસની વાત તારી સાથે કરવાનો કોઈ અર્થ નથી. તું અડવાણીનું શું કહેતો હતો?’

ફુલટોસ બૉલ મળતાં તેના પર પ્રહાર કરતાં બેટ્સમેનની ત્વરાથી ફાંકેરામ કહે, ‘અરે તમે જાણતા નથી?  સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ મામલે અડવાણી સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. લાલજીનું હવે રાષ્ટ્રપતિ બનવાનું સપનું પણ રોળાઈ શકે છે.’

‘જો ફાંકેરામ, યે તો હોના હી થા! પીએમ ઇન વેઇટિંગ જ રહી ગયા પછી પણ અડવાણી જો ખરેખર ખુદને પ્રેસિડેન્ટ ઇન વેઇટિંગ માનતા હોય તો એ એમનો પ્રશ્ન છે.’

‘અાટલી દીર્ઘ રાજકીય યાત્રા પછી કોઈ પણને ઊંચા પદની અપેક્ષા તો રહે જ ને!’

‘અપેક્ષાઓ-મહત્ત્વાકાંક્ષાઓ તો ઠીક છે, પણ સમયનો તકાદો તો સમજવો જોઈએ કે નહીં?’

‘અડવાણીને એમ હશે કે મને-કમને પણ વડાપ્રધાન પદની લાલસા જતી કરી એટલે કદાચ રાષ્ટ્રપતિ બનવા મળી શકે છે.’

‘ફાંકેરામ, બસ આ ‘મને-કમને’ જ તેમને નડી ગયું છે. અડવાણીએ સમજી લેવું જોઈએ કે હવે તેમણે ‘અચ્છે દિન’ની આશાઓ છોડી દેવી જોઈએ. સાચું કહું તો તેમણે હવે રાજકારણ છોડીને રામધુન જ ગાવી જોઈએ!’

‘અડવાણીના દિલમાં ક્યારે રામ વસે અને રામધુન ગાવા માંડે એ તો હું જાણતો નથી, પણ અત્યારે તો તેઓ કદાચ ‘હમારી અધૂરી કહાની...’ કે પછી જૂનું અને જાણીતું દિલ કે અરમાન આંસુઓં મેં બહ ગયે...’ એવું કોઈ ગીત ગણગણતા હશે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 21મી એપ્રિલના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, April 7, 2017

ભક્તે ભગવાન બદલી નાખ્યા કે શું?

દિવ્યેશ ‌‌વ્યાસ


(ઇલસ્ટ્રેશન ધ ક્વિન્ટ.કોમમાંથી લીધું છે.)

‘યોગીજી તારો.... યોગીજી તારો.... યોગીજી તારો સંન્યાસ વખાણું કે પછી તારું શાસન વખાણું....’ અઠંગ ભજનિકની અદાથી આ એક જ પંકિત ગાતાં ગાતાં ફાંકેરામ આવી પહોંચ્યો. તેના ચહેરા પર જાણે કેસૂડાનાં હજારો ફૂલો ખીલી ઊઠ્યા હતા. ફાંકેરામની ખુશી તેના વ્યક્તિત્વની બહાર જાણે છલકાઈ રહી હતી. એક ભક્તને શોભે એવા ભોળા ભાવ અને માસૂમ પ્રસન્નતા તેના ચહેરા પરથી જાણે ટપકી રહ્યા હતા.

‘શું વાત છે! ભક્તે પોતાના ભગવાન બદલી નાખ્યા કે શું?’ ચતુરસેને તરત સવાલ કર્યો.

‘એક ભજન જરા બદલાવ્યું, એમાં ભગવાન બદલી નાખવાની વાત ક્યાં આવી? પાણીમાંથી પોરા કાઢવાનું તો કોઈ બૌદ્ધિકો પાસેથી શીખે.’

‘હા, અમારા બૌદ્ધિકો પાસેથી તો ઘણું શીખવાનું છે, પણ ઓછી બુદ્ધિના લોકોએ પહેલાં સ્વીકારવું તો જોઈએ કે આ બુદ્ધિશાળી લોકો છે, શાણા લોકો છે, એમની વાત કાને ધરવી જોઈએ અને દિમાગે કસવી જોઈએ. પણ અક્કલ ઓછી ને અહંકાર (જેને ‘ગૌરવ’ જેવું લોભામણું નામ પણ મળેલું છે) ઝાઝો હોય ત્યાં બૌદ્ધિકોને તો કોણ પૂછે?’

‘બૌદ્ધિકોને તો અમારે પૂછવું’ય નથી, એટલે એની તો વાત જ જવા દો. પણ તમને એવું કેમ લાગ્યું કે અમે ભગવાન બદલી નાખ્યા?’

‘પહેલાં તું મને બૌદ્ધિક ગણાવે છે, પછી કહે છે કે બૌદ્ધિકોને અમારે પૂછવું નથી અને વળી પાછો મને જ પ્રશ્ન પૂછે છે. હું બૌદ્ધિક છું કે નહીં ખબર નથી, પણ તું અક્કલમઠ્ઠો હોવાનું કેમ પુરવાર કરી રહ્યો છે?’

 ‘એવા રે અમે એવા રે તમે અક્કમઠ્ઠા કહો તો એવા રે! બસ સંતોષ થયો? હવે તો પૂછેલા પ્રશ્નનો જવાબ આપો.’

‘ફાંકેરામ, તું તો મોદીનો ભક્ત હતો, હવે યોગીનો ભક્ત થઈ ગયો હોય એવું લાગે છે.’

‘કોઈ રાજનેતા પ્રત્યેની ચાહનાને તમારે ભક્તિ ગણવી હોય તો ગણો, મને કોઈ ફરક નથી પડતો રહી વાત મોદી કે યોગીની, તો યોગીજી નવા નવા સત્તા પર આવ્યા છે અને તમે તો જાણો જ છો કે જેની જાન હોય એનાં જ ગાણાં ગવાય!’

‘હે ભગવાન! આ દેશને ફાંકેરામ જેવા ચિયરલીડર્સથી બચાવી લેજો!!’

‘ચાહક કહો કે ચિયરલીડર્સ, પણ તમારે અને તમારી બુદ્ધિએ એટલું તો સ્વીકારવું જ પડશે કે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનીને સપાટો બોલાવ્યો છે. ધડાધડ નિર્ણયો કરીને ઉત્તર પ્રદેશના શાસનને
ધમધમતું કરી દીધું છે.’

‘તારે મન શાસન એટલે કડક ચા જેવાં ‘કિક’ આપતાં ભાષણો, કડક નિયમો, આડેધડ પ્રતિબંધો અને ઉપરથી પ્રચારમારાનો વઘાર... આટલું જ હશે ને?’

‘આમાં ખેડૂતોની લોનમાફીને કેમ ગુપચાવી દો છો, એ શું સારો નિર્ણય નથી?’

‘લોનમાફી કરીને ગરીબ ખેડૂતને રાહત જરૂર પહોંચાડાશે, પરંતુ તેને કારણે કંઈ ખેડૂતોના અચ્છે દિન આવી જવાના નથી. ખેડૂતો માટે લાંબા ગાળાની નીતિ અને ભ્રષ્ટાચારમુક્ત અમલીકરણ જરૂરી છે.’

‘એ પણ થશે. થોડી રાહ જુઓ, યોગી આદિત્યનાથને સત્તા પર બેસીને થોડાં શ્વાસ તો લેવા દો!’

‘મને અત્યારે એક ટિખળ સૂઝી રહી છે, આ યોગી તો હનિમૂન પિરિયડમાં નહીં જ માનતા હોય ને!’

‘યોગી કર્મનિષ્ઠ નેતા છે. તમને રમૂજો સૂઝે છે, પણ તેઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પુરવાર થશે.’

‘ઓકે, વાત શ્રેષ્ઠ મુખ્યમંત્રી સુધીની હશે ત્યાં સુધી વાંધો નથી, ભાવિ વડાપ્રધાન બનવાનાં ખ્વાબ જોશે, એ દિવસથી પડતી પાક્કી!’

(‘દિવ્ય ભાસ્કર’ના 7મી એપ્રિલ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કટાર-બિનસંપાદિત)

Friday, March 24, 2017

વાંઢા હોવાનું મને વહાલું લાગ્યું, સીએમ બનવાનું મારું સપનું જાગ્યું

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન ગૂગલ ઇમેજ પરથી ડાઉનલૉડ કરેલું છે.)

ફાંકેરામ આવ્યો ત્યારથી એક જ પંક્તિ ગાતો રહ્યો, ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ...’

‘આગળની પંક્તિ આવડતી નથી કે શું? તારું ભલું પૂછવું, બીજી પંક્તિ યાદ આવી જાય એટલે તો વારંવાર એક જ રેકર્ડ વગાડ્યા નથી કરતો ને?’

‘આ કોઈ સામાન્ય કાવ્યપંક્તિ નથી, આ કોઈ ફિલ્મના ગીતનું મુખડું નથી, આ તો મારો મહામંત્ર છે, મહામંત્ર!’ ફાંકેરામે જરાક ઘોઘરા અવાજે ગુજરાતી ફિલ્મના ચરિત્ર અભિનેતા જેવી સ્ટાઇલમાં જવાબ આપ્યો.

‘મહામંત્ર કોને કહેવાય એની તને કોઈ ગતાગમ છે? એવો કોઈ સવાલ પૂછીને હું મારો વખત બરબાદ કરવા માગતો નથી, પણ તને અચાનક આ મહામંત્રની ચાનક શા માટે ચડી, એનો કરી શકે તો ટૂંકમાં ખુલાસો કર.’

‘વાહ, આ મંત્રની અસર તો જોરદાર છે, લોકો મારી પાસેથી ખુલાસા પણ માગવા માંડ્યા છે!’

‘કોઈ ખુલાસો માગે એમાંય તને પ્રગતિના દર્શન થયા? તું કંઈક અવળે રસ્તે ચડી ગયો લાગે છે.’ ચતુરસેનના અવાજમાં સહેજ ચિંતા ઝળકી.

‘ચતુરસેન, હવે જ હું સાચા રસ્તે છું. કાલ સુધી મને મારું વાંઢાપણું ખુંચતું હતું, પણ હવે વાંઢા હોવાનું વહાલું લાગવા માંડ્યું છે. એકલા હોવાનો ગમ અચાનક મારા દિલોદિમાગમાંથી ગાયબ થઈ ગયો છે. સિંગલ છું અને એટલે જ અનેક સિદ્ધિઓ અને શિખરો મારો જ ઇંતેઝાર કરી રહ્યાં છે!’

‘ગાંડા, સિંગલ હોવાથી સફળ બનાતું હોત તો તું આજે અહીં હોત? તારા દિમાગમાં આવું ભૂંસું કોણે ભરાવ્યું?’

‘આજ સુધી હું સફળ ન થયો, કારણ કે મને સિંગલ હોવાનું સ્વસન્માન નહોતું, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે.’

‘શેની ખાતરી? મારા મગજની કાતરી તળવાનું છોડ ભાઈ!’

‘ચતુરસેન, તમે સમજો. દેશના વડાપ્રધાન જીદ કરીને સિંગલ રહ્યા છે. દેશના મુખ્યમંત્રીઓ પર નજર નાખો તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અપરિણીત છે, તેમની જેમ જ ઓડિશાના સીએમ નવીન પટનાયક, આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સિંગલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને ગોવામાં ફરી સત્તા સંભાળનારા મનોહર પરિકર વિધુર છે તો વસુંધરા રાજે અને મહેબૂબા મુફ્તિએ પણ ઘરસંસારથી મુક્તિ મેળવી લીધેલી છે. આ યાદીમાં તાજેતરમાં એક નવું નામ ઉમેરાણું છે - યોગી આદિત્યનાથનું... બોલો, સિંગલ હોય તો જલદી સત્તા મળે, એ વાત હવે તો તમારા ગળે ઊતરી કે નહીં?’

‘સિંગલ તો રાહુલ ગાંધી પણ છે અને તોય ચૂંટણી હારવાનો ગિનીસ રેકોર્ડ બનાવી રહ્યા છે!’ ચતુરસેને ફાંકેરામના ફુગ્ગામાં ટાંકણી ભોંકી દીધી.

‘હું રાહુલ ગાંધીજીની જેમ માત્ર સિંગલ જ રહેવાનો નથી, હું પણ યોગી આદિત્યનાથની જેમ ભગવા ધારણ કરવાનો છું... બોલો પછી તો સત્તા મળશે ને?’

‘ભગવા ધારણ કર્યા પછી પણ સત્તા મળશે કે નહીં ખબર નહીં, હા, યોગ્ય સંપ્રદાય પકડી લઈશ તો તમામ પ્રકારની સુખ-સમૃદ્ધિ જરૂર મળશે... તથાસ્તુ!’

(‘દિવ્ય ભાસ્કર’ના 24મી માર્ચ, 2017ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Friday, March 10, 2017

હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા!

દિવ્યેશ વ્યાસ

(તસવીર સૌજન્ય : આઈ ન્યૂઝ)



‘દિવસો નઠારા જાય છે, એ જરૂર જશે પતન સુધી.... દિવસો નઠારા જાય છે....’ ફાંકેરામ ગીત લલકારતો લલકારતો ચતુરસેન પાસે આવી પહોંચ્યો.

‘અચ્છે દિનની વાતો કરી કરીને ફૂલીને ફાળકો થનારો આજે નઠારા દિવસોનું રોદણું કેમ રડવા લાગ્યો છે?’ ચતુરસેને શબ્દસળી ચાંપી.

‘મારા દિવસો તો જોરદાર જાય છે. કાલે લોકો હોળીની તૈયારી કરતા હશે ને બંદા તો રંગેચંગે દિવાળી મનાવતા હશે, મતબલ કે ફટાકડા ફોડતા હશે.’

‘કાલે કોઈના લગનમાં ફટાકડા ફોડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે કે શું?’

‘ચતુરસેન, કાલે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું રિઝલ્ટ નથી? પરિણામ તો શું આવવાનું છે, એ આખો દેશ જાણે છે.... અને તમે કેમ અજાણ્યા બનો છો? પરિણામ તો તમેય જાણતા જ હશો પણ તમારું મન નહીં માનતું હોય, નહીં?’

‘કાલનાં પરિણામ તો કાલે જ જાણવા મળશે. તું કેમ એગ્ઝિટ પોલવાળાઓની જેમ કૂદી રહ્યો છે? ખેર, દેશમાં તારી જેમ પૂરું જાણ્યા-સમજ્યા વિના કૂદનારા-કૂદી પડનારાઓની કોઈ કમી નથી. પણ તું કોના નઠારા દિવસોની વાત કરતો હતો, એ તો કહે...’

‘હું રાહુલ ગાંધીની વાત કરતો હતો. રાહુલબાબાની હાલત તો દિવસે દિવસે પતલી થતી જાય છે.’

‘રાહુલની ચિંતા કરનારાં તેમનાં માતુશ્રી, તેમનાં બહેનબા અને હમણાં હમણાં સોશિયલ મીડિયા પર સળવળાટ કરનારા જીજાજી પણ છે. તું રહેવા દે!’


‘હું એમની ચિંતા શા માટે કરું? હું તો માત્ર ચર્ચા કરું છું કે પહેલા આ મહાશયને એકલાને જ ‘યુવરાજ’નું બહુમાન મળતું હતું, પણ છેલ્લાં વર્ષોમાં એક પછી એક યુવરાજો ઉમેરાતાં જ જાય છે. મુલાયમસિંહના અખિલેશ, લાલુપ્રસાદના તેજપ્રતાપ અને તેજસ્વી, કરુણાનિધિના સ્ટાલિન અને અલાગિરી... અને હવે તેમાં નવો ઉમેરો થયો છે, ચંદ્રાબાબુ નાયડુના સુપુત્ર નારા લોકેશનો... નારા લોકેશ તો એવા ન્યૂઝ સાથે જ ચમક્યો છે કે માત્ર પાંચ મહિનામાં તેની સંપત્તિમાં 23 ગણો વધારો થઈ ગયો છે. નારા લોકેશ હવે ચંદ્રાબાબુના રાજકીય વારસદાર અને આંધ્રપ્રદેશના ભાવિ સીએમ તરીકે સ્થાપિત થઈ ગયો છે.’

‘ફાંકેરામ, તમે રાજનાથસિંહના દીકરા પંકજ સિંહ, વસુંધરા રાજેના દીકરા દુષ્યંતસિંહ, ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે, પ્રકાશસિંહ બાદલના દીકરા સુખબીરસિંહ બાદલ, બાળાસાહેબના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના દીકરા આદિત્ય..... વગેરે નામો કેમ ગુપચાવી જાવ છો?’

‘ગગ.. પપપ.. ગુપચાવ્યાં નહોતાં.. પણ એમ તો યાદી કેટલી લાંબી થાય?’

‘ટૂંકી યાદીમાં પણ સંતુલન જાળવી શકાય, કોઈને ટાર્ગેટ કરવાનું ટાળી શકાય, દોસ્ત...!’

‘સંતુલન જાળવવાનું હું તમારી પાસેથી શીખી લઈશ. પણ મને પ્રશ્ન એ થાય છે કે મુલાયમ સિંહનું ઉદાહરણ તાજું છે છતાં રાજકારણીઓ ધૃતરાષ્ટ્રગીરી કેમ છોડતાં જ નથી?’

‘સાચી વાત છે. જોકે, રાજકારણીઓ કંઈ શીખે-સમજે કે નહીં, લોકોએ તો સમજવું જોઈએ!’

‘લોકો તો સમજે ત્યારે સાચા, પણ તમે જોજો, રાહુલ ગાંધીની હવે કોઈ આ મુદ્દે પણ ચર્ચા નહીં કરે!’

‘રાહુલની ચર્ચા કરે કે ન કરે પણ વંશવારસના રાજકારણની ચર્ચા તો કરવી જ પડશે. બાકી તો હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા... ચાલ્યા કરશે. સંતાનવાદ બાબતે કોઈક પક્ષે તો પાર્ટી વિથ ડિફરન્સ બનવું પડશે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 10મી માર્ચ, 20174ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ - બિનસંપાદિત)

Friday, February 24, 2017

અમર વિચિત્રકથા : રાજકારણમાં કૉમેડી

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, આજે તને એક સાવ સહેલો સવાલ પૂછવો છે.’ ચતુરસેને વાતની માંડણી કરી.

‘નેકી ઓર પૂછ-પૂછ! પૂછો, તમારે જે પૂછવું હોય તે પૂછો, પરંતુ અઘરો સવાલ હશે તો તમારે ચાર વિકલ્પો આપવા પડશે.’ ફાંકેરામે પાણી પહેલા પાળ બાંધી.

‘સવાલ સહેલો જ છે, પરંતુ તારા જેવા ગધેડાને અઘરો લાગે તો બચ્ચન સ્ટાઇલમાં ચાર વિકલ્પ આપીશ, ઓકે?’

‘તમે પણ રાજકારણીઓ જેમ ભાષાનું સ્તર નીચું કેમ લાવો છો? આપણે ત્યાં તો ચૂંટણીની હજુ વાર છે અને હું કંઈ તમારો પ્રતિસ્પર્ધી બનવાનો નથી!’

‘ઠીક છે. તો આ રહ્યો સવાલ તારા કાનના કિનારા પર... જણાવો, આપણા દેશમાં સૌથી મોટો કૉમેડી રાજકારણી કોણ છે?’


‘સવાલ ખરેખર એકદમ સહેલો છે. ભૂલથી પણ વિકલ્પ ન આપતા હું ગૂંચવાઈ જઈશ.’

‘હું વિકલ્પ નથી આપતો, તું જવાબ તો આપ.’

‘જવાબ સિમ્પલ છે - રાહુલ ગાંધી. અમારા સાહેબે હમણાં જ કહ્યું હતું કે સૌથી વધુ જોક્સ આ રાજકારણી પર બને છે.’

 ‘સૌથી વધારે જોક્સ તો રાહુલ ગાંધી પર જ બનતા હશે, પણ જવાબથી મને સંતોષ નથી.’

‘અખંડ અસંતુષ્ટ એવા અરવિંદ કેજરીવાલના નામથી તમે સંતુષ્ટ થશો?’

‘મને આશ્ચર્ય એ વાતનું છે કે તું લાલુ પ્રસાદ યાદવ, ઉમા ભારતી, બેનીપ્રસાદ વર્મા, સાક્ષી મહારાજ, શરદ પવાર, શરદ યાદવ અને ખુદ ગબ્બર - તારા સાહેબના નામ અંગે તો વિચાર જ ન કર્યો!’

‘મારા સાહેબ હમણાંથી મિમિક્રી જરૂર કરી લે છે અને તેમનાં પર કાર્ટૂનો પણ બહુ બને છે, પરંતુ લોકો તેમની વાતને હસી નાખતા નથી, એ પણ ધ્યાને લેવું જોઈએ ને!’

‘એ ખરું. આ યાદીમાં બીજા બે મોટાં નામ પણ જોડી શકાય - સુબ્રહ્મણ્યમ સ્વામી અને અમરસિંહ.’

‘સ્વામી તો હસાવવા કરતાં રડાવવાનું વધારે કરતા હોય છે, પરંતુ અમરસિંહના નામ સાથે હું સહમત છું. અમરસિંહે હજુ હમણાં જ ધડાકો કર્યો છે કે મુલાયમસિંહ અને તેમના દીકરા અખિલેશ યાદવ વચ્ચેનો ઝઘડો તો સ્પોન્સર્ડ અને સ્ક્રીપ્ટેડ જ હતો.’

‘મને તો એવી શંકા છે કે એની સ્ક્રીપ્ટ કદાચ અમરસિંહે જ લખી હશે. અમરસિંહ તો હવે ભક્ત બનવા તલપાપડ છે. અમર વિચિત્રકથાઓનો તો કોઈ અંત જ નથી.’

‘અંતહીન આડી વાતો છોડો, મને જવાબ આપો કે સૌથી કૉમેડી નેતા કોણ છે?’

‘કૉમેડી તો કોણ નથી કરતું? ભલભલા અભિનેતાઓ અને કૉમેડિયન્સ પણ રાજકારણીઓના પરફોર્મન્સ જોઈને લઘુતાગ્રંથિમાં આવી જતા હોય છે. આમાં કોને વખાણીએ કોને વખોડીએ?’

‘રાજનેતાઓ કૉમેડી કરે એ તો સારું કહેવાય, લોકોને મનોરંજન તો મળે!’

‘ફાંકેરામ, મનોરંજન કરનારા ઘણા છે, રાજકારણીઓએ પોતાનું કામ કરવું જોઈએ. તેઓ કૉમેડી કરીને જ લોકોના મન મોહી લે છે અને પોતાના મત કઢાવી લે છે. આ જ તો દેશની સૌથી મોટી ટ્રેજેડી છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 24 ફેબ્રુઆરી, 20174ના રોજ તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ મૂળ પ્રત )

Thursday, February 9, 2017

તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું!

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, જોયું ને... મારા સાહેબે વિરોધી નેતાઓને રસ્તા પર લાવી દીધા છે ને?’ ફાંકેરામે આદત મુજબ ભક્તગુંજન શરૂ કર્યું.

‘રસ્તા પર જ લાવ્યા છે, જેલમાં નથી પૂરી દીધા, એટલી તો એમની મહાનતા મારે સ્વીકારવી જ પડશે!’ ચતુરસેન પણ પોતાની ટોન્ટમાર આદતને અભિવ્યક્ત કર્યા વિના ન રહી શક્યા.

‘વાહ, ચતુરસેન તમારા સુર આજે કંઈક બદલાયેલા બદલાયેલા લાગે છે. સાહેબની પ્રશંસા... તમને પણ પદ્મ પુરસ્કાર મેળવવાની ઝંખના જાગી લાગે છે.’

‘મારે નથી પદ્મ પુરસ્કાર જોઈતો કે નથી છદ્મ પુરસ્કાર જોઈતો, મારે તો થોડી શાંતિ જોઈતી હતી, એટલે મિલે સુર મેરા તુમ્હારાવાળી કરેલી, પણ હવે મને છંછેડ્યો છે તો સાંભળી જ લે. આ તારા સાહેબે જ નોટબંધી લાદીને લોકોને બેન્કની બહાર રસ્તા પર લાંબી લાંબી લાઇનમાં લાવી દીધા હતા ને? હવે કહે, સાહેબે કયા નેતાને રસ્તા પર લાવી દીધો? મારે તો એ પણ ખાતરી કરવી પડશે કે વિરોધી નેતા એટલે પાર્ટી બહારના વિરોધી કે અંદરના?’

‘નોટબંધીની વાત જૂની થઈ, હવે શું છે? ભૂલી જાવ!’



‘ગરીબીની સમસ્યા પણ જૂની છે, ભૂલી જાવ. ભૂખમરાની સમસ્યા જૂની છે, ભૂલી જાવ. સ્વચ્છ ભારત અભિયાન જૂનું થયું, ભૂલી જાવ. રમખાણો-એન્કાઉન્ટરોનો મુદ્દો જૂનો થયો, ભૂલી જાવ. સીઝફાયરનું ઉલ્લંઘન જૂની સમસ્યા છે, ભૂલી જાવ. પઠાણકોટ-ઉરી પરના આતંકી હુમલા બહુ દિવસો પહેલા થયા હતા, ભૂલી જાવ. કાળાં નાણાંનો મામલો જૂનો થયો, ભૂલી જાવ. 15 લાખનું વચન જૂનું થયું, ભૂલી જાવ. લોકપાલ આંદોલન ભૂતકાળ બન્યું, લોકપાલને ભૂલી જાવ....  બધું ભૂલવાડી જ દેવાનું!’

‘ના... ના.... તમે યાદ રાખો. કટોકટી યાદ રાખો, ચીન-પાકિસ્તાનના યુદ્ધ યાદ રાખો, કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન યાદ રાખો... બધું ભૂલી નથી જવાનું.’

‘મને ખબર છે તારે શું યાદ રખાવવું છે ને ભૂલવાડવું છે. મારે આ મુદ્દે માથાફોડ નથી કરવી. મને સાહેબે કયા નેતાને રોડ પર લાવી દીધા, એ જાણવામાં રસ છે.’

‘આજકાલ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ઉપરાછાપરી રોડ શૉ કરી રહ્યા છે. બોલો બન્નેને કેવા રોડ પર લાવી દીધા છે!’

‘ચર્ચાનો પહાડ ખોટો ખોદાવ્યો. ભલા માણસ, રોડ શૉ તો બધા નેતાઓ કરે છે, સાહેબ પોતે પણ કરે જ છે, કારણ કે શૉબાજી હવે રાજકારણનું અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. અલબત્ત, રાહુલ અને અખિલેશનો રોડ શૉ સત્તાના સિંહાસન સુધી નહીં પહોંચે તોપણ તેઓ રોડ પર આવી જશે, એ વાત ભૂલી જજે!’

‘ઓકે, પણ આપણો આજનો ઝઘડો તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું.’

‘દોસ્ત, હવે તું રાજકારણી બનવા માટે એકદમ લાયક બની ગયો છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 10મી ફેબ્રુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’- મૂળ પ્રત )

Friday, January 20, 2017

તિવારીની ગુલાંટ : વારસ કરાવે ફારસ!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન સૌજન્ય : સંતાબંતા.કોમ)


‘શિયાળો બરાબરનો જામ્યો છે... ભલભલાના હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડી ઉડાડવી કઈ રીતે?’ બુઢીયાટોપીધારી ચતુરસેનના ગળામાંથી આવતો અવાજ પણ વચ્ચે વચ્ચે થીજી જતો હતો.

‘તમને ગામ આખાની ઠંડી લાગતી હશે... ટાઢ તો છે પણ એટલી બધી નહીં! આજકાલ રાજકારણની ગરમાગરમ ખબરો-ગોસિપો વાંચવા કે જોવાનું બંધ કર્યું છે કે શું?’ ઠંડીને કારણે ફાંકેરામના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા, છતાં વિરોધ પક્ષની જેમ તેણે ચતુરસેનની વાતનો ધરાર વિરોધ નોંધાવ્યો.

‘ફાંકેરામ, નથી તને ભાજપે ટિકિટ આપી દીધી કે નથી હું નવજોતસિંહ સિદ્ધુની જેમ કૉંગ્રેસમાં જોડાયો, તોપણ વગર કારણે મારો વિરોધ કરવાનો શું મતલબ? બોલ!’

‘એમ તો હું પણ કહી શકું કે શિયાળો હોય એટલે ઠંડી પડે જ, એમાં આટલો હાયહોબાળો કરવાનો શું મતલબ? ખેર, ઠંડીની વાત છોડોને થોડી રાજકારણની ગરમાગરમ વાતો કરો. તમે કૉંગ્રેસમાં 'ઘરવાપસી' કરનારા સિદ્ધુને યાદ કર્યો પણ બુઢ્ઢા થયા છતાં ગુલાંટ મારવાનું ન ભૂલેલા પેલા તિવારીસાહેબને કેમ ભૂલી ગયા?’

‘વિકાસપુરુષની છબીમાંથી ધીમે ધીમે વિલાસીપુરુષ તરીકેની ઇમેજ સર્જનારા નારાયણ દત્ત તિવારીની વાત કરો છોને? એમને તો કોણ ભૂલી શકે!’ ચતુરસેને પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

‘હા, તિવારી જેણે રાજભવનમાં પણ કામાંધતાની બીમારીને છોડી નહોતી!’

‘89 વર્ષે ફરી વરઘોડો કાઢનારા એન.ડી. તિવારીએ કામાંધતાને છોડી પણ આખરે કૉંગ્રેસને જરૂર છોડી દીધી.’

‘આ તો વારસ કરાવે ફારસ! મારું તો માનવું છે કે તિવારી 'ડીએનએપ્રૂફ' પુત્રના પ્રેમને કારણે ભાજપસીધાવ્યા લાગે છે.’

‘મને હસવું વાતે આવે છે કે એક તરફ મોદીજી કહે છે કે સગાંવહાલાં માટે ટિકિટ માગવી નહીં અને અહીં તો દીકરાને ટિકિટ અપાવવા માટે તિવારી ભાજપના ખોળે બેઠા છે.’

‘ચતુરસેન, આનું નામ રાજકારણ! બ્રાહ્મણ મતો માટે કૉંગ્રેસ છેક દિલ્હીથી શીલા દીક્ષિત લઈ આવે તો ભાજપ યુપીના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તિવારીને શા માટે મેદાનમાં ઉતારે?’

‘તિવારી મત અપાવશે કે કપાવશે, હું જાણતો નથી, પણ હા, નાક જરૂર કપાવી શકે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 20મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, January 6, 2017

ફાધર હોય કે ગોડફાધર, શિષ્યો-સંતાનો કરે ફાયર

દિવ્યેશ વ્યાસ





‘કળિયુગ... ઘોર કળિયુગ....’ આ શબ્દો બોલતાં ફાંકેરામના હાવભાવ એવા હતા જાણે તેનામાં ‘ઓ..મા.... માતાજી....!’ પોકારતાં દયાભાભી પ્રવેશી ગયાં હોય!

‘ઉદ્્ગારો અને એક્ટિંગમાં તું ઉસ્તાદ છે, એનું પ્રદર્શન વારંવાર કરવાનું રહેવા દે. મુદ્દાની વાત કર, કેશલેસના જમાનામાં તને કળિયુગ ક્યાં ભટકાઈ ગ્યો?’ ચતુરસેને વિલંબિત ઉદ્્ગારો અટકાવીને સ્પષ્ટતા માગી.

‘કળિયુગ તો ક્યાં ક્યાં નથી ભટકાતો, ક્યાં ક્યાં નથી પડઘાતો!’ ફાંકેરામે પ્રાસ-અનુપ્રાસપ્રેમી કથાકારની અદાથી ઉત્તર વાળ્યો.

‘તું આજે કોઈ મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે કે પછી તારી એક્ટિંગનો રિયાઝ કરવા? મુદ્દાની વાત કર બાકી તને
 ‘હજારની નોટ’ બનાવી દેતાં વાર નહીં લાગે!’ ચતુરસેને અઘરી ચીમકી આપી.

‘હજારની નોટ તો બને મારા અને મારા દેશના દુશ્મનો! હા, આજકાલ વૃદ્ધ-વરિષ્ઠ નેતાઓની હાલત હજારની નોટ જેવી જરૂર થઈ ગઈ છે.’

‘હા, સાચી વાત છે. જે અમેરિકાના યુવા નેતાઓનાં ઉદાહરણો આપી આપીને આપણે આપણા બુઢ્ઢા નેતાઓને કોસતા હતા, એ જ અમેરિકાએ ઇતિહાસનો સૌથી વૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ ચૂંટ્યો છે, પરંતુ આપણે ત્યાં વૃદ્ધ નેતાઓની વેલ્યૂ સતત ડાઉન થતી જાય છે. અડવાણી-જોષી પછી આ યાદીમાં આજકાલ નવું નામ ઉમેરાવા જઈ રહ્યું છે, મુલાયમસિંહ યાદવ!’

‘મુલાયમ તો એ જ લાગના છે! હું કળિયુગની વાત કરતો હતો, એ તેમના સંદર્ભે જ કહેતો હતો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એવી કહેવતને મુલાયમે પોતાના નામની જેમ જ ખોટી પાડીને કઠોરતાપૂર્વક દીકરા ટીપુ ઉર્ફે અખિલેશને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો.’

‘હાંકી કાઢ્યો હતો, પરંતુ પછી પાછો પણ લઈ લીધો ને!’

‘એ તો લેવો જ પડે ને? ટીપુએ હવે ટીપુ મટીને સમાજવાદી પક્ષમાં સાગર જેટલો વ્યાપ વિસ્તારી દીધો છે. અખિલેશ હવે સમાજવાદી પક્ષનો ચહેરો બની ગયો છે.’

‘તારો આ જ પ્રોબ્લેમ છે, ચહેરા-મોહરાની માયા જ નથી છૂટતી. લોકપ્રિયતાની આડમાં નાખો સિનિયરોને ભાડમાં!!’ ચતુરસેન તમતમી ઊઠ્યા.

‘વેપારી એવું શીખવાડે કે વેપારમાં તો સગા બાપનોય વિશ્વાસ ન કરાય, પણ આજકાલ જમાનો એવો આવ્યો છે કે રાજકારણમાં સગા બાપ તો શું દીકરાનો ય વિશ્વાસ ન કરાય!’

‘ફાંકેરામ, જોવાની વાત એ છે કે ફાધર હોય કે ગોડફાધર, તેઓ પોતાનાં શિષ્યો કે સંતાનોના હાથે જ ફાયર થઈ રહ્યા છે અને માર્ગદર્શક બનવાના નામે મૂકદર્શક (કોઈક કિસ્સામાં તો મૂર્ખદર્શક) બનીને રહી ગયા છે.’

‘ચતુરસેન, તમે એક વાત નોંધી, ‘કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે.’ એ કહેવત તો સાલી કળિયુગમાં પણ ટકી રહી છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 જાન્યુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, December 9, 2016

લાઇનલેસ ઇન્ડિયાનાં લપસણાં સપનાંઓ

દિવ્યેશ વ્યાસ


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)


‘એશ કરો કે ટેસ કરો, દેશ બનશે કેશલેસ રે,
છાશ પીવો કે વાઇન, દેશ બનશે લાઇનલેસ રે...’
બેન્કની બહાર લાઇનમાં ઊભેલા ફાંકેરામે 10 નંબરી ટોકનને પંપાળતાં પંપાળતાં તાજો શેર ફટકાર્યો.

‘આવો વાહિયાત શેર તો તારો જ હશે ને?’

‘ચતુરસેન, આ શેરને વાહિયાત ન કહેતા પ્લીઝ! ફેસબુક પર ભલભલા સાહિત્યકારોએ લાઇક્સ અને કૉમેન્ટ્સ આપીને વધાવ્યો છે. કોઈએ છંદ-બંદનોય વાંધો પાડ્યો નથી.

‘છંદની છોડ, નોટબંધીના એક મહિના પછી પણ આપણે બેન્કની બહાર લાઇનમાં ઊભા છીએ તોય તું લાઇનલેસ બનવાની વાત કઈ રીતે કરી શકે? લાઇનમાં ઊભા રહેવાનોય વાંધો નથી પણ કેશ મળવાની કોઈ ખાતરી ખરી?’

‘નેગેટિવ નહીં બનવાનું! કેશ જરૂર મળશે.’

‘પોઝિટિવિટીના પુજારી, કેશ મળવાની ખાતરી હોય તો લગાવ શરત, જો કેશ મળે તો હું તને તારું ફેવરિટ પીણું ચા પીવડાવીશ, નહિ તો તારે ઉધાર રાખતા કેશકર્તન સેન્ટરમાં તારા કેશ મુંડાવી નાખવાના.’

‘આવી કોઈ શરત માટેનો કોન્ફિડન્સ તો અરુણભાઈ કે ઉર્જિતભાઈ પણ નહીં ધરાવતા હોય ત્યારે મારું શું ગજું? પણ એટલી ખાતરી જરૂર આપું કે દેશમાં અત્યારે જોવા મળતી લાઇનો ઇતિહાસની છેલ્લી લાઇનો છે, હવે પછી દેશમાં કોઈ લાઇનો નહીં લાગે. માનનીય વડાપ્રધાને કહ્યું એટલે ફાઇનલ!’

‘લાઇનલેસ ઇન્ડિયા... વાહ, ક્યાં આઇડિયા હૈ!’ ચતુરસેન અહોભાવ દર્શાવતા હાવભાવ સાથે મૂછમાં હસ્યા.

‘લાઇનલેસ ઇન્ડિયા... ચતુરસેન મને હવે જાતભાતનાં સપનાં આવે છે. દેશ તો હવે ડિજિટલ થઈ જશે, એટલે રાશનની દુકાને પણ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, તમારા સ્માર્ટફોનમાં મેસેજ આવી જશે કે તમારે કઈ તારીખે કેટલા વાગ્યે રાશન લેવા આવવાનું છે.’

‘તને તો એવા સપનાં પણ આવવા જોઈએ કે લગ્નના ભોજન સમારંભોમાં હવે ન તો ભોજન માટે લાઇનમાં ઊભા રહેવું પડશે, ન ચાંદલો લખાવવા. ચાંદલાની રકમ કંકોતરીમાં છપાયેલા એકાઉન્ટ નંબરમાં એડવાન્સમાં જ જમા કરાવી દેવાની અને દર્શનાભિલાસીઓ તમને જણાવી દેશે કે તમને કેટલા વાગ્યે ભોજનની ડિશ મળી જવાની છે.’

‘જોકે, અફસોસ એ વાતનો છે કે હવે કોઈ સુપરસ્ટાર એવો ફાંકો નહીં રાખી શકે કે પ્રોડ્યુસરો તેના ઘરની બહાર લાઇનો લગાવે છે.... વળી, મજા એ વાતની આવશે કે કોઈ પત્ની પણ પતિને એવું મહેણું નહીં મારી શકે કે પાડ માનો મેં તમને પસંદ કર્યા, બાકી મને પરણવા ઉત્સુક છોકરાઓની લાંબી લાઇનો હતી!’
‘મતદાન કરવા માટે પણ લાઇનો નહીં લગાવવી પડે?’

‘રાહુલબાબાના યોગદાનથી દેશ કૉંગ્રેસમુક્ત થઈ જવાનો અને દેશપ્રેમની આગમાં દેશ એટલો સમરસ થઈ જશે કે પછી મતદાન કરવાની જરૂર જ ક્યાં રહેવાની?!’

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ડિસેમ્બર, 2016ના અંકમાં તંત્રી પેજ પર પ્રકાશિત કૉલમ-બિનસંપાદિત)

Friday, November 25, 2016

‘નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી!’

દિવ્યેશ વ્યાસ

 

(તસવીર www.qz.com પરથી લેવામાં આવી છે.)

ફાંકેરામ એની પ્રકૃતિ મુજબ ફૂટબૉલની જેમ કૂદતો કૂદતો આવી પહોંચ્યો. અલબત્ત, તેના કૂદકાઓમાં થાક વર્તાતો હતો. એ થાક શેનો હતો, એ ચતુરસેન સારી રીતે જાણતા હતા. આજકાલ મોટા ભાગના લોકોનાં બીજાં કોઈ કામો તો ચાલતાં નથી અને લોકો કયા એક જ  કામમાં તન-મન લગાડી રહ્યાં છે, એનો ચતુરસેનને સ્વાનુભવ હતો એટલે તેઓ એ બાબતે મૌન રહ્યા. ચતુરસેનનું મૌન રહેવાનું બીજું એક કારણ એ પણ હતું કે આ મુદ્દે તેઓ કોઈના બખાળા સાંભળવા માનસિક રીતે તૈયાર નહોતા.

ચતુરસેને સાવ સામાન્ય મુદ્દે વાત શરૂ કરી, ‘શિયાળો બેસી ગયો. હવે સાંજ પડ્યે ઠંડી લાગવા માંડી છે નહીં?’

‘ઠંડી? મને તો ધ્રુજારી આવે છે, ધ્રુજારી....!’ પોતાની વાતને અનુરૂપ હાવભાવ દર્શાવવાની કળા એ હમણાં હમણાં શીખી ગયો છે, એનો પુરાવો ફાંકેરામના અવાજની સાથે સાથે ધ્રૂજતાં તેના શરીર પરથી આવતો હતો.

‘ઓ ભાઈ, બહુ ધ્રુજારીઓ આવતી હોય તો ભુવો બની જા, પણ અહીં ગુસ્સો ઉતારવાનું રહેવા દે...’

‘હા, હવે તો ભુવા કે સાધુ-બાવા બની જશું તો જ સુખ અને શાંતિ બન્ને મળશે, એવું લાગે છે.’

‘સુખ-શાંતિની સાથે સમૃદ્ધિ પણ અને એ પણ કોઈ રંગ વિનાની!’ ચતુરસેનથી બોલતાં તો બોલાઈ ગયું પણ વળી બીક પેઠી કે ક્યાંક કાળાં-ધોળાં રૂપિયાના મામલે ફાંકેરામ બબાલ ન શરૂ કરી દે એટલે આગોતરું જ પૂર્ણવિરામસભર વાક્ય ઉચ્ચાર્યું, ‘ફાંકેરામ, બેન્કવૈરાગ્યમાંથી બહાર નીકળ, સૌ સારાં વાનાં થઈ જશે.’

‘સારાં વાનાં કે સારા દિવસોની તો વાત જ ન કરશો. મોંઘવારી મારતી હતી, હવે નોટબંધી પછી મંદી મારશે!’ ફાંકેરામને જાણે ચિંતાનો તાવ ચડ્યો.

‘ફાંકેરામ, બસ કર, બહુ થયું, નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી! પંદરેક દિવસથી તો નોટની જ રામાયણ અને નોટની જ મહાભારત વગર સંજયદૃષ્ટિએ જોયા કરું છું. હવે તો કંટાળો આવે કે નહીં!’ ફાંકેરામની ધ્રુજારીનો ચેપ ચતુરસેનને પણ લાગ્યો.

‘નોટની રામાયણના રામ કે મહાભારતના શ્રીકૃષ્ણ દેખાય તો જરા અમને પણ બતાવજો!’

‘ફાંકેરામ, આ નોટોની રામાયણ અને મહાભારતનો કંટાળો જ એટલે આવે છે કે અહીં કાળાં નાણાં ધરાવતાં કૌરવો છે, વગર કારણે દંડાતા પાંડવો છે, શકુનીઓનો તો કોઈ તોટો નથી, અનેક સીતામાતાઓ બેન્કવનમાં જાણે બંધક બની છે, દુર્યોધનો મોટા મોટા વહીવટો કરે છે, લક્ષ્મણો બેન્ક બહાર ખાર ખાઈ રહ્યા છે, અક્ષૌહિણી સેના જાણે લાઈનો લગાવી બેઠી છે. અટ્ટહાસ્યો સંભળાય છે પણ રાવણને કોઈ જોઈ શકતું નથી, અર્જુનો વિષાદ કરે છે, પણ સારથિરૂપે સુપંથે દોરી જતાં શ્રીકૃષ્ણ કે સુશાસનના પર્યાય સમા શ્રીરામ ક્યાંય નજરે પડતાં નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 25 નવેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, November 11, 2016

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક

દિવ્યેશ વ્યાસ

 

( તસવીર  http://blogs.icemd.com પરથી લીધી છે.)

ચતુરસેન તેમના નામ પ્રમાણે ચતુર તો હતા જ પણ સાથે સાથે ચોવટાઈ કરવામાં પણ પાછા પડતા નહોતા. તેમની ચોવટ કરવાની વૃત્તિ એટલી તીવ્ર હતી કે તેમનો ચતુરાઈનો ગુણ મોટા ભાગના લોકોને ધ્યાને જ ન આવતો. ચતુરસેનનો એક ખાસ માણસ હતો. ચતુરસેન પોતે તેને ખાસ માણસ જ માનતા હતા, પરંતુ અન્ય લોકો તેને ચતુરસેનના ફોલ્ડર તરીકે ઓળખતા હતા. નવી પેઢી લોકો ક્યારેક તેના માટે સર્કિટનો કોડવર્ડ પણ વાપરતા હતા. એ ખાસ માણસ, એ ફોલ્ડર કે એ સર્કિટનું નામ હતું ફાંકેરામ.

અણ્ણા હજારેથી બહુ પ્રભાવિત એવા ફાંકેરામ પણ પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ ઉપરાંત ગોડફાધર સમાન ચતુરસેનની જેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. ફાંકેરામ ફેંકવામાં અને ફાંકા-ફોજદારી કરવામાં કદી પાછો ન પડે. અણ્ણા હજારે પછી તે વિગત વર્ષોમાં નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો હતો. એટલું જ નહિ મોદીસાહેબનો ટ્વિટર પરના ફેક પ્રકારનો નહિ પણ સાચો ફૉલોઅર હતો. ફાંકેરામનું લોહી ગરમ હતું, અથવા તો કહી શકો કે તેના લોહીનું ઉત્કલનબિંદુ બહુ નીચું હતું. વાતે વાતે તેને ગુસ્સો આવી જશો.


ફાંકેરામ એવું માનતો કે તેનો ગુસ્સો જ તેની અસલી તાકાત છે. પોતાની રોષાગ્નિથી તે ભલભલાને ઢીલા પાડી શકે છે. ચતુરસેન તેને ઘણી વખત સમજાવતા કે ‘ફાંકેરામ, વ્યક્તિ માટે ગુસ્સો સારો નહીં. માણસ જ્યારે પિત્તો ગુમાવે છે ત્યારે તેની વિવેકબુદ્ધિ બહેર મારી જતી હોય છે. અને આપણી પાસે જે ઓછું હોય તેને સાચવી રાખવું જોઈએ! વળી, ગુસ્સામાં જ્યારે ડાબેરી થયા વિના જ રાતાચોળ થઈ જઈએ અને ઉશ્કેરાટ વધી જાય તો આડુંઅવળું પગલું ભરાઈ જતું હોય છે. તું જ્યાં ને ત્યાં વારંવાર ભેરવાઈ જાય છે, એના મૂળમાં તારો ગુસ્સો જ જવાબદાર છે.’

પણ, બચાવમાં ફાંકેરામનો એક જ જવાબ હોય, ‘સાહેબ તમને કેટલી વાર સમજાવું કે ક્યાંક ભરાઈ પડ્યો હોઉં અને બુદ્ધિ પણ ચાલતી ન હોય ત્યારે આ જ ગુસ્સાએ મને કેટલી વાર બચાવ્યો છે!’ ફાંકેરામને આનાથી વધારે સલાહ આપવા જતાં તેને ગુસ્સો આવી જશે, એવા ડરે ચતુરસેન ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત સ્મરી લેતા અને ક્યારેક મનોરંજન ખાતર ‘ભેંસ આગળ ભાગવત’નું સ્મરણ કરીને મનમાં ને મનમાં જરાક હસી લેતા!

ફાંકેરામની એક વિશેષતા એ હતી કે તેને નવા નવા અખતરા કરવા બહુ ગમતા.  અખતરામાં કેટલા ખતરા છે, એ જોવાનું એણે ચતુરસેન પર છોડેલું. ‘પ્રારંભે શૂરા’ એ જાણે તેનો જીવનમંત્ર હતો. ફાંકેરામને કોઈ આઇડિયા જોરદાર લાગે એટલે તે લાગી પડતો અને આજુબાજુવાળાની વાટ લગાડી દેતો અને તેની પહેલી અને સીધી અસર ચતુરસેન પર પડતી.

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક ઝર્યા કરતી, જેમાં ચતુરસેનને ક્યારેક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના દર્શન થતાં તો ક્યારેક ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ હોવાનો વહેમ સંતોષાતો. ચતુરસેન અને ફાંકેરામ વચ્ચેની ચર્ચાની ચકમકના તણખાં તમારા સુધી દર પખવાડિયે પહોંચતાં રહેશે, સાબદા રહેજો!

(‘દિવ્ય ભાસ્કર’ના 11મી નવેમ્બર, 2016ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ-બિનસંપાદિત. )