Friday, March 10, 2017

હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા!

દિવ્યેશ વ્યાસ

(તસવીર સૌજન્ય : આઈ ન્યૂઝ)



‘દિવસો નઠારા જાય છે, એ જરૂર જશે પતન સુધી.... દિવસો નઠારા જાય છે....’ ફાંકેરામ ગીત લલકારતો લલકારતો ચતુરસેન પાસે આવી પહોંચ્યો.

‘અચ્છે દિનની વાતો કરી કરીને ફૂલીને ફાળકો થનારો આજે નઠારા દિવસોનું રોદણું કેમ રડવા લાગ્યો છે?’ ચતુરસેને શબ્દસળી ચાંપી.

‘મારા દિવસો તો જોરદાર જાય છે. કાલે લોકો હોળીની તૈયારી કરતા હશે ને બંદા તો રંગેચંગે દિવાળી મનાવતા હશે, મતબલ કે ફટાકડા ફોડતા હશે.’

‘કાલે કોઈના લગનમાં ફટાકડા ફોડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે કે શું?’

‘ચતુરસેન, કાલે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું રિઝલ્ટ નથી? પરિણામ તો શું આવવાનું છે, એ આખો દેશ જાણે છે.... અને તમે કેમ અજાણ્યા બનો છો? પરિણામ તો તમેય જાણતા જ હશો પણ તમારું મન નહીં માનતું હોય, નહીં?’

‘કાલનાં પરિણામ તો કાલે જ જાણવા મળશે. તું કેમ એગ્ઝિટ પોલવાળાઓની જેમ કૂદી રહ્યો છે? ખેર, દેશમાં તારી જેમ પૂરું જાણ્યા-સમજ્યા વિના કૂદનારા-કૂદી પડનારાઓની કોઈ કમી નથી. પણ તું કોના નઠારા દિવસોની વાત કરતો હતો, એ તો કહે...’

‘હું રાહુલ ગાંધીની વાત કરતો હતો. રાહુલબાબાની હાલત તો દિવસે દિવસે પતલી થતી જાય છે.’

‘રાહુલની ચિંતા કરનારાં તેમનાં માતુશ્રી, તેમનાં બહેનબા અને હમણાં હમણાં સોશિયલ મીડિયા પર સળવળાટ કરનારા જીજાજી પણ છે. તું રહેવા દે!’


‘હું એમની ચિંતા શા માટે કરું? હું તો માત્ર ચર્ચા કરું છું કે પહેલા આ મહાશયને એકલાને જ ‘યુવરાજ’નું બહુમાન મળતું હતું, પણ છેલ્લાં વર્ષોમાં એક પછી એક યુવરાજો ઉમેરાતાં જ જાય છે. મુલાયમસિંહના અખિલેશ, લાલુપ્રસાદના તેજપ્રતાપ અને તેજસ્વી, કરુણાનિધિના સ્ટાલિન અને અલાગિરી... અને હવે તેમાં નવો ઉમેરો થયો છે, ચંદ્રાબાબુ નાયડુના સુપુત્ર નારા લોકેશનો... નારા લોકેશ તો એવા ન્યૂઝ સાથે જ ચમક્યો છે કે માત્ર પાંચ મહિનામાં તેની સંપત્તિમાં 23 ગણો વધારો થઈ ગયો છે. નારા લોકેશ હવે ચંદ્રાબાબુના રાજકીય વારસદાર અને આંધ્રપ્રદેશના ભાવિ સીએમ તરીકે સ્થાપિત થઈ ગયો છે.’

‘ફાંકેરામ, તમે રાજનાથસિંહના દીકરા પંકજ સિંહ, વસુંધરા રાજેના દીકરા દુષ્યંતસિંહ, ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે, પ્રકાશસિંહ બાદલના દીકરા સુખબીરસિંહ બાદલ, બાળાસાહેબના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના દીકરા આદિત્ય..... વગેરે નામો કેમ ગુપચાવી જાવ છો?’

‘ગગ.. પપપ.. ગુપચાવ્યાં નહોતાં.. પણ એમ તો યાદી કેટલી લાંબી થાય?’

‘ટૂંકી યાદીમાં પણ સંતુલન જાળવી શકાય, કોઈને ટાર્ગેટ કરવાનું ટાળી શકાય, દોસ્ત...!’

‘સંતુલન જાળવવાનું હું તમારી પાસેથી શીખી લઈશ. પણ મને પ્રશ્ન એ થાય છે કે મુલાયમ સિંહનું ઉદાહરણ તાજું છે છતાં રાજકારણીઓ ધૃતરાષ્ટ્રગીરી કેમ છોડતાં જ નથી?’

‘સાચી વાત છે. જોકે, રાજકારણીઓ કંઈ શીખે-સમજે કે નહીં, લોકોએ તો સમજવું જોઈએ!’

‘લોકો તો સમજે ત્યારે સાચા, પણ તમે જોજો, રાહુલ ગાંધીની હવે કોઈ આ મુદ્દે પણ ચર્ચા નહીં કરે!’

‘રાહુલની ચર્ચા કરે કે ન કરે પણ વંશવારસના રાજકારણની ચર્ચા તો કરવી જ પડશે. બાકી તો હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા... ચાલ્યા કરશે. સંતાનવાદ બાબતે કોઈક પક્ષે તો પાર્ટી વિથ ડિફરન્સ બનવું પડશે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 10મી માર્ચ, 20174ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ - બિનસંપાદિત)

No comments:

Post a Comment