Showing posts with label રાજકારણ. Show all posts
Showing posts with label રાજકારણ. Show all posts

Friday, April 6, 2018

સંતજન તો તેને કહીએ, જે સત્તા પચાવી જાણે રે!

દિવ્યેશ વ્યાસ



‘અણ્ણા અણ્ણા બહુ કરતો હતો, જોયું ને એમની કેવી હાલત થઈ?’ ફાંકેરામ આવ્યો કે તરત ચતુરસેને ઠપકો આપ્યો.

‘એ તો તમે પાંચ દિવસ ખાધા-પીધા વિના રહો પછી જોઈ લો, તમારી હાલત પણ કેવી થઈ જાય છે!’  ફાંકેરામે પ્રતિકાર કર્યો.

‘હું એ જ કહું છું, ખાયા-પીયા કુછ નહિ, ઔર ઇજ્જત ખો કે ઘર જાના!’

‘એમની ઇજ્જત તો હજું એવી ને એવી જ છે, ખોટી વાત ન કરો.’ ફાંકેરામ ઉશ્કેરાઈ ગયો.

‘એમની ઇજ્જત એવી ને એવી જ છે, પણ એ તારા હૃદયમાં બાકી જનતા કે સરકારે તેમને કોઠું ન આપ્યું. એમાંય મીડિયા અને સોશિયલ મીડિયામાં ‘લશ્કરમાંથી ભાગી આવેલા’થી માંડીને ‘ફૂટી ગયેલી બંદૂક’ ગણાવાયા હતા.’

‘મીડિયા અને પોલિટિક્સની વાત છોડો, તમારા દિલ પર હાથ મૂકીને કહો કે અણ્ણાનો મુદ્દો 2012માં પણ સાચો હતો અને 2018માં પણ સાચો જ છે કે નહીં?’

‘એમનો મુદ્દો સાચો છે, પણ એમનો સમય રહ્યો નથી, મારા મિત્ર! કાબે અર્જૂન લૂંટ્યો વહીં ધનુષ વહી બાણ...’

‘અણ્ણા હજારે એમ હારે એવા નથી, લોકપાલ નહીં નિમાય તો છ મહિના પછી ફરી આંદોલન કરશે.’

‘અણ્ણાજીએ જે રીતે સમાધાન કરી લીધું, એ જોતાં તેઓ હવે બીજી વાર આંદોલનની ‘ભૂલ’ કરે એવું મને લાગતું નથી. હા, અણ્ણા ખાદીનાં સફેદ વસ્ત્રો છોડીને જો ભગવા પહેરીને આંદોલન કરવાની વાત કરે તો કંઈક વાત બને.’

‘ભગવાથી ભડકી જનારા આજે ભગવાની પ્રેરણા શા માટે આપી રહ્યા છે?’ ફાંકેરામે ચતુરસેનની ફિરકી લેવાના અંદાજમાં કહ્યું.

‘પ્રેરણાની વાત નથી પાક્કા પુરાવાવાળી વાત છે. તેં સમાચાર ન સાંભળ્યા? મધ્ય પ્રદેશમાં બે ભગવાધારી બાબાઓ નર્મદા કૌભાંડ યાત્રા કાઢીને આંદોલન કરવાના હતા. આંદોલન કર્મ શરૂ પણ નહોતું થયું ત્યાં તો તેમને ફળ મળી ગયું! બે બાબાઓ સહિત બીજા પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો અપાયો. અણ્ણાજીની આબરૂ તો એવી છે કે ભગવા પહેરેલા હોય તો તો રાષ્ટ્રપતિ પદના દાવેદાર બની જાય!’

‘અણ્ણાજીની મજાક ન કરો પ્લીઝ! સંતોને સત્તા મળી, એમાં તમને કેમ પેટમાં દુખવા માંડે છે.’

‘સંતોને સત્તા મળે, એની સામે મારો વાંધો નથી, પરંતુ સંતો જે કૌભાંડોની વાતો કરતા હતા, જે મુદ્દો લઈને આંદોલન કરવાના હતા, એ તો હવે ભૂલી જ જવાનો ને? સંતો સત્તાની લાલચે મૌન રાખવા માંડશે તો આપણા સંતાવલંબી સમાજનું શું થશે?’

‘ચતુરસેન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ભજન બહુ જૂનું થયું, નવું લેટેસ્ટ ભજન આવ્યું છે, સંતજન તો તેને કહીએ જે સત્તા પચાવી જાણે રે!’

‘ફાંકેરામ, સત્તા પચાવે એમાં વાંધો નથી પણ આજકાલના સંતો પહેલાં જમીન પચાવે છે, પછી સંપત્તિ પચાવે છે, મોટા સંતો તો દેશની સાથે સાથે વિદેશની સાહ્યબી પણ પચાવી જાણે છે. કેટલાક સંતોની તાકાત તો એટલી વધારે છે કે તેમના હાથમાં આવે તો આખેઆખું રાજ્ય પણ પચાવી નાખે. તેમની પાચનશક્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 6 એપ્રિલ,  2018ના રોજ પ્રકાશિત વ્યંગ્ય કૉલમ  ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, February 9, 2018

ક્યારેક ભજન ક્યારેક ભજિયાં, ક્યારે અટકશે આ કજિયા?

દિવ્યેશ વ્યાસ



‘ભજિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી, કૈસી યે રોજગારી સંભાલી...!’ ફાંકેરામ આવું કંઈક ગીત ગણગણતા પધાર્યા.

‘યે વિવાદો, યે વાદો, યે બાતોં કી દુનિયા... યે ભજિયા અગર મીલ ભી જાયે તો ક્યાં હૈ... યે કજિયા અગર થંભ ભી જાયે તો ક્યા હૈ...’ ચતુરસેને પણ સામું લલકાર્યું.

‘ચતુરસેન, તમને તો મજા પડી ગઈ હશે ને! ભજિયાનો વિવાદ સાંભળીને વિરોધ પક્ષો કરતાં તો તમારા જેવાના મોંમાં વધારે પાણી આવી ગયું હશે... તરત જ વિવાદો, વાદો અને બાતોં કી દુનિયા સાંભરી ગઈ.’

‘આવી દુનિયા સંભારવાની જ ક્યાં જરૂર છે!’

‘હા હા, જે વસ્તુ ભુલાય જ નહીં, તેને કઈ રીતે સંભારવી... ખરું ને?’

‘ભૂલવા-સંભારવાની વાત નથી, જે વસ્તુ અને વાસ્તવિકતા નરી આંખે રોજેરોજ જોવા મળે છે, તેને ન તો ભૂલી શકાય, ન સંભારી શકાય. હા, કાં તો તેનો સ્વીકાર થઈ શકે કે પછી તેની અવગણના. તારા જેવા ભક્તો અવગણનાનો આસાન માર્ગ અપનાવી રહ્યા છે.’

‘અવગણના તો તમારા જેવા બૌદ્ધિકો લોકમતની કરી રહ્યા છે. આખો દેશ ખોટો અને માત્ર તમે એક જ સાચા? લોકશાહી છે, લોકો માને એ થાય!’

‘તારા જેવા ભક્તો બસ ભજન ગાઈને રાજી રહે અને ગરમાગરમ ભજિયા જેવી  વાતોથી ઓડકાર પર ઓડકાર ખાધા કરે, બાકી લોકોનો મત તો લોકપાલ લાવવાનો નહોતો? કોણે કરી તેની અવગણના?’ ચતુરસેને ફાંકેરામની દુખતી રગ પર હાથ મૂક્યો.

‘ચતુરસેન, તમે લોકપાલની વાત લાવીને મને ઇમોશનલી બ્લેકમેલ ન કરશો. લોકપાલની જરૂર જ ન રહે, એવું શાસન આવ્યું છે, પછી એની શું ચિંતા કરવાની.’

‘વાહ મારા ફાંકેરામ... તને ક્યાંથી સમજાવવાનું શરૂ કરું, એ જ મને સમજાતું નથી. નાગરિક તરીકે વિચારતો તું ક્યારે થઈશ?’

‘70 વર્ષમાં આ દેશના લોકો રૈયત મટીને નાગરિક બની શક્યા નથી. આ મામલે તમે કૉગ્રેસને તો  દોષિત નહીં જ ઠેરવો, ખરું ને? પાછા તમે હજું કૉંગ્રેસનું શાસન ફરી આવે એવી કામના રાખતા હશો. સાચું ને?’

‘ભાજપનો વિરોધ એટલે કૉંગ્રેસને સપોર્ટ એવું ગણિત માંડો તો મારી જેવી વ્યક્તિએ 70 વર્ષથી ભાજપને જ સપોર્ટ કર્યો, એવું  સાબિત થઈ જાય! કૉંગ્રેસ હોય કે ભાજપ, આપણે તેનાં ભજનો ગાવાનું છોડીને તેના શાસનની મૂલવણી-ચકાસણી કરવાની હોય. આપણે દેશનું વિચારવાનું હોય, કોઈ વ્યક્તિ કે પક્ષનું નહીં.’

‘હવે દેશ યાદ આવશે, બંધારણ યાદ આવશે, કાયદો અને વ્યવસ્થા યાદ આવશે.... ખરા છો તમે!’

‘તમે મોંઘવારી ભૂલી જાવ, બેરોજગારી ભૂલી જાવ, ભ્રષ્ટાચાર ભૂલી જાવ, ખેડૂતોની આત્મહત્યા ભૂલી જાવ, સૈનિકોની શહીદી ભૂલી જાવ, લોકપાલ ભૂલી જાવ... તમે ય ખરા છો!’

‘આપણે ખરા જ છીએ, ખોટા કજિયા છોડીએ... બોલો, ચા-નાસ્તો કરવો છેને?’

‘હા, મગાવો, ગરમાગરમ ચા અને ભજિયા!’ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ફેબ્રુઆરી, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, December 15, 2017

ભાષણ સુણી સુણી થાક્યા કાન

દિવ્યેશ વ્યાસ



‘હાશ... માંડ ચૂંટણી પતી!’ ફાંકેરામે પોતાની વાતને સપોર્ટ કરતા હાવભાવ પણ દર્શાવ્યા.

‘લે, તું નથી ચૂંટણી લડ્યો કે નથી તારા પર કોઈ રાજકીય જવાબદારીઓ, પછી તને આટલો મોટો હાશકારો કેમ થયો?’

‘તમે ચાલ્યા કરો તો પગને થાક લાગે ને?’

‘હા, લાગે.’

‘ઢગલોએક વાસણ-કપડાં ધોવાનું આવે તો તમારા હાથ થાકે કે નહીં?’

‘થાકે. જરૂર થાકે.’

‘લગ્ન પછી તમને ચાંદલાની ચોપડી આપીને હિસાબ કરવાનું કહેવામાં આવે, તાકડે કેલ્ક્યુલેટર પણ ન હોય તો પછી તમારું દિમાગ સરવાળા કરી કરીને થાકે ને?’

‘તું તો થાકવાના પ્રશ્નો પૂછી પૂછીને નહીં થાકે પણ જવાબ આપતાં આપતાં મારી જીભને થકવાડી દઈશ. મૂળ મુદ્દાની વાત કરને.’

‘હવે તમે મારી વાત અને મારા થાકને વધુ સારી રીતે સમજી શકશો. આટલી બધી સભાઓમાં નેતાઓનાં ભાષણ સાંભળી સાંભળીને, ટીવી-અખબારોમાં ચૂંટણીને લગતા અહેવાલો જોઈ-વાંચીને થાક તો લાગે જ ને? મોદી સાહેબનું બિચારું ગળું બોલી બોલીને થાકી ગયું તો અમારા કાન પણ ક્યારેક તો થાકે ને!’

‘ઓહો હો હો.... બહુ મોટો કાનની કાળજીવાળો! કાનમાં પાંચ દિવસ પુંમડા ભરાવીને સ્વર-ઉપવાસ કરાવી દે, એટલે પાછા તરોતાજા થઈ જાય. અખબારો વાંચીને અને ટીવી જોઈને તારી આંખો પણ દુખતી હશે. આંખે પણ પાટા બાંધીને પડ્યો રહે!’

‘લોકશાહીમાં નાગરિકોએ આંખ-કાન ખુલ્લા રાખવાની વાતો કરનારા આજે પુંમડા અને પાટાની તરફેણ કરવા માંડ્યા... બહુ પરિવર્તન લાવી દીધું તમે!’ પરિવર્તન શબ્દ પર ફાંકેરામે બહુ કટાક્ષમય ભાર મૂક્યો.

‘ફાંકેરામ, એ ભૂલશો નહીં કે ભાષણોનો વિકાસ વધી જાય ત્યારે કાન પરિવર્તન માટે સરવા થતા હોય છે. દુ:ખની વાત એ છે કે કાન સરવા થાય, એની આજકાલના ભાષણખોરોને ક્યાં પરવા જ છે?’

‘નેહરુનાં ભાષણોના વખાણ કરતાં તો તમારી જીભડી ક્યારેય સુકાતી નથી. આજે સાહેબ જેવા સારા વક્તાઓના ભાષણની તમે આ રીતે ઠેકડી ઉડાડો છો?’

‘જો ભાઈ, આ ભાષણો અમૃત જેવા સારાં જ હોત તો તારા કાન દુખવાને બદલે તરોતાજા થયા હોત. આજકાલનાં ભાષણોનો સ્તર એટલો નીચે ઊતરી ગયો છે કે સાંભળનારા કદાચ ઘડી-બેઘડી રાજી થતાં હશે, છતાં તારી જેમ તેમના કાન પણ દુખી જ જતા હશે.  કદાચ સૂઝી પણ જતાં હશે, પણ બતાવતા નહીં હોય!’

‘ચૂંટણીમાં ભાષણ ન થાય તો બીજું શું થાય. તમે ગાંડા જેવી વાતો ન કરો.’

‘આ દેશમાં વિકાસ ગાંડો થયો છે કે નહીં, એ સંશોધનનો વિષય છે, પણ બૌદ્ધિકો તો ગાંડા જ થઈ ગયા છે! મારા ભાઈ, ભાષણ સિવાય પણ ઘણા સારા વિકલ્પો છે, લોકમત કેળવવાના. જોકે, ભાષણ સૌથી સહેલું અને સસ્તું પડે છે. બે શબ્દો બોલીને કામ પતી જાય! બાકી લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે કામ કરવું પડે, મહેનત કરવી પડે, ખરા અર્થમાં વિકાસ કરી બતાવવો પડે, પરિવર્તન એટલે કેવું પરિવર્તન એ સાબિત કરવું પડે. પણ એ માથાકૂટમાં ક્યાં કોઈને પડવું છે, એટલે રાજકારણીઓ ભાષણોથી પોતાનાં ભૂત ધુણાવ્યે રાખે છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 15મી ડિસેમ્બર, 2017ના અંકના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, November 3, 2017

વિચારોનો અગ્નિપથ વિ. શ્રદ્ધાનો ભક્તિપથ

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, કોઈ સારો ડોગ ટ્રેનર તારા ધ્યાનમાં છે?’

‘આજકાલ તો ડોન ટ્રેનરની ડિમાન્ડ વધી છે, ત્યારે તમને ડોગ ટ્રેનરની જરૂર કેમ પડી?’ ફાંકેરામે પોતાની જૂની આદત મુજબ સવાલની સામે જવાબ આપવાને બદલે નવો સવાલ પૂછી લીધો.

ચતુરસેને સામો સવાલ પૂછીને બદલો લીધો, ‘ડોન ટ્રેનર? એ વળી કોણ? એમનું શું કામ?’

‘ચૂંટણી આવી રહી છે ને!’

‘આમાં તું ચૂંટણી ક્યાંથી લઈ આવ્યો?’

‘મારી વાત તો પૂરી સાંભળો... જુઓ, ચૂંટણીમાં ડોનલોગની ડિમાંડ તો વધી જ જતી હોય છે, એ તો તમે જાણો છો અને વળી, છેલ્લાં દાયકાઓથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ડોનબંધુઓ હવે બીજા માટે મહેનત કરવાને બદલે પોતે જ રાજકારણમાં સ્થાન ઊભું કરવા મથતા હોય છે. ભાઈલોગમાંથી રાતોરાત ભલા  માણસની છાપ ઊભી કરવા માટે જાહેરમાં કઈ રીતે વર્તવું, કેવી રીતે ભાષણ કરવા, કેવાં વસ્ત્રો ધારણ કરવાં વગેરેની તાલીમ માટે ડોન ટ્રેનરની જરૂર ઊભી થતી હોય છે.’

‘મેં તો ડોન ટ્રેનર વિશે ક્યાંય સાંભળ્યું નથી. ઠીક છે, જવા દે એ વાત. તું કોઈ સારો ડોગ ટ્રેનર શોધી આપને.’

‘તમે ક્યાં કોઈ કૂતરો પાળ્યો છે? તમારે ડોગ ટ્રેનરની શું જરૂર?’

‘અમારી ગલીના કૂતરા રાજા અને ચાંદની કૂતરીને તાલીમ અપાવવી છે.’

‘શેની તાલીમ?’

‘સ્માર્ટ ફોન ચલાવવાની અને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવાની! રાજા અને ચાંદનીને ટ્વિટર, ફેસબુક તથા વૉટ્સએપ કોઈ શીખવાડી દે એટલે ભયોભયો..’

‘ઓહો.... ચતુરસેન હવે રાહુલ ગાંધીને રસ્તે વળવા માગે છે કે શું? તમને સેક્યુલરોને તો રાહુલ જ વહાલો છે ને!’

‘આમાં વહાલા દવલાની વાત નથી. હું તો ચેક કરવા માગું છું કે રાહુલ કહે છે કે મારા વતી મારો ડોગ પીડી ટ્વિટ કરે છે, એ વાતમાં કેટલું તથ્ય છે? કોઈ કહે અને હું માની લઉં નહીં.’

‘વાહ બૌદ્ધિક વાહ... રાહુલની જેમ તમેય કૂતરા પાસે સોશિયલ મીડિયા ચલાવડાવજો અને આઇકીડો શીખીને બ્લેક બેલ્ટ મેળવી લેજો!’

‘અલ્યા હું તો રાહુલના દાવાની ખરાઈ કરવાની વાત કહું છું અને તું તો આક્ષેપો કરવા માંડ્યો કે હું એમનો ફેન હોઉં.’

‘સોરી સોરી, તમને બૌદ્ધિકોને તો કોઈના ફેન હોવાનું સ્વીકારતા શરમ આવે, નહીં?’

‘મુદ્દો શરમનો નથી, સમજનો છે. લોકશાહીમાં નાગરિકને કોઈના ફેન બનવું પોષાય નહીં. નેતા માટે માન હોય પણ શ્રદ્ધાભાવ જાગે ત્યારે તટસ્થતાપૂર્વક વિચારવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય અને આ જોખમી બાબત છે.’

‘તમે ગમે તે કહો, હું તો અણ્ણાજી અને મોદીસાહેબનો ફેન છું છું અને છું જ!’

‘ભલે રહ્યો... મને વાંધો નથી. અમને અમારી વિચારશક્તિના અગ્નિપથ પર શાંતિથી ચાલવા દે તને તારો ભક્તિપથ મુબારક!’

(‘દિવ્ય ભાસ્કર’ના 03 નવેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું  ડહાપણ’)

Friday, October 20, 2017

સંકલ્પ કરી લે તું બે-ચાર, વાયદાનો તું’ય કર વેપાર

દિવ્યેશ વ્યાસ


(આ ક્લિપાર્ટ ગૂગલ ઇમેજ પરથી મેળવ્યું છે.)


‘રામ રામ ચતુરસેન!’ રોકેટ-સ્ટાઇલે ફાંકેરામ આવી પહોંચ્યા.

‘રામ રામ ફાંકેરામ... રામ રામ!’ ચતુરસેન ઉત્સાહથી ફાંકેરામને ભેટી પડ્યા.

‘મારું તો નવું વર્ષ સુધરી ગયું... તમારા જેવા બૌદ્ધિકોના મોંમાં રામ નામ સાંભળીને હું ધન્ય થઈ ગયો.’ ફાંકેરામે ટેટો ફોડ્યો.

‘ફાંકેરામ, વર્ષ આખું બદલાઈ ગયું પણ તું જરાય ન બદલાયો! ખેર, કહ્યું જ છે તો સાંભળી લે, હું રામનો જરાય વિરોધી નથી, રામાયણનો ચાહક છું, પણ મારો વિરોધ રામના નામે જે રાજકારણીઓ ચરી ખાય છે, એની સામે છે. બાકી અમારા ગામડાંમાં તો અમે કદી નૂતન વર્ષાભિનંદન કે હેપી ન્યૂ યર બોલ્યા જ નથી. અમે તો બેસતા વરસે ગામમાં નાના-મોટા સૌને રામ રામ કરીને જ નવા વર્ષને વધાવતા હતા.’

‘જે હોય તે, મને તો બહુ ગમ્યું...’

‘તને ગમ્યું એટલે ગંગા નાહ્યા! તારી લાગણીનો વિચાર કરીને મેં સાલ મુબારક કહેવાનું ટાળ્યું. તારા જેવા ભક્તોને કેનેડાના વડાપ્રધાને દિવાલી મુબારક કહ્યું, એમાં પેટમાં દુખવા માંડ્યું હતું. તમે તો શબ્દોમાં પણ સંવેદના-લાગણીને બદલે ધર્મને શોધી લેતા હોવ છો. બહુ સાચવવું પડે, ભાઈ!’

‘એવો ડર લાગતો હોય તો નવા વર્ષે બૌદ્ધિક સુરક્ષા યાત્રાનું આયોજન કરો. જરૂર હોય તો મીણબત્તીઓ હું લાવી આપીશ...’ ફાંકેરામે શબ્દોનો સુતળી બૉમ્બ ફોડ્યો.

‘અમારે કોઈ યાત્રાઓ કાઢવી નથી, કારણ કે અમારે કોઈના મત જોઈતા નથી. હા, નવા વર્ષે થોડા સંકલ્પો લેવાનો વિચાર કરું છું.’

‘સંકલ્પો... એ તો મારે પણ લેવાના છે.’

‘તું તો દર વર્ષે સંકલ્પો લે જ છે ને? ચૂંટણીના વાયદાઓની જેમ તારે ક્યાં સંકલ્પો પાળવાના હોય છે, પછી લઈ લે ને બે-ચાર!’

‘કૉંગ્રેસ 60 વર્ષના શાસનમાં દેશમાં કાંઈ કરી શકી નથી તો હું કંઈ રાતોરાત થોડાં તીર મારી દેવાનો.’ ફાંકેરામ અડધી વાટે ફૂટ્યા.

‘અચ્છા તો તારો રોલમૉડલ કૉંગ્રેસ છે? તેં શું 60 વર્ષનો ડોસો થાય ત્યાં સુધી કશું ન કરવાનો સંકલ્પ લીધો છે?’

‘સવાલોનો રોકેટમારો બંધ કરો. આમાં કૉંગ્રેસની કોઈ વાત જ નથી.’

‘હું એ જ કહેવા માગું છું કે તારે સંકલ્પો લેવાના છે, તારે તેને પાળવાના છે, એમાં વચ્ચે કૉંગ્રેસ કે કોઈ પાર્ટીને શા માટે ઘુસાડે છે. તું સંકલ્પ લે અને પાળી બતાવ, બાકી નબળા અને નિષ્ફળ દાખલા તો હજારો મળશે. શાસકો જેવો લૂલા બચાવ ન કરીશ. પહેલો સંકલ્પ તો એ લઈ લે કે ભાષણો સાંભળીને તાનમાં નહીં આવી જવાનું!’

‘વાહ મારા બૌદ્ધિક! નવા વર્ષે તમે તો ભારે ડહાપણ ડહોળ્યું.’

‘ડહાપણ નહોતું ડહોળવું, માત્ર શુભેચ્છાઓ જ આપવી હતી, પણ તું છંછેડ્યા વિના રહેતો નથી.’

‘નવા વર્ષે એક પાક્કો સંકલ્પ લેવો છે, તમને છંછેડ્યા કરવા, જેથી ડાહી ડાહી વાતો સાંભળવા મળે.’

‘ડાહી વાતો કાજુકતરી જેવી મીઠી ન પણ હોય... લે કાજુકતરી ખા અને મોં મીઠું કર.’

(‘દિવ્ય ભાસ્કર’ના 20મી ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, September 22, 2017

સીઝન શરૂ થશે ન્યારી, ચૂંટણી લાવશે રોજગારી

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, ગમે તે કરો, આપણને પાસપોર્ટ કઢાવી આપો.’

‘તારું આધાર કાર્ડ તો નીકળી ગયું છે ને? આધાર કાર્ડ તો હાથીનું પગલું અને ઘોડાનું પૂછડું! એમાં બધાનાં પગલાં આવી જાય અને એમાંજ બધાની પૂંછડીઓ દબાઈ જાય. આધાર હોય પછી બીજાની શું ઓશિયાળી!’

‘આધાર કાર્ડ તો ક્યારનુંય કઢાવી લીધું છે, છૂટકો છે કાંય? પણ મારા સાહેબ, પાસપોર્ટ વિના વિઝા કોણ આપવાનું?’

‘ઓહો... બડ્ડે બડ્ડે પ્લાન.... કોઈ મસમોટું કૌભાંડ કરીને માલ્યાગીરી કરવાનો તો વિચાર નથી ને?’

‘અણ્ણાનો ચાહક છું, હું તો સપનામાં પણ કૌભાંડ ન કરું.’

‘તો પછી તું પણ બૌદ્ધિકો-કર્મશીલોની જેમ દેશમાં અસહિષ્ણુતા ભાળી ગયો છે? તુંય હવે પરદેશમાં વસી જવાનો પ્લાન ઘડવા માંડ્યો છે?’

‘દેશમાં અસહિષ્ણુતા વ્યાપી હોય કે એથીય ખરાબ હાલત હોય, હું મારી માતૃભૂમિ છોડીને ક્યાંય જવાનો નથી.’

‘તો પછી વિઝા કેમ લેવા છે? કયા દેશમાં જવું છે તારે?’
ફાંકેરામે પોતાના ખ્વાબનું લોકાર્પણ કરતા કહ્યું, ‘હું અમેરિકા જવા માગું છું.’

‘કેમ અચાનક અમેરિકા જવાનું ભૂત સવાર થયું?’

‘રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ અંગેના સમાચારો અને ચર્ચાઓ વાંચીને થાય છે કે અમેરિકાના હવા-પાણીમાં કંઈક જાદુ છે.’

‘કેવો જાદુ?’

‘રાહુલ ગાંધી કેવી ડાહીડમરી વાતો કરવા માંડ્યા છે અને જોરદાર નિવેદનો આપવા માંડ્યા છે કે સ્મૃતિ ઈરાનીથી વાત ન બની તો ખુદ ભાજપ પ્રમુખ અમિત શાહે મેદાનમાં આવવું પડ્યું છે. આવી વાતો અહીં કરી હોત તો કૉંગ્રેસની આ હાલત ન થઈ હોત.’

‘અમેરિકાની હવાના જાદુથી કોઈ માણસ ડાહીડમરી વાતો કરવા માંડતો હોય તો ટ્રમ્પ નામની ઘટના પેદા જ ન થઈ હોત!’

‘અહીંના મોદી નથી ગમતા ત્યાંના ટ્રમ્પ નથી ગમતા, તમને ગમે છે કોણ?’

‘તને રાહુલની વાતો ડાહીડમરી લાગી, એ ગમ્યું... બાકી તારે તો કાયમ સાહેબ કહે તે સાચું!’

‘રાહુલે મોદીજીની ભાષણકળાના વખાણ કર્યા એ ગમ્યું અને સાથે બેરોજગારીની સમસ્યાની વાત કરી, એમાં દમ લાગ્યો.’

‘આ સત્ય તને બેરોજગાર થયો પછી સમજાયું ને? બાકી હું તો એક વર્ષથી આ મુદ્દે ગાંગર્યા કરું છું, પણ તું ભજન-કીર્તનમાંથી ઊંચો આવતો નહોતો. અને સાંભળી લે, અમેરિકામાં રોજગારી માટે જતો હોય તો ત્યાં હવે પણ સ્થિતિ કફોડી છે.’

‘મારે રોજગારી માટે અમેરિકા લાંબા થવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં ચૂંટણી આવી જ રહી છે. એકેય પક્ષને સભાઓમાં ભીડ ભેગી કર્યા વિના ચાલવાનું નથી. એટલે મને તો રોજગારી મળી જ રહેવાની છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 22મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, September 8, 2017

બ્લૂ વ્હેલ ગેમના શોખીન બૌદ્ધિકો

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, તમનેય જીવ બહુ જ વહાલો છે, એની મને ખબર પડી ગઈ.’

‘ફાંકેરામ, જાન હૈ તો જહાં હૈ. મર્યા પછી શું થાય છે, કોને ખબર!’

‘પણ, આમાં એટલા બધા ગભરાઈ જવાની કે ડરી જવાની જરૂર નથી કે તમે તમારી વહાલી અભિવ્યક્તિની આઝાદીને પણ મ્યાન કરી દો...’

‘મેં ક્યાં મારી અભિવ્યક્તિની આઝાદીને મ્યાન કરી છે?’

‘મ્યાન જ કરી છે, બાકી ગૌરી લંકેશ નામની પત્રકાર મહિલાને ગોળી મારીને ઠાર મારવામાં આવી, છતાં તમારી કલમ તો મૌન જ રહી. કોઈ મરી જાય ત્યારે બે મિનિટનું મૌન રાખવાનું હોય તમે તો બે દિવસે પણ એ અંગે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી.’

‘અરે સમાચાર મળ્યા ત્યારથી હું એ ઘટનાને વખોડી રહ્યો છું.’

‘અંગત વાતચીતમાં વખોડતા હશો, પરંતુ સોશિયલ મીડિયામાં તો મૌન જ પાળ્યું છે. ટ્રોલબલીઓથી ડરી ગયા કે શું?’

‘એમાં ડરવાનું શું! સાચું કહું તો હમણાંથી મારું નેટ અમદાવાદના રસ્તાઓ પર ચાલતી રીક્ષા જેવું સાવ ધીમું ધીમું અને હડદોલા લેતું ચાલે છે. નેટવર્ક વારંવાર ખોરવાઈ જાય છે, એટલે હમણાં સોશિયલ સાઇટ્સ પર કંઈ મૂકી શક્યો નથી. બીજી એક મારા મનની વાત કહી દઉં તો હવે સોશિયલ મીડિયા પર કંઈ મૂકવાનું મન થતું નથી.’

‘સોશિયલ મીડિયાથી વૈરાગ્ય આવી ગયો છે કે પછી કોઈ છૂપો ડર મનમાં ઘર કરી ગયો છે?’

‘વૈરાગ કે ડરની વાત નથી, પણ જો હું ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપું તો કેટલાક લોકો કૂદી પડે છે કે સરહદ પર સૈનિકો શહીદ થયા હતા ત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં પેટમાં ચૂક આવતી હતી? અગાઉ છગન-મગન-જગન મરી ગયા ત્યારે શ્રદ્ધાંજલિ આપવાનું નહોતું સૂઝ્યું અને હવે આંખો સૂઝી જાય એટલા આંસુડાં કેમ સારો છો? તું જ કહે આવા શિંગડાહીન અસામાજિક પ્રાણીઓ સાથે ક્યાં સુધી શિંગડા ભરાવવા?’

‘તોપણ ગૌરી લંકેશ જેવા પત્રકારની કરપીણ હત્યા થઈ જાય ત્યારે તમારા જેવા ન બોલે તે કેમ ચાલે? તમારું મૌન તો તમારી અભિવ્યક્તિની આઝાદીને લજવે!’

‘તું અત્યારે મોટી મોટી વાત કરવાનું રહેવા દે. ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપત તો તું જ તરત કહેત, ગૌરી લંકેશ કંઈ માત્ર પત્રકાર થોડી હતી, એ તો કર્મશીલ પણ હતી. એણે જે કર્મ કર્યાં એ ભોગવ્યાં! તમારા જેવા માટે બૌદ્ધિક, કર્મશીલ, માનવ અધિકારવાદી, આંદોલનકારીઓ... બધાનો એક જ અર્થ થાય છે - દેશદ્રોહીઓ!’

‘ચતુરસેન, સાવ સાચું કહું તો દેશના બૌદ્ધિકો-કર્મશીલો હવે બ્લૂ વ્હેલ ગેમના શોખીન બની ગયા છે. એક પછી એક આકરા સવાલો પૂછીને ગેમના લેવલ વટાવતા જાય છે અને મોતને સામેથી બોલાવે છે, પછી બીજું શું થાય!’

‘બૌદ્ધિકોનું તો જે થવાનું હશે એ થશે, એમની ચિંતા છોડો, તમે ખરેખર દેશપ્રેમી હોય તો કોઈ વિચારધારા કે પક્ષની નહિ, દેશની ચિંતા કરો.’

(‘દિવ્ય ભાસ્કર’ના 8મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, July 28, 2017

નીતી(ના)શનો છગ્ગો, ફૂટ્યો ગઠબંધનનો ફુગ્ગો

દિવ્યેશ વ્યાસ

(આ રેખાંકન કાર્ટૂનિસ્ટ શ્યામના બ્લોગ http://shyamcartoonist.blogspot.in પરથી લીધું છે.)


‘ચતુરસેન, જોયું ને? ચૂંટણી હોય કે ન હોય, ભાજપ એક પછી એક રાજ્ય સર કરતું જાય છે ને? વધુ એક રાજ્ય હવે કૉંગ્રેસ મુક્ત! આને કહેવાય રાજનીતિ.’ ફાંકેરામના મોં પર હાસ્યના બારેય મેઘ ખાંગા થઈ ગયા હતા.

‘ફાંકેરામ, તમે ખુશ ખબર લાવ્યા અને સાથે મીઠાઈ ન લાવ્યા?’

‘નીતીશકુમારે બિહારમાં સીએમ પદનો છગ્ગો લગાવ્યો અને એ પણ મોદીસાહેબના પક્ષ સાથે મળીને, એટલે મને મીઠાઈ લાવવાની ઇચ્છા તો બહુ હતી, પણ રસ્તામાં પાણી ભરાયાં હતાં.’

‘બધા રસ્તાઓ પર થોડા પાણી ભરાયા હોય? ખોટાં બહાનાં ન કાઢ.’

‘ના, એકાદ રસ્તે પાણી નહોતા ભરાયાં, પરંતુ ખાડા એટલા બધા પડ્યા હતા કે મને મારા બાઇકની દયા આવી ગઈ.’

‘તારે ખરેખર તો તારી બુદ્ધિની દયા ખાવી જોઈએ.’

‘મારી બુદ્ધિ ઠેકાણે જ છે. વાત આડે પાટે ન ચડાવો, હું બિહારની વાત કરતો હતો. હા, તમને પહેલેથી જ કહી રાખું કે  નીતીશકુમાર ભલે સાઠીમાં આવી ગયા હોય તોય તેમની બુદ્ધિ હજુ નાઠી નથી. તેમને સમજાઈ ગયું છે કે સત્તાના મહાસાગરમાં મગરમચ્છ જોડે દુશ્મની કરવા કરતાં દોસ્તી કરવામાં વધારે સલામતી છે.’

‘નીતીશકુમાર તો માસ્ટરસ્ટ્રોકકુમાર ગણાય છે, તેમની રાજકીય સમજ અંગે મને પહેલેથી માન છે, પરંતુ તું આટલો બધો કેમ ફુલાઈ રહ્યો છે?’

‘લાલુ જેવા ભ્રષ્ટાચારી સાથે નીતીશે ગઠબંધનનો ફુગ્ગો ફોડી નાખ્યો છે, એનાથી ખુશ છું. મારા અણ્ણાસાહેબ પણ ખુશ થયા હશે.’

‘અણ્ણાસાહેબ તો દેશમાં લોકપાલ નિમાશે ત્યારે ખુશ થશે!’

‘લોકપાલ-લોકપાલ શું માંડ્યું છે, તેમના પટ્ટશિષ્ય અરવિંદ કેજરીવાલ પણ લોકપાલને ભૂલી ગયા છે અને તમે છાલ છોડતા નથી!’

‘આમ તો અણ્ણાસાહેબ પણ લોકપાલ મુદ્દે ચૂપ જ છે, પણ તું એક સવાલનો જવાબ આપ, આ રોડરસ્તામાં ભ્રષ્ટાચાર ન થતો હોત તો શું તારે તારી બાઇકની દયા ખાવી પડી હોત?’

‘ના, ભ્રષ્ટાચાર ન થતો હોત તો રસ્તાની સાવ આવી હાલત ન થઈ હોત.’

‘ફાંકેરામ, હવે બીજો સવાલ, ઘાસચારો ખાઈ જનારો ભ્રષ્ટાચારી તો રોડરસ્તા ખાઈ જનારાને શું કહીશું?’

‘તમે ક્યાંની વાત ક્યાં જોડો છો... વરસાદ વધ્યો છે, હું ભાગું છું!’

‘તારા જેવા ભક્તોનો આ જ વાંધો છે, સવાલોનો વરસાદ વરસે એટલે ભાગવા માંડો છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 28મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, July 14, 2017

મૂછો ફૂટવાની વેળા, ભ્રષ્ટાચારમાં સૌ ભેળા

દિવ્યેશ વ્યાસ


(કૌભાંડી પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે તેજસ્વી યાદવ, તસવીર પીટીઆઈની છે.)

‘ફાંકેરામ, શ્રાવણ મહિનો હવે નજીકમાં છે. તું તો આ વર્ષે પણ દાઢી-મૂછો વધારવાનો છે ને?’

‘આપણું તો ફિક્સ જ હોય છે! જટાધારી શિવનું સ્મરણ કરીને એક મહિનો વાળ વધવા દેવાના.’

‘પણ આ વર્ષે રહેવા દેજે. આ વખતે દાઢી-મૂછો ન વધારતો...’

‘આ વર્ષે તો ક્યારેય ન વધારતાં હોય એવા લોકો પણ પોતાને ધાર્મિક અને ભક્તજન ગણાવવા માટે દાઢી-મૂછો વધારે તો નવાઈ નહીં!’

‘બધા ભલે વધારે તું ન વધારતો...’

‘ચતુરસેન, તમારા જેવા ઉદારવાદી બૌદ્ધિક ગણાતા વ્યક્તિમાં પહલાજ નિહલાની ક્યારથી ઘૂસી ગયો? પ્રતિબંધની લાકડી કેમ પછાડવા માંડ્યા છો?’

‘તારા ભલા માટે કહું છું. મૂછનો દોરો હવે યુવાનીની સાથે સાથે ભ્રષ્ટતાનું પણ પ્રતીક બની ગયું છે!’

‘ચતુરસેન, મજાક છોડો અને કોઈ મુદ્દાની વાત કરો.’

‘મુદ્દાની વાત તો એ છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા લાલુપુત્ર તેજસ્વીએ એવી ધારદાર દલીલ કરી છે કે આ એ વખતના ભ્રષ્ટાચારની વાત છે, જ્યારે મારો તો મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો!’

‘મૂછના દોરા કે માથામાં ધોળાને ભ્રષ્ટાચાર સાથે શું લેવાદેવા... દાઢી-મૂછ ન રાખનારા પણ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તો સામે દાઢી-મૂછ ઉપરાંત જટા રાખનારા પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછા પડતા નથી.’

‘એ ખરું પણ આમ જોવા જઈએ તો તેજસ્વીની દલીલમાં થોડો દમ પણ છે. આજથી દસ વર્ષ પહેલાં ક્રિકેટમાં કારકિર્દી ઘડવાનાં સપનાં જોતાં તરુણ તેજસ્વીને કૌભાંડ કરવાની સૂઝ ક્યાંથી હોય.’

‘એને સૂઝ ન હોય પણ તેના પિતાશ્રીએ તો ‘આવું તારું કરી નાંખું’ સ્ટાઇલમાં બેટાના નામે કરી નાખ્યું હોય, એવું બને ને!’

‘ખરું, સંપત્તિ કે પદના વારસાની જેમ ભ્રષ્ટાચારના આરોપો પણ વારસામાં મળે જ ને!’

‘આ દેશમાં કયો એવો નેતા હશે, જેમણે ભ્રષ્ટાચારથી પેદા કરેલી સંપત્તિ તેનાં સંતાનોને નહીં મળતી હોય?’

‘કોઈ અપવાદ હોય તો આપણી આંખ ઠરે, બાકી અત્યારે તો લાલુ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે!’

‘લાલુ તો એ જ લાગના છે, પરંતુ લાલુ જેવી જ કાર્યવાહી અન્ય ભ્રષ્ટાચારી નેતાઓ સામે કેમ નથી થતી? એ મોટો સવાલ છે.’

‘નાનો હોય કે મોટો, એસટી અંગે હોય કે જીએસટી અંગે, આવા સવાલનું હવે કોઈ લેવાલ નથી!’

(‘દિવ્ય ભાસ્કરના 14મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, June 30, 2017

અભિ‘નેતા’ઓના ટોળામાં આઇટમ ગર્લ

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન વિક્રમ નંદવાણીએ બનાવેલું છે.)


‘ચતુરસેન, આજકાલ GST - GST બહુ ચાલ્યું છે. છાપાંના લેખોથી માંડીને વૉટ્સએપ પર ફરતી જોક્સ પણ GSTની જ વાંચવા મળી રહી છે. કંઈક તો ફોડ પાડો.’

‘કરવેરાના ભલભલા જાણકારોથી માંડીને જાણભેદુઓ પણ કંઈ ફોડ પાડતા નથી, એમાં હું શું બોલું. GSTનું ગુજરાતી થાય, માલ અને સેવા કર. નામ પરથી અને સાંભળેલી વાતો પરથી મને તો એટલી જ ખબર છે કે પહેલી જુલાઈથી ફોડ પડાવવાનું એટલે કે સલાહ-સૂચન મેળવવાની સેવા પણ મોંઘી બની શકે છે.’

‘શું વાત કરો છો? આજે મોંઘવારી ઓછી છે તે તમે વધવાના વરતારા બહાર પાડો છો?’

‘વરતારા નથી, વાસ્તવિકતા છે.’

‘આ તો દુષ્કાળમાં અધિક માસ જેવું થશે.’

‘દુષ્કાળ અને એની ઉપર અધિક માસ વીતશે, પણ પછી તો સારો વરસાદ આવશે. FDIનો વરસાદ, રોજગારીનો વરસાદ...’

‘તમેય રાજકારણીઓની જેમ ધોળા દિવસે તારા બતાવવાનું ક્યારથી શરૂ કર્યું?’

‘લોકો ધોળા દિવસે સૂરજને ગાળો દે અને સિતારા માટે વલખાં મારે ત્યારે બીજું તો શું કરી શકાય!’


‘ખેર, સિતારાની વાત નીકળી છે ત્યારે મને આઇટમ ગર્લ યાદ આવી જાય છે!’

‘અણ્ણા હઝારેનો ચાહક અચાનક આઇટમ ગર્લના મોહમાં કાં ફસાઈ ગ્યો?’

‘સાચું કહું તો આઝમ ખાને ફસાવ્યો છે. હમણાં જ આઝમ ખાનનું નિવેદન સાંભળ્યું: મૈં બીજેપી કા આઇટમ ગર્લ હૂં. ઉનકે પાસ કોઈ ઔર શખ્સ નહીં હૈ, જિસકે બારે મેં બાત કરકે વોટ બટોરેં જા સકે.... બીજેપી કે લિયે મૈં નફરત કા એજન્ડા હૂં. મેરે ખિલાફ નફરત ફૈલાકર બીજેપી કો વોટ મિલતે હૈ. મુઝ સે પ્યાર કીજિયે, નફરત મત કીજિયે...’

‘આઝમ ખાન નિખાલસ કહેવાય કે પોતે આઇટમ ગર્લ બની રહ્યાનું કબૂલી લીધું. બાકી કેજરીવાલ હોય કે લાલૂ, એમનો પણ કંઈક આવો જ ઉપયોગ થતો રહ્યો છે.’

‘કેટલાક બબાલવીર નેતાઓ એવા પણ છે, જે સામેથી પોતાના નામના વિવાદોના પરપોટા ફોડ્યા કરે છે અને સમાચારોમાં ચમક્યા કરે છે.’

‘રાજકારણીઓ માટે લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જાણે સમાચારમાં ચમકવું અનિવાર્ય બની ગયું છે. નેતાઓ ભાષણ કળાની સાથે સાથે અભિનય કળામાં માહેર થવા મથી રહ્યા છે.’

‘સાચી વાત છે, નેતાઓ હવે અભિનેતાની અદાથી છવાઈ રહ્યા છે અને એમાં વચ્ચે વચ્ચે આઇટમ ગર્લની એન્ટ્રીઓથી લોકોનું મનોરંજન થતું રહે છે.’

‘આ મનોરંજનની માયાજાળમાં GST જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ ભુલાઈ જાય છે, એનું રોદણું ક્યાં રડવું?’

(‘દિવ્ય ભાસ્કર’માં 30મી જૂન, 2017ના તંત્રીપાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 2, 2017

દિમાગનું દહીં અને સત્તાનું માખણ

દિવ્યેશ વ્યાસ


(ગૂગલ ઇમેજ પરથી મળેલું રેખાચિત્ર)


‘આ ગાયનો એક વિવાદ ઓછો હતો તે હવે મોરનો લઈ આવ્યા!’ ચતુરસેનના ચહેરા પરની અકળામણ તેમની વાણીમાં પણ ભળેલી હતી.

‘યુનો, યે દિલ માંગે મોર!’

‘શું મોર? કંકોડા?’

‘કંકોડા નહિ, કકળાટ... રેડિયો પર કકળાટ, ટીવી પર કકળાટ, મોબાઇલ પર કકળાટ, અખબારોમાં કકળાટ, સડક પર કકળાટ અને સંસદમાં પણ કકળાટ.... બીજું કંઈ થાય કે ન થાય, બસ કકળાટ-દેકારો ચાલું રહેવો જોઈએ.’

‘એક તરફ ગરમીનો ઉકળાટ અને બીજી તરફ નીતનવા મુદ્દે પેદા થતો આ કકળાટ. મને તો એ નથી સમજાતું કે કકળાટ કરીને શું કાંદા કાઢી લેવાના છે?’

‘કાંદા કોઈને કાઢવા નથી, ભાવ ન મળતાં ખેડૂતો આમ પણ રસ્તા પર કાંદા ફેંકી દેતા હોય છે. કાંદા જેવી મામૂલી નહિ, પણ કોહિનૂર જેવી કીમતી એવી સત્તાના આ ખેલ છે.’

‘સત્તાના આ ખેલ તો હું સારી રીતે સમજું છું, પણ આ કકળાટને કારણે મારા દિમાગનું દહીં થઈ જાય છે.’

‘બસ, એ જ તો જોઈએ છે રાજકારણીઓને. લોકોના દિમાગનું દહીં થઈ જવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખતા દિમાગ બહુ ખતરનાક પુરવાર થઈ શકે છે. આવાં દિમાગ સત્તાધીશો પાસે હિસાબ માગી શકે છે, નઠારા સત્તાધીશોના તખતાઓ ઊથલાવી શકે છે, સ્વતંત્રપણે વિચારીને અણિયાળા સવાલો પૂછી શકે છે, સત્તાપક્ષ-વિપક્ષોના રાજકારણીઓની અંદરોઅંદરની મિલીભગતના ભાંડા ફોડી શકે છે, પણ દિમાગનું દહીં થઈ જાય તો પછી સાવ શાંતિ! લોકોના દિમાગનું એક વખત દહીં થઈ જાય પછી તેને મનફાવે તેમ વલોવી વલોવીને સત્તા રૂપી માખણ આસાનીથી તારવી શકાય.’

‘દિમાગનું દહીં અને સત્તાનું માખણ... વાહ ફાંકેરામ, જબરું લાવ્યો!’

‘ચતુરસેન, તમારી સાથે રહી રહીને થોડુંક તો હું પણ શીખી ગયો છું.’

‘માખણ મારવાનું રહેવા દે અને એમ કહે કે આ કકળાટનું કરવાનું શું?’

‘નાના મોંઢે મોટી વાત કરું તો માફ કરજો, પણ માહોલ જોતાં તો મને એવું લાગે છે કે તમારે કકળાટ સહન કરવાની આદત કેળવવી પડશે!’

‘ફાંકેરામ, તારી વાત તો સાચી છે. આજે દેશના સત્તાધીશો ‘ગજકેસરી’ યોગમાં મહાલી રહ્યા છે. વિમર્શલાયક મુદ્દાઓ પર પણ વાહિયાત સ્તરના વાદવિવાદના દોર ચાલી રહ્યા છે ત્યારે શાંતિ-સુમેળભર્યું વાતાવરણ સર્જાવાના યોગ જણાતા નથી.’

‘એટલે તો કહું છું કકળાટને જોઈને તમારા દિમાગનું દહીં થવા ન દેશો.’

‘ચિંતા ન કરીશ, મારા દિમાગનું દહીં થશે તોપણ માખણ બીજો કોઈ લઈ જાય, એવો ફુહડ તો હું નથી જ!’



(‘દિવ્ય ભાસ્કર’ના 2જી જૂન, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 19, 2017

જેને કોઈ ન પહોંચે તેને જેઠમલાણી પહોંચે!

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન આઉટલુકની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, નોટબંધી પછી કાળાં-ધોળાં નાણાંના ખેલમાં માહેર સીએની બોલબાલા જોઈને મને થયું હતું કે મારે સીએ જ થવા જેવું હતું.... પણ હમણાં હમણાંથી સમાચારો વાંચીને થાય છે કે આ જમાનામાં બનવું હોય તો વકીલ જ બનાય!’

‘તારા જેવા એટીકેટી સાથે માંડ માંડ બીએ પાસ થયેલાએ સીએ બનવાનાં સપનાં ન જોવાય...’

‘અરે ભાઈ, મારે તો કંઈ ભણવું નથી કે બનવું નથી. ડિગ્રી હોય કે ન હોય, તેની કેટલી બધી ઉપાધિ હોય છે! આ તો ખાલી વાત કરતો હતો કે વકીલો આજકાલ ભારે ચર્ચામાં રહે છે.’

‘તારું તો એવું છે કે જે ચર્ચામાં આવે તે તારું ચિતડું ચોરી લે છે... બહું ભોળું ને મોળું છે તારું મન... ખેર કયા વકીલનો ભક્ત બની ગયો?’

‘ભક્ત-બક્ત કોઈનો નથી બન્યો, પણ પેલા એડવોકેટ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ માટે જે જોરદાર દલીલો કરીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.. એ જોઈને હું આફરીન પોકારી ગયો.’

‘ફાંકેરામ, તું અત્યારે હરીશ સાલ્વે પર આફરીન થયો છે એ તો ઠીક બાકી મને એમ કે તું રામ જેઠમલાણીની ધારદાર દલીલોથી ઘાયલ થઈ ગયો હોઈશ.’


‘જેઠમલાણીની તો વાત જ જવા દો... કોઈ નહીં ને કેજરીવાલનો કેસ લડી રહ્યા છે!’

‘આ જ જેઠમલાણી જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારા વતી કેસ લડી રહ્યા હતા ત્યારે સારા લાગતા હતા... હર્ષદ મહેતા અને કેતન મહેતા જેવા કૌભાંડીના કેસ લડતા હતા ત્યારેય તમને વાંધો નહોતો. અડવાણીનો હવાલા કાંડવાળો કેસ લડેલા ત્યારે પણ પ્યારા લાગતા હતા. યેદ્દિયુરપ્પાનો કેસ લડ્યા ત્યારેય તમે રાજી હતા, હવે કેજરીવાલનો કેસ લડે છે ત્યારે પેટમાં કેમ દુ:ખે છે.’

‘ઓહો... તમે તો જેઠમલાણીની આખી કુંડળી કાઢી નાખી...’

‘આ તો હજું અડધી જ કુંડળી છે. આ જ જેઠમલાણીએ ડોન હાજી મસ્તાન, જેસિકા લાલના હત્યારા મનુ શર્માથી માંડીને અફઝલ ગુરુના બચાવમાં પણ દલીલો કરેલી છે. ગંદા હૈ પર ધંધા હૈ યે!’

‘તમે તો મૂડ મારી નાખ્યો... હરીશ સાલ્વેની કામગીરી જોઈને તો મને અહેસાસ થઈ ગયેલો કે એક સૈનિક નહીં, વકીલ પણ દેશભક્તિ કરી શકે છે!’

‘કોઈ પણ કામ સારી રીતે કરો, એ દેશભક્તિ જ છે! જેઠમલાણીએ પણ ઘણા સારા કેસો લડેલા જ છે, પણ તેઓ ક્યારે કોના માટે કેસ લડે એનું કંઈ કહેવાય નહીં. માત્ર ભાજપના જ નહીં અન્ય પક્ષોના નેતાઓના કેસો પણ તેઓ લડી જ ચૂક્યા છે.’

‘જેઠમલાણીએ તો અરુણ જેટલીને ‘ધૂતારા’ જ કહી દીધા! જબરું બોલે છે, આ માણસ અને એ પણ ભરી અદાલતમાં...’

‘એટલે તો તેઓ જોખમી જેઠમલાણી કહેવાય છે. કોઈ ન પહોંચે એને જેઠમલાણી પહોંચે! ભાજપની સ્થાપનામાં સહયોગ કરનારા આ માણસે એક સમયે વાજપેયી વિરુદ્ધ પણ ચૂંટણી લડી છે! આ એવા ‘રામ’ છે, જે ભાજપને ભારે પડે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 19મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 5, 2017

કવિ શું કહેવા માગે છે, એ સમજાય ત્યારે...

દિવ્યેશ વ્યાસ

(કુમાર વિશ્વાસનું કાર્ટૂન http://www.theforthright.com પરથી લીધું છે.)


‘હું કહું એ મારું શાસન, મારા શબ્દો મારું શાસન, સખણો રહેજે, છે મારું શાસન, સૌથી શ્રેષ્ઠ છે મારું શાસન’ ફાંકેરામ શાસન શબ્દની આજુબાજુ કવિતા રચવા શબ્દાસનોના અખતરા કરી રહ્યો હતો.

‘ફાંકેરામ, બાહુબલીનો ‘મેરા વચન હી મેરા શાસન’ ડાયલોગ તારા દિમાગની દીવાલ પર ચ્યુઇંગમની જેમ ચોંટી ગયો લાગે છે. રાજકારણ પછી સાહિત્ય ક્ષેત્રમાં પણ તારો ઇન્ટરેસ્ટ વધતો જતો હોય એવું મને છેલ્લા કેટલાક દિવસોથી લાગવા માંડ્યું છે.’

‘તમે જબરું પકડ્યું! મને ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં રસ પડવા માંડ્યો છે, કારણ કે હવે મને લાગે છે કે ત્યાં ભાષા કે સાહિત્ય કરતાં પણ રાજકારણમાં ફાવટ હોય તો સાહિત્યક્ષેત્રે વધારે સફળતા મળે છે. મારામાં ક્રિએટિવિટી વધારે-ઓછી હશે પણ કાવાદાવામાં તો આપણે પાવરધા છીએ જ... એટલે સાહિત્યમાં ઝંપલાવવાની ઝંખના જાગી રહી છે.’

‘સાહિત્ય ક્ષેત્રમાં રાજકારણ કરી કરીનેય લઈ શું લેવાનું? વધીને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવો કે પછી સરકાર મહેરબાન થાય તો તારા જેવા પણ પહેલવાન બનીને અકાદમીના પ્રમુખ બની શકે. જોકે, આમાં સ્પર્ધા એટલી ગળાકાપ છે કે આપણા જેવા નવાણિયા તો ક્યાંક કુટાઈ જાય!’



‘ચતુરસેન, તમે સમજ્યા નહીં... સાહિત્ય સંસ્થાઓના પ્રમુખ પદની કોને પડી છે? આપણે તો બસ રાજકારણની નેટ પ્રેક્ટિસ કરવી છે. વળી, જો પ્રાસ-અનુપ્રાસની સાથે સાથે થોડી શબ્દરમતો શીખી જવાઈ તો આપણે પણ ફાંકડું ભાષણ કરવા માંડીએ અને રાજકારણમાં જામી જઈએ...’

‘વાહ ફાંકેરામ! તમે શેખચલ્લીના વારસો જરૂર જાળવશો! સાહિત્યકાર ગણો કે શબ્દબાજ, એ બિચારો ગૌરવ પુરસ્કાર અને વધીને મહામહેનતે પદ્મશ્રી મેળવતો હોય છે. તું જ વિચાર કયો કવિ રાજકારણમાં જામી શક્યો અને સાંસદ કે મુખ્યમંત્રી બન્યો?’

‘બન્યો નથી પણ બનજે જરૂર!’

‘કોણ તું?’ ચતુરસેન હસવા માંડ્યા.

‘મારે તો થોડી વાર લાગશે પણ કુમાર વિશ્વાસ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. કેજરીવાલ સામે વાંધો પાડ્યા પછી હવે આ કવિને રાજસ્થાનના પ્રભારી બનાવી દેવાયા છે, જ્યાં આગામી વર્ષે ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીમાં સફળ થશે તો સીએમ પદ પાક્કું!’

‘કવિ હોવા છતાં કુમાર વિશ્વાસે પણ તારા જેવી મનોહર કલ્પનાઓ નહીં કરી હોય!’

‘કવિ એની કવિતામાં શું કહેવા માગે એ ન સમજાય પણ રાજકારણનું લોહી ચાખી ગયેલા કુમાર વિશ્વાસ શું કહેવા માગે છે, એ કેજરીવાલ સમજી ગયા અને રાજસ્થાન સોંપી દીધું! હવે જોજો કુમારનો કમાલ!’

‘કુમારનું શું થાય છે, એ તો સમય જ કહેશે. મારે તો એટલું જ કહેવું છે કે તું શાસનવાળી કવિતાને વહેલામાં વહેલી તકે કચરાટોપલીમાં પધરાવી દે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 5મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)

Friday, March 24, 2017

વાંઢા હોવાનું મને વહાલું લાગ્યું, સીએમ બનવાનું મારું સપનું જાગ્યું

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન ગૂગલ ઇમેજ પરથી ડાઉનલૉડ કરેલું છે.)

ફાંકેરામ આવ્યો ત્યારથી એક જ પંક્તિ ગાતો રહ્યો, ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ...’

‘આગળની પંક્તિ આવડતી નથી કે શું? તારું ભલું પૂછવું, બીજી પંક્તિ યાદ આવી જાય એટલે તો વારંવાર એક જ રેકર્ડ વગાડ્યા નથી કરતો ને?’

‘આ કોઈ સામાન્ય કાવ્યપંક્તિ નથી, આ કોઈ ફિલ્મના ગીતનું મુખડું નથી, આ તો મારો મહામંત્ર છે, મહામંત્ર!’ ફાંકેરામે જરાક ઘોઘરા અવાજે ગુજરાતી ફિલ્મના ચરિત્ર અભિનેતા જેવી સ્ટાઇલમાં જવાબ આપ્યો.

‘મહામંત્ર કોને કહેવાય એની તને કોઈ ગતાગમ છે? એવો કોઈ સવાલ પૂછીને હું મારો વખત બરબાદ કરવા માગતો નથી, પણ તને અચાનક આ મહામંત્રની ચાનક શા માટે ચડી, એનો કરી શકે તો ટૂંકમાં ખુલાસો કર.’

‘વાહ, આ મંત્રની અસર તો જોરદાર છે, લોકો મારી પાસેથી ખુલાસા પણ માગવા માંડ્યા છે!’

‘કોઈ ખુલાસો માગે એમાંય તને પ્રગતિના દર્શન થયા? તું કંઈક અવળે રસ્તે ચડી ગયો લાગે છે.’ ચતુરસેનના અવાજમાં સહેજ ચિંતા ઝળકી.

‘ચતુરસેન, હવે જ હું સાચા રસ્તે છું. કાલ સુધી મને મારું વાંઢાપણું ખુંચતું હતું, પણ હવે વાંઢા હોવાનું વહાલું લાગવા માંડ્યું છે. એકલા હોવાનો ગમ અચાનક મારા દિલોદિમાગમાંથી ગાયબ થઈ ગયો છે. સિંગલ છું અને એટલે જ અનેક સિદ્ધિઓ અને શિખરો મારો જ ઇંતેઝાર કરી રહ્યાં છે!’

‘ગાંડા, સિંગલ હોવાથી સફળ બનાતું હોત તો તું આજે અહીં હોત? તારા દિમાગમાં આવું ભૂંસું કોણે ભરાવ્યું?’

‘આજ સુધી હું સફળ ન થયો, કારણ કે મને સિંગલ હોવાનું સ્વસન્માન નહોતું, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે.’

‘શેની ખાતરી? મારા મગજની કાતરી તળવાનું છોડ ભાઈ!’

‘ચતુરસેન, તમે સમજો. દેશના વડાપ્રધાન જીદ કરીને સિંગલ રહ્યા છે. દેશના મુખ્યમંત્રીઓ પર નજર નાખો તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અપરિણીત છે, તેમની જેમ જ ઓડિશાના સીએમ નવીન પટનાયક, આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સિંગલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને ગોવામાં ફરી સત્તા સંભાળનારા મનોહર પરિકર વિધુર છે તો વસુંધરા રાજે અને મહેબૂબા મુફ્તિએ પણ ઘરસંસારથી મુક્તિ મેળવી લીધેલી છે. આ યાદીમાં તાજેતરમાં એક નવું નામ ઉમેરાણું છે - યોગી આદિત્યનાથનું... બોલો, સિંગલ હોય તો જલદી સત્તા મળે, એ વાત હવે તો તમારા ગળે ઊતરી કે નહીં?’

‘સિંગલ તો રાહુલ ગાંધી પણ છે અને તોય ચૂંટણી હારવાનો ગિનીસ રેકોર્ડ બનાવી રહ્યા છે!’ ચતુરસેને ફાંકેરામના ફુગ્ગામાં ટાંકણી ભોંકી દીધી.

‘હું રાહુલ ગાંધીજીની જેમ માત્ર સિંગલ જ રહેવાનો નથી, હું પણ યોગી આદિત્યનાથની જેમ ભગવા ધારણ કરવાનો છું... બોલો પછી તો સત્તા મળશે ને?’

‘ભગવા ધારણ કર્યા પછી પણ સત્તા મળશે કે નહીં ખબર નહીં, હા, યોગ્ય સંપ્રદાય પકડી લઈશ તો તમામ પ્રકારની સુખ-સમૃદ્ધિ જરૂર મળશે... તથાસ્તુ!’

(‘દિવ્ય ભાસ્કર’ના 24મી માર્ચ, 2017ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Friday, March 10, 2017

હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા!

દિવ્યેશ વ્યાસ

(તસવીર સૌજન્ય : આઈ ન્યૂઝ)



‘દિવસો નઠારા જાય છે, એ જરૂર જશે પતન સુધી.... દિવસો નઠારા જાય છે....’ ફાંકેરામ ગીત લલકારતો લલકારતો ચતુરસેન પાસે આવી પહોંચ્યો.

‘અચ્છે દિનની વાતો કરી કરીને ફૂલીને ફાળકો થનારો આજે નઠારા દિવસોનું રોદણું કેમ રડવા લાગ્યો છે?’ ચતુરસેને શબ્દસળી ચાંપી.

‘મારા દિવસો તો જોરદાર જાય છે. કાલે લોકો હોળીની તૈયારી કરતા હશે ને બંદા તો રંગેચંગે દિવાળી મનાવતા હશે, મતબલ કે ફટાકડા ફોડતા હશે.’

‘કાલે કોઈના લગનમાં ફટાકડા ફોડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે કે શું?’

‘ચતુરસેન, કાલે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું રિઝલ્ટ નથી? પરિણામ તો શું આવવાનું છે, એ આખો દેશ જાણે છે.... અને તમે કેમ અજાણ્યા બનો છો? પરિણામ તો તમેય જાણતા જ હશો પણ તમારું મન નહીં માનતું હોય, નહીં?’

‘કાલનાં પરિણામ તો કાલે જ જાણવા મળશે. તું કેમ એગ્ઝિટ પોલવાળાઓની જેમ કૂદી રહ્યો છે? ખેર, દેશમાં તારી જેમ પૂરું જાણ્યા-સમજ્યા વિના કૂદનારા-કૂદી પડનારાઓની કોઈ કમી નથી. પણ તું કોના નઠારા દિવસોની વાત કરતો હતો, એ તો કહે...’

‘હું રાહુલ ગાંધીની વાત કરતો હતો. રાહુલબાબાની હાલત તો દિવસે દિવસે પતલી થતી જાય છે.’

‘રાહુલની ચિંતા કરનારાં તેમનાં માતુશ્રી, તેમનાં બહેનબા અને હમણાં હમણાં સોશિયલ મીડિયા પર સળવળાટ કરનારા જીજાજી પણ છે. તું રહેવા દે!’


‘હું એમની ચિંતા શા માટે કરું? હું તો માત્ર ચર્ચા કરું છું કે પહેલા આ મહાશયને એકલાને જ ‘યુવરાજ’નું બહુમાન મળતું હતું, પણ છેલ્લાં વર્ષોમાં એક પછી એક યુવરાજો ઉમેરાતાં જ જાય છે. મુલાયમસિંહના અખિલેશ, લાલુપ્રસાદના તેજપ્રતાપ અને તેજસ્વી, કરુણાનિધિના સ્ટાલિન અને અલાગિરી... અને હવે તેમાં નવો ઉમેરો થયો છે, ચંદ્રાબાબુ નાયડુના સુપુત્ર નારા લોકેશનો... નારા લોકેશ તો એવા ન્યૂઝ સાથે જ ચમક્યો છે કે માત્ર પાંચ મહિનામાં તેની સંપત્તિમાં 23 ગણો વધારો થઈ ગયો છે. નારા લોકેશ હવે ચંદ્રાબાબુના રાજકીય વારસદાર અને આંધ્રપ્રદેશના ભાવિ સીએમ તરીકે સ્થાપિત થઈ ગયો છે.’

‘ફાંકેરામ, તમે રાજનાથસિંહના દીકરા પંકજ સિંહ, વસુંધરા રાજેના દીકરા દુષ્યંતસિંહ, ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે, પ્રકાશસિંહ બાદલના દીકરા સુખબીરસિંહ બાદલ, બાળાસાહેબના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના દીકરા આદિત્ય..... વગેરે નામો કેમ ગુપચાવી જાવ છો?’

‘ગગ.. પપપ.. ગુપચાવ્યાં નહોતાં.. પણ એમ તો યાદી કેટલી લાંબી થાય?’

‘ટૂંકી યાદીમાં પણ સંતુલન જાળવી શકાય, કોઈને ટાર્ગેટ કરવાનું ટાળી શકાય, દોસ્ત...!’

‘સંતુલન જાળવવાનું હું તમારી પાસેથી શીખી લઈશ. પણ મને પ્રશ્ન એ થાય છે કે મુલાયમ સિંહનું ઉદાહરણ તાજું છે છતાં રાજકારણીઓ ધૃતરાષ્ટ્રગીરી કેમ છોડતાં જ નથી?’

‘સાચી વાત છે. જોકે, રાજકારણીઓ કંઈ શીખે-સમજે કે નહીં, લોકોએ તો સમજવું જોઈએ!’

‘લોકો તો સમજે ત્યારે સાચા, પણ તમે જોજો, રાહુલ ગાંધીની હવે કોઈ આ મુદ્દે પણ ચર્ચા નહીં કરે!’

‘રાહુલની ચર્ચા કરે કે ન કરે પણ વંશવારસના રાજકારણની ચર્ચા તો કરવી જ પડશે. બાકી તો હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા... ચાલ્યા કરશે. સંતાનવાદ બાબતે કોઈક પક્ષે તો પાર્ટી વિથ ડિફરન્સ બનવું પડશે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 10મી માર્ચ, 20174ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ - બિનસંપાદિત)

Friday, February 24, 2017

અમર વિચિત્રકથા : રાજકારણમાં કૉમેડી

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, આજે તને એક સાવ સહેલો સવાલ પૂછવો છે.’ ચતુરસેને વાતની માંડણી કરી.

‘નેકી ઓર પૂછ-પૂછ! પૂછો, તમારે જે પૂછવું હોય તે પૂછો, પરંતુ અઘરો સવાલ હશે તો તમારે ચાર વિકલ્પો આપવા પડશે.’ ફાંકેરામે પાણી પહેલા પાળ બાંધી.

‘સવાલ સહેલો જ છે, પરંતુ તારા જેવા ગધેડાને અઘરો લાગે તો બચ્ચન સ્ટાઇલમાં ચાર વિકલ્પ આપીશ, ઓકે?’

‘તમે પણ રાજકારણીઓ જેમ ભાષાનું સ્તર નીચું કેમ લાવો છો? આપણે ત્યાં તો ચૂંટણીની હજુ વાર છે અને હું કંઈ તમારો પ્રતિસ્પર્ધી બનવાનો નથી!’

‘ઠીક છે. તો આ રહ્યો સવાલ તારા કાનના કિનારા પર... જણાવો, આપણા દેશમાં સૌથી મોટો કૉમેડી રાજકારણી કોણ છે?’


‘સવાલ ખરેખર એકદમ સહેલો છે. ભૂલથી પણ વિકલ્પ ન આપતા હું ગૂંચવાઈ જઈશ.’

‘હું વિકલ્પ નથી આપતો, તું જવાબ તો આપ.’

‘જવાબ સિમ્પલ છે - રાહુલ ગાંધી. અમારા સાહેબે હમણાં જ કહ્યું હતું કે સૌથી વધુ જોક્સ આ રાજકારણી પર બને છે.’

 ‘સૌથી વધારે જોક્સ તો રાહુલ ગાંધી પર જ બનતા હશે, પણ જવાબથી મને સંતોષ નથી.’

‘અખંડ અસંતુષ્ટ એવા અરવિંદ કેજરીવાલના નામથી તમે સંતુષ્ટ થશો?’

‘મને આશ્ચર્ય એ વાતનું છે કે તું લાલુ પ્રસાદ યાદવ, ઉમા ભારતી, બેનીપ્રસાદ વર્મા, સાક્ષી મહારાજ, શરદ પવાર, શરદ યાદવ અને ખુદ ગબ્બર - તારા સાહેબના નામ અંગે તો વિચાર જ ન કર્યો!’

‘મારા સાહેબ હમણાંથી મિમિક્રી જરૂર કરી લે છે અને તેમનાં પર કાર્ટૂનો પણ બહુ બને છે, પરંતુ લોકો તેમની વાતને હસી નાખતા નથી, એ પણ ધ્યાને લેવું જોઈએ ને!’

‘એ ખરું. આ યાદીમાં બીજા બે મોટાં નામ પણ જોડી શકાય - સુબ્રહ્મણ્યમ સ્વામી અને અમરસિંહ.’

‘સ્વામી તો હસાવવા કરતાં રડાવવાનું વધારે કરતા હોય છે, પરંતુ અમરસિંહના નામ સાથે હું સહમત છું. અમરસિંહે હજુ હમણાં જ ધડાકો કર્યો છે કે મુલાયમસિંહ અને તેમના દીકરા અખિલેશ યાદવ વચ્ચેનો ઝઘડો તો સ્પોન્સર્ડ અને સ્ક્રીપ્ટેડ જ હતો.’

‘મને તો એવી શંકા છે કે એની સ્ક્રીપ્ટ કદાચ અમરસિંહે જ લખી હશે. અમરસિંહ તો હવે ભક્ત બનવા તલપાપડ છે. અમર વિચિત્રકથાઓનો તો કોઈ અંત જ નથી.’

‘અંતહીન આડી વાતો છોડો, મને જવાબ આપો કે સૌથી કૉમેડી નેતા કોણ છે?’

‘કૉમેડી તો કોણ નથી કરતું? ભલભલા અભિનેતાઓ અને કૉમેડિયન્સ પણ રાજકારણીઓના પરફોર્મન્સ જોઈને લઘુતાગ્રંથિમાં આવી જતા હોય છે. આમાં કોને વખાણીએ કોને વખોડીએ?’

‘રાજનેતાઓ કૉમેડી કરે એ તો સારું કહેવાય, લોકોને મનોરંજન તો મળે!’

‘ફાંકેરામ, મનોરંજન કરનારા ઘણા છે, રાજકારણીઓએ પોતાનું કામ કરવું જોઈએ. તેઓ કૉમેડી કરીને જ લોકોના મન મોહી લે છે અને પોતાના મત કઢાવી લે છે. આ જ તો દેશની સૌથી મોટી ટ્રેજેડી છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 24 ફેબ્રુઆરી, 20174ના રોજ તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ મૂળ પ્રત )

Friday, January 20, 2017

તિવારીની ગુલાંટ : વારસ કરાવે ફારસ!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન સૌજન્ય : સંતાબંતા.કોમ)


‘શિયાળો બરાબરનો જામ્યો છે... ભલભલાના હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડી ઉડાડવી કઈ રીતે?’ બુઢીયાટોપીધારી ચતુરસેનના ગળામાંથી આવતો અવાજ પણ વચ્ચે વચ્ચે થીજી જતો હતો.

‘તમને ગામ આખાની ઠંડી લાગતી હશે... ટાઢ તો છે પણ એટલી બધી નહીં! આજકાલ રાજકારણની ગરમાગરમ ખબરો-ગોસિપો વાંચવા કે જોવાનું બંધ કર્યું છે કે શું?’ ઠંડીને કારણે ફાંકેરામના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા, છતાં વિરોધ પક્ષની જેમ તેણે ચતુરસેનની વાતનો ધરાર વિરોધ નોંધાવ્યો.

‘ફાંકેરામ, નથી તને ભાજપે ટિકિટ આપી દીધી કે નથી હું નવજોતસિંહ સિદ્ધુની જેમ કૉંગ્રેસમાં જોડાયો, તોપણ વગર કારણે મારો વિરોધ કરવાનો શું મતલબ? બોલ!’

‘એમ તો હું પણ કહી શકું કે શિયાળો હોય એટલે ઠંડી પડે જ, એમાં આટલો હાયહોબાળો કરવાનો શું મતલબ? ખેર, ઠંડીની વાત છોડોને થોડી રાજકારણની ગરમાગરમ વાતો કરો. તમે કૉંગ્રેસમાં 'ઘરવાપસી' કરનારા સિદ્ધુને યાદ કર્યો પણ બુઢ્ઢા થયા છતાં ગુલાંટ મારવાનું ન ભૂલેલા પેલા તિવારીસાહેબને કેમ ભૂલી ગયા?’

‘વિકાસપુરુષની છબીમાંથી ધીમે ધીમે વિલાસીપુરુષ તરીકેની ઇમેજ સર્જનારા નારાયણ દત્ત તિવારીની વાત કરો છોને? એમને તો કોણ ભૂલી શકે!’ ચતુરસેને પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

‘હા, તિવારી જેણે રાજભવનમાં પણ કામાંધતાની બીમારીને છોડી નહોતી!’

‘89 વર્ષે ફરી વરઘોડો કાઢનારા એન.ડી. તિવારીએ કામાંધતાને છોડી પણ આખરે કૉંગ્રેસને જરૂર છોડી દીધી.’

‘આ તો વારસ કરાવે ફારસ! મારું તો માનવું છે કે તિવારી 'ડીએનએપ્રૂફ' પુત્રના પ્રેમને કારણે ભાજપસીધાવ્યા લાગે છે.’

‘મને હસવું વાતે આવે છે કે એક તરફ મોદીજી કહે છે કે સગાંવહાલાં માટે ટિકિટ માગવી નહીં અને અહીં તો દીકરાને ટિકિટ અપાવવા માટે તિવારી ભાજપના ખોળે બેઠા છે.’

‘ચતુરસેન, આનું નામ રાજકારણ! બ્રાહ્મણ મતો માટે કૉંગ્રેસ છેક દિલ્હીથી શીલા દીક્ષિત લઈ આવે તો ભાજપ યુપીના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તિવારીને શા માટે મેદાનમાં ઉતારે?’

‘તિવારી મત અપાવશે કે કપાવશે, હું જાણતો નથી, પણ હા, નાક જરૂર કપાવી શકે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 20મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, January 6, 2017

ફાધર હોય કે ગોડફાધર, શિષ્યો-સંતાનો કરે ફાયર

દિવ્યેશ વ્યાસ





‘કળિયુગ... ઘોર કળિયુગ....’ આ શબ્દો બોલતાં ફાંકેરામના હાવભાવ એવા હતા જાણે તેનામાં ‘ઓ..મા.... માતાજી....!’ પોકારતાં દયાભાભી પ્રવેશી ગયાં હોય!

‘ઉદ્્ગારો અને એક્ટિંગમાં તું ઉસ્તાદ છે, એનું પ્રદર્શન વારંવાર કરવાનું રહેવા દે. મુદ્દાની વાત કર, કેશલેસના જમાનામાં તને કળિયુગ ક્યાં ભટકાઈ ગ્યો?’ ચતુરસેને વિલંબિત ઉદ્્ગારો અટકાવીને સ્પષ્ટતા માગી.

‘કળિયુગ તો ક્યાં ક્યાં નથી ભટકાતો, ક્યાં ક્યાં નથી પડઘાતો!’ ફાંકેરામે પ્રાસ-અનુપ્રાસપ્રેમી કથાકારની અદાથી ઉત્તર વાળ્યો.

‘તું આજે કોઈ મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે કે પછી તારી એક્ટિંગનો રિયાઝ કરવા? મુદ્દાની વાત કર બાકી તને
 ‘હજારની નોટ’ બનાવી દેતાં વાર નહીં લાગે!’ ચતુરસેને અઘરી ચીમકી આપી.

‘હજારની નોટ તો બને મારા અને મારા દેશના દુશ્મનો! હા, આજકાલ વૃદ્ધ-વરિષ્ઠ નેતાઓની હાલત હજારની નોટ જેવી જરૂર થઈ ગઈ છે.’

‘હા, સાચી વાત છે. જે અમેરિકાના યુવા નેતાઓનાં ઉદાહરણો આપી આપીને આપણે આપણા બુઢ્ઢા નેતાઓને કોસતા હતા, એ જ અમેરિકાએ ઇતિહાસનો સૌથી વૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ ચૂંટ્યો છે, પરંતુ આપણે ત્યાં વૃદ્ધ નેતાઓની વેલ્યૂ સતત ડાઉન થતી જાય છે. અડવાણી-જોષી પછી આ યાદીમાં આજકાલ નવું નામ ઉમેરાવા જઈ રહ્યું છે, મુલાયમસિંહ યાદવ!’

‘મુલાયમ તો એ જ લાગના છે! હું કળિયુગની વાત કરતો હતો, એ તેમના સંદર્ભે જ કહેતો હતો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એવી કહેવતને મુલાયમે પોતાના નામની જેમ જ ખોટી પાડીને કઠોરતાપૂર્વક દીકરા ટીપુ ઉર્ફે અખિલેશને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો.’

‘હાંકી કાઢ્યો હતો, પરંતુ પછી પાછો પણ લઈ લીધો ને!’

‘એ તો લેવો જ પડે ને? ટીપુએ હવે ટીપુ મટીને સમાજવાદી પક્ષમાં સાગર જેટલો વ્યાપ વિસ્તારી દીધો છે. અખિલેશ હવે સમાજવાદી પક્ષનો ચહેરો બની ગયો છે.’

‘તારો આ જ પ્રોબ્લેમ છે, ચહેરા-મોહરાની માયા જ નથી છૂટતી. લોકપ્રિયતાની આડમાં નાખો સિનિયરોને ભાડમાં!!’ ચતુરસેન તમતમી ઊઠ્યા.

‘વેપારી એવું શીખવાડે કે વેપારમાં તો સગા બાપનોય વિશ્વાસ ન કરાય, પણ આજકાલ જમાનો એવો આવ્યો છે કે રાજકારણમાં સગા બાપ તો શું દીકરાનો ય વિશ્વાસ ન કરાય!’

‘ફાંકેરામ, જોવાની વાત એ છે કે ફાધર હોય કે ગોડફાધર, તેઓ પોતાનાં શિષ્યો કે સંતાનોના હાથે જ ફાયર થઈ રહ્યા છે અને માર્ગદર્શક બનવાના નામે મૂકદર્શક (કોઈક કિસ્સામાં તો મૂર્ખદર્શક) બનીને રહી ગયા છે.’

‘ચતુરસેન, તમે એક વાત નોંધી, ‘કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે.’ એ કહેવત તો સાલી કળિયુગમાં પણ ટકી રહી છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 જાન્યુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)