Showing posts with label કૉંગ્રેસ. Show all posts
Showing posts with label કૉંગ્રેસ. Show all posts

Friday, April 20, 2018

ઉપવાસ : કોઈનું માથું ખાવાની નિષ્ફળ રીત?

દિવ્યેશ વ્યાસ


‘ચતુરસેન, આજે મને આઇન્સ્ટાઇનનું એક વાક્ય યાદ આવ્યું અને પછી ખૂબ હસવું આવ્યું.’

‘તો હસી લેવાનું બકા! આપણી સરકાર એટલી દયાળુ છે કે તેણે હસવા પર, અરે ખડખડાટ હાસ્ય પર પણ હજુ સુધી જીએસટી લગાડ્યો નથી.’

‘એમ જાહેરમાં એકલા એકલા થોડું હસી શકાય? કોઈ ગાંડા ગણી લે.’

‘એવી ફિકર નહીં કરવાની ગાંડા! આઇન્સ્ટાઇને જ કદાચ કહેલું છે કે બુદ્ધિમત્તાનું માપ નીકળી શકે, પાગલપનને માપી શકાય નહીં. તું કેટલો પાગલ છે, એનો કોઈને અંદાજ જ નહીં આવે.’

‘અચ્છા તો તમે મને પાગલ ગણો છો? જવા દો, તમને તો ક્યાં કોઈ સારા જ લાગે છે... પેલો નેતા આવો, પેલા પ્રધાને આવી ભૂલ કરી, પેલા અધિકારીની અહીં ચૂક થઈ ગઈ, પેલા મંત્રીની દાનત નથી... અને હવે તો તમે કોર્ટ કે ન્યાયમૂર્તિઓને પણ છોડતા નથી... તમને તો આખી દુનિયા પાગલ જ લાગતી હશે.. બસ તમે એક જ ડાહ્યા, તમે જ સૌથી વધુ હોંશિયાર અને તમારાં અઢારેય અંગ ચતુર!’

‘જો દોસ્ત, પાગલ માણસનું પ્રથમ લક્ષણ એ છે કે તે પેટ્રોલ કરતાં પણ વધારે જ્વલનશીલ હોય છે, સાદી ભાષામાં નાની એવી વાતમાં તેનો ગુસ્સો તરત જ ભભૂકી ઊઠે છે. આ લક્ષણનો પુરાવો તો તે અત્યારે જ આપ્યો.’

‘મારા પાગલપનની માથાકૂટ છોડો, મને આઇન્સ્ટાઇનના કયા વાક્ય પર હસવું આવ્યું, એ તો પૂછો.’

‘ચાલો પૂછ્યું. હવે બોલો...’

‘આઇન્સ્ટાઇને તો કહેલુું કે ગાંધીજી જેવો હાડમાંસનો માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે, એવું આવનારી પેઢીઓ માનશે નહીં. જોકે, ગાંધીજીએ ઉપવાસ જેવા અહિંસક શસ્ત્રથી અંગ્રેજોને હંફાવ્યા હતા, એવું તો આજનીય પેઢી કદાચ માનવાનું છોડી દેશે.’

‘અણ્ણાના આમરણ ઉપવાસ પછી લાધેલું આ જ્ઞાન લાગે છે!’

‘આમાંય અણ્ણાને ઘુસાડ્યા? બહુ કરી! તમને કૉંગ્રેસીઓ અને રાહુલ ગાંધીના છોલેભટૂરેછાપ ઉપવાસ કે વડાપ્રધાન મોદી સહિત ભાજપીઓના ફાઇવસ્ટાર ઉપવાસ યાદ જ ન આવ્યા?’

‘હા, એમ તો પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસ પણ ક્યાં 48 કલાકેય ચાલ્યા?’

‘બસ, પ્રવીણભાઈના ઉપવાસ તરત યાદ આવી ગયા... તમારા જેવા દંભી સેક્યુલરિસ્ટોને તો શ્રી રામ જ પહોંચશે!’

‘ફાંકેરામ, તને કેટલી વખત સમજાવું કે શ્રી રામનો તો હું પરમ ભક્ત છું, પણ રામના નામે જે પથ્થરો તરવા મથે છે, તેનો જ વિરોધ કરતો હોઉં છું. હા, ગાંધીજીની વિચારધારાના વિરોધીઓ પણ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરે, એ જોઈને આનંદ થાય છે.’

‘પ્યોર ગાંધીવાદી અણ્ણાજી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરે ત્યારે કેમ તમને પેટમાં દુખવા માંડે છે?’

‘ના એવું નથી દોસ્ત! અણ્ણા માટે મને પણ માન છે. ખેર, તારી એ વાતમાં ચોક્કસ દમ છે કે ઉપવાસનું શસ્ત્ર હવે અસરકારક રહ્યું નથી.’

‘ઉપવાસ હવે ઉપહાસમાં જ પરિણમે છે.’

‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય, એમ ઉપવાસ પર ઊતરી જઈને ગાંધી માર્ગે ચડી ન શકાય. કોઈનું માથું ખાવા માટે તમે ઉપવાસ પર ઊતરો તો આ શસ્ત્ર નિષ્ફળ જ જાય! ઉપવાસ અંગે ગાંધીજીએ એક શાસ્ત્ર રચેલું છે, પણ એની કોને પડી છે?’

‘અહીં શાસ્ત્રની માથાકૂટમાં કોણ પડે, શૉ મસ્ટ ગો ઓન!’

(‘દિવ્ય ભાસ્કર’ના 20 એપ્રિલ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, October 20, 2017

સંકલ્પ કરી લે તું બે-ચાર, વાયદાનો તું’ય કર વેપાર

દિવ્યેશ વ્યાસ


(આ ક્લિપાર્ટ ગૂગલ ઇમેજ પરથી મેળવ્યું છે.)


‘રામ રામ ચતુરસેન!’ રોકેટ-સ્ટાઇલે ફાંકેરામ આવી પહોંચ્યા.

‘રામ રામ ફાંકેરામ... રામ રામ!’ ચતુરસેન ઉત્સાહથી ફાંકેરામને ભેટી પડ્યા.

‘મારું તો નવું વર્ષ સુધરી ગયું... તમારા જેવા બૌદ્ધિકોના મોંમાં રામ નામ સાંભળીને હું ધન્ય થઈ ગયો.’ ફાંકેરામે ટેટો ફોડ્યો.

‘ફાંકેરામ, વર્ષ આખું બદલાઈ ગયું પણ તું જરાય ન બદલાયો! ખેર, કહ્યું જ છે તો સાંભળી લે, હું રામનો જરાય વિરોધી નથી, રામાયણનો ચાહક છું, પણ મારો વિરોધ રામના નામે જે રાજકારણીઓ ચરી ખાય છે, એની સામે છે. બાકી અમારા ગામડાંમાં તો અમે કદી નૂતન વર્ષાભિનંદન કે હેપી ન્યૂ યર બોલ્યા જ નથી. અમે તો બેસતા વરસે ગામમાં નાના-મોટા સૌને રામ રામ કરીને જ નવા વર્ષને વધાવતા હતા.’

‘જે હોય તે, મને તો બહુ ગમ્યું...’

‘તને ગમ્યું એટલે ગંગા નાહ્યા! તારી લાગણીનો વિચાર કરીને મેં સાલ મુબારક કહેવાનું ટાળ્યું. તારા જેવા ભક્તોને કેનેડાના વડાપ્રધાને દિવાલી મુબારક કહ્યું, એમાં પેટમાં દુખવા માંડ્યું હતું. તમે તો શબ્દોમાં પણ સંવેદના-લાગણીને બદલે ધર્મને શોધી લેતા હોવ છો. બહુ સાચવવું પડે, ભાઈ!’

‘એવો ડર લાગતો હોય તો નવા વર્ષે બૌદ્ધિક સુરક્ષા યાત્રાનું આયોજન કરો. જરૂર હોય તો મીણબત્તીઓ હું લાવી આપીશ...’ ફાંકેરામે શબ્દોનો સુતળી બૉમ્બ ફોડ્યો.

‘અમારે કોઈ યાત્રાઓ કાઢવી નથી, કારણ કે અમારે કોઈના મત જોઈતા નથી. હા, નવા વર્ષે થોડા સંકલ્પો લેવાનો વિચાર કરું છું.’

‘સંકલ્પો... એ તો મારે પણ લેવાના છે.’

‘તું તો દર વર્ષે સંકલ્પો લે જ છે ને? ચૂંટણીના વાયદાઓની જેમ તારે ક્યાં સંકલ્પો પાળવાના હોય છે, પછી લઈ લે ને બે-ચાર!’

‘કૉંગ્રેસ 60 વર્ષના શાસનમાં દેશમાં કાંઈ કરી શકી નથી તો હું કંઈ રાતોરાત થોડાં તીર મારી દેવાનો.’ ફાંકેરામ અડધી વાટે ફૂટ્યા.

‘અચ્છા તો તારો રોલમૉડલ કૉંગ્રેસ છે? તેં શું 60 વર્ષનો ડોસો થાય ત્યાં સુધી કશું ન કરવાનો સંકલ્પ લીધો છે?’

‘સવાલોનો રોકેટમારો બંધ કરો. આમાં કૉંગ્રેસની કોઈ વાત જ નથી.’

‘હું એ જ કહેવા માગું છું કે તારે સંકલ્પો લેવાના છે, તારે તેને પાળવાના છે, એમાં વચ્ચે કૉંગ્રેસ કે કોઈ પાર્ટીને શા માટે ઘુસાડે છે. તું સંકલ્પ લે અને પાળી બતાવ, બાકી નબળા અને નિષ્ફળ દાખલા તો હજારો મળશે. શાસકો જેવો લૂલા બચાવ ન કરીશ. પહેલો સંકલ્પ તો એ લઈ લે કે ભાષણો સાંભળીને તાનમાં નહીં આવી જવાનું!’

‘વાહ મારા બૌદ્ધિક! નવા વર્ષે તમે તો ભારે ડહાપણ ડહોળ્યું.’

‘ડહાપણ નહોતું ડહોળવું, માત્ર શુભેચ્છાઓ જ આપવી હતી, પણ તું છંછેડ્યા વિના રહેતો નથી.’

‘નવા વર્ષે એક પાક્કો સંકલ્પ લેવો છે, તમને છંછેડ્યા કરવા, જેથી ડાહી ડાહી વાતો સાંભળવા મળે.’

‘ડાહી વાતો કાજુકતરી જેવી મીઠી ન પણ હોય... લે કાજુકતરી ખા અને મોં મીઠું કર.’

(‘દિવ્ય ભાસ્કર’ના 20મી ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, January 20, 2017

તિવારીની ગુલાંટ : વારસ કરાવે ફારસ!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન સૌજન્ય : સંતાબંતા.કોમ)


‘શિયાળો બરાબરનો જામ્યો છે... ભલભલાના હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડી ઉડાડવી કઈ રીતે?’ બુઢીયાટોપીધારી ચતુરસેનના ગળામાંથી આવતો અવાજ પણ વચ્ચે વચ્ચે થીજી જતો હતો.

‘તમને ગામ આખાની ઠંડી લાગતી હશે... ટાઢ તો છે પણ એટલી બધી નહીં! આજકાલ રાજકારણની ગરમાગરમ ખબરો-ગોસિપો વાંચવા કે જોવાનું બંધ કર્યું છે કે શું?’ ઠંડીને કારણે ફાંકેરામના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા, છતાં વિરોધ પક્ષની જેમ તેણે ચતુરસેનની વાતનો ધરાર વિરોધ નોંધાવ્યો.

‘ફાંકેરામ, નથી તને ભાજપે ટિકિટ આપી દીધી કે નથી હું નવજોતસિંહ સિદ્ધુની જેમ કૉંગ્રેસમાં જોડાયો, તોપણ વગર કારણે મારો વિરોધ કરવાનો શું મતલબ? બોલ!’

‘એમ તો હું પણ કહી શકું કે શિયાળો હોય એટલે ઠંડી પડે જ, એમાં આટલો હાયહોબાળો કરવાનો શું મતલબ? ખેર, ઠંડીની વાત છોડોને થોડી રાજકારણની ગરમાગરમ વાતો કરો. તમે કૉંગ્રેસમાં 'ઘરવાપસી' કરનારા સિદ્ધુને યાદ કર્યો પણ બુઢ્ઢા થયા છતાં ગુલાંટ મારવાનું ન ભૂલેલા પેલા તિવારીસાહેબને કેમ ભૂલી ગયા?’

‘વિકાસપુરુષની છબીમાંથી ધીમે ધીમે વિલાસીપુરુષ તરીકેની ઇમેજ સર્જનારા નારાયણ દત્ત તિવારીની વાત કરો છોને? એમને તો કોણ ભૂલી શકે!’ ચતુરસેને પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

‘હા, તિવારી જેણે રાજભવનમાં પણ કામાંધતાની બીમારીને છોડી નહોતી!’

‘89 વર્ષે ફરી વરઘોડો કાઢનારા એન.ડી. તિવારીએ કામાંધતાને છોડી પણ આખરે કૉંગ્રેસને જરૂર છોડી દીધી.’

‘આ તો વારસ કરાવે ફારસ! મારું તો માનવું છે કે તિવારી 'ડીએનએપ્રૂફ' પુત્રના પ્રેમને કારણે ભાજપસીધાવ્યા લાગે છે.’

‘મને હસવું વાતે આવે છે કે એક તરફ મોદીજી કહે છે કે સગાંવહાલાં માટે ટિકિટ માગવી નહીં અને અહીં તો દીકરાને ટિકિટ અપાવવા માટે તિવારી ભાજપના ખોળે બેઠા છે.’

‘ચતુરસેન, આનું નામ રાજકારણ! બ્રાહ્મણ મતો માટે કૉંગ્રેસ છેક દિલ્હીથી શીલા દીક્ષિત લઈ આવે તો ભાજપ યુપીના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તિવારીને શા માટે મેદાનમાં ઉતારે?’

‘તિવારી મત અપાવશે કે કપાવશે, હું જાણતો નથી, પણ હા, નાક જરૂર કપાવી શકે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 20મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)