Showing posts with label BJP. Show all posts
Showing posts with label BJP. Show all posts

Friday, April 20, 2018

ઉપવાસ : કોઈનું માથું ખાવાની નિષ્ફળ રીત?

દિવ્યેશ વ્યાસ


‘ચતુરસેન, આજે મને આઇન્સ્ટાઇનનું એક વાક્ય યાદ આવ્યું અને પછી ખૂબ હસવું આવ્યું.’

‘તો હસી લેવાનું બકા! આપણી સરકાર એટલી દયાળુ છે કે તેણે હસવા પર, અરે ખડખડાટ હાસ્ય પર પણ હજુ સુધી જીએસટી લગાડ્યો નથી.’

‘એમ જાહેરમાં એકલા એકલા થોડું હસી શકાય? કોઈ ગાંડા ગણી લે.’

‘એવી ફિકર નહીં કરવાની ગાંડા! આઇન્સ્ટાઇને જ કદાચ કહેલું છે કે બુદ્ધિમત્તાનું માપ નીકળી શકે, પાગલપનને માપી શકાય નહીં. તું કેટલો પાગલ છે, એનો કોઈને અંદાજ જ નહીં આવે.’

‘અચ્છા તો તમે મને પાગલ ગણો છો? જવા દો, તમને તો ક્યાં કોઈ સારા જ લાગે છે... પેલો નેતા આવો, પેલા પ્રધાને આવી ભૂલ કરી, પેલા અધિકારીની અહીં ચૂક થઈ ગઈ, પેલા મંત્રીની દાનત નથી... અને હવે તો તમે કોર્ટ કે ન્યાયમૂર્તિઓને પણ છોડતા નથી... તમને તો આખી દુનિયા પાગલ જ લાગતી હશે.. બસ તમે એક જ ડાહ્યા, તમે જ સૌથી વધુ હોંશિયાર અને તમારાં અઢારેય અંગ ચતુર!’

‘જો દોસ્ત, પાગલ માણસનું પ્રથમ લક્ષણ એ છે કે તે પેટ્રોલ કરતાં પણ વધારે જ્વલનશીલ હોય છે, સાદી ભાષામાં નાની એવી વાતમાં તેનો ગુસ્સો તરત જ ભભૂકી ઊઠે છે. આ લક્ષણનો પુરાવો તો તે અત્યારે જ આપ્યો.’

‘મારા પાગલપનની માથાકૂટ છોડો, મને આઇન્સ્ટાઇનના કયા વાક્ય પર હસવું આવ્યું, એ તો પૂછો.’

‘ચાલો પૂછ્યું. હવે બોલો...’

‘આઇન્સ્ટાઇને તો કહેલુું કે ગાંધીજી જેવો હાડમાંસનો માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે, એવું આવનારી પેઢીઓ માનશે નહીં. જોકે, ગાંધીજીએ ઉપવાસ જેવા અહિંસક શસ્ત્રથી અંગ્રેજોને હંફાવ્યા હતા, એવું તો આજનીય પેઢી કદાચ માનવાનું છોડી દેશે.’

‘અણ્ણાના આમરણ ઉપવાસ પછી લાધેલું આ જ્ઞાન લાગે છે!’

‘આમાંય અણ્ણાને ઘુસાડ્યા? બહુ કરી! તમને કૉંગ્રેસીઓ અને રાહુલ ગાંધીના છોલેભટૂરેછાપ ઉપવાસ કે વડાપ્રધાન મોદી સહિત ભાજપીઓના ફાઇવસ્ટાર ઉપવાસ યાદ જ ન આવ્યા?’

‘હા, એમ તો પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસ પણ ક્યાં 48 કલાકેય ચાલ્યા?’

‘બસ, પ્રવીણભાઈના ઉપવાસ તરત યાદ આવી ગયા... તમારા જેવા દંભી સેક્યુલરિસ્ટોને તો શ્રી રામ જ પહોંચશે!’

‘ફાંકેરામ, તને કેટલી વખત સમજાવું કે શ્રી રામનો તો હું પરમ ભક્ત છું, પણ રામના નામે જે પથ્થરો તરવા મથે છે, તેનો જ વિરોધ કરતો હોઉં છું. હા, ગાંધીજીની વિચારધારાના વિરોધીઓ પણ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરે, એ જોઈને આનંદ થાય છે.’

‘પ્યોર ગાંધીવાદી અણ્ણાજી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરે ત્યારે કેમ તમને પેટમાં દુખવા માંડે છે?’

‘ના એવું નથી દોસ્ત! અણ્ણા માટે મને પણ માન છે. ખેર, તારી એ વાતમાં ચોક્કસ દમ છે કે ઉપવાસનું શસ્ત્ર હવે અસરકારક રહ્યું નથી.’

‘ઉપવાસ હવે ઉપહાસમાં જ પરિણમે છે.’

‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય, એમ ઉપવાસ પર ઊતરી જઈને ગાંધી માર્ગે ચડી ન શકાય. કોઈનું માથું ખાવા માટે તમે ઉપવાસ પર ઊતરો તો આ શસ્ત્ર નિષ્ફળ જ જાય! ઉપવાસ અંગે ગાંધીજીએ એક શાસ્ત્ર રચેલું છે, પણ એની કોને પડી છે?’

‘અહીં શાસ્ત્રની માથાકૂટમાં કોણ પડે, શૉ મસ્ટ ગો ઓન!’

(‘દિવ્ય ભાસ્કર’ના 20 એપ્રિલ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, May 19, 2017

જેને કોઈ ન પહોંચે તેને જેઠમલાણી પહોંચે!

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન આઉટલુકની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, નોટબંધી પછી કાળાં-ધોળાં નાણાંના ખેલમાં માહેર સીએની બોલબાલા જોઈને મને થયું હતું કે મારે સીએ જ થવા જેવું હતું.... પણ હમણાં હમણાંથી સમાચારો વાંચીને થાય છે કે આ જમાનામાં બનવું હોય તો વકીલ જ બનાય!’

‘તારા જેવા એટીકેટી સાથે માંડ માંડ બીએ પાસ થયેલાએ સીએ બનવાનાં સપનાં ન જોવાય...’

‘અરે ભાઈ, મારે તો કંઈ ભણવું નથી કે બનવું નથી. ડિગ્રી હોય કે ન હોય, તેની કેટલી બધી ઉપાધિ હોય છે! આ તો ખાલી વાત કરતો હતો કે વકીલો આજકાલ ભારે ચર્ચામાં રહે છે.’

‘તારું તો એવું છે કે જે ચર્ચામાં આવે તે તારું ચિતડું ચોરી લે છે... બહું ભોળું ને મોળું છે તારું મન... ખેર કયા વકીલનો ભક્ત બની ગયો?’

‘ભક્ત-બક્ત કોઈનો નથી બન્યો, પણ પેલા એડવોકેટ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ માટે જે જોરદાર દલીલો કરીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.. એ જોઈને હું આફરીન પોકારી ગયો.’

‘ફાંકેરામ, તું અત્યારે હરીશ સાલ્વે પર આફરીન થયો છે એ તો ઠીક બાકી મને એમ કે તું રામ જેઠમલાણીની ધારદાર દલીલોથી ઘાયલ થઈ ગયો હોઈશ.’


‘જેઠમલાણીની તો વાત જ જવા દો... કોઈ નહીં ને કેજરીવાલનો કેસ લડી રહ્યા છે!’

‘આ જ જેઠમલાણી જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારા વતી કેસ લડી રહ્યા હતા ત્યારે સારા લાગતા હતા... હર્ષદ મહેતા અને કેતન મહેતા જેવા કૌભાંડીના કેસ લડતા હતા ત્યારેય તમને વાંધો નહોતો. અડવાણીનો હવાલા કાંડવાળો કેસ લડેલા ત્યારે પણ પ્યારા લાગતા હતા. યેદ્દિયુરપ્પાનો કેસ લડ્યા ત્યારેય તમે રાજી હતા, હવે કેજરીવાલનો કેસ લડે છે ત્યારે પેટમાં કેમ દુ:ખે છે.’

‘ઓહો... તમે તો જેઠમલાણીની આખી કુંડળી કાઢી નાખી...’

‘આ તો હજું અડધી જ કુંડળી છે. આ જ જેઠમલાણીએ ડોન હાજી મસ્તાન, જેસિકા લાલના હત્યારા મનુ શર્માથી માંડીને અફઝલ ગુરુના બચાવમાં પણ દલીલો કરેલી છે. ગંદા હૈ પર ધંધા હૈ યે!’

‘તમે તો મૂડ મારી નાખ્યો... હરીશ સાલ્વેની કામગીરી જોઈને તો મને અહેસાસ થઈ ગયેલો કે એક સૈનિક નહીં, વકીલ પણ દેશભક્તિ કરી શકે છે!’

‘કોઈ પણ કામ સારી રીતે કરો, એ દેશભક્તિ જ છે! જેઠમલાણીએ પણ ઘણા સારા કેસો લડેલા જ છે, પણ તેઓ ક્યારે કોના માટે કેસ લડે એનું કંઈ કહેવાય નહીં. માત્ર ભાજપના જ નહીં અન્ય પક્ષોના નેતાઓના કેસો પણ તેઓ લડી જ ચૂક્યા છે.’

‘જેઠમલાણીએ તો અરુણ જેટલીને ‘ધૂતારા’ જ કહી દીધા! જબરું બોલે છે, આ માણસ અને એ પણ ભરી અદાલતમાં...’

‘એટલે તો તેઓ જોખમી જેઠમલાણી કહેવાય છે. કોઈ ન પહોંચે એને જેઠમલાણી પહોંચે! ભાજપની સ્થાપનામાં સહયોગ કરનારા આ માણસે એક સમયે વાજપેયી વિરુદ્ધ પણ ચૂંટણી લડી છે! આ એવા ‘રામ’ છે, જે ભાજપને ભારે પડે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 19મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, April 21, 2017

અડવાણીની આજકાલ : હમારી અધૂરી કહાની!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન આઉટલુક ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલું છે.)

ફાંકેરામ બાઉન્સર બૉલની જેમ ધસી આવ્યો. ચતુરસેનના હોંશકોંશની વિકેટ ખેરવવાના ઈરાદે કોમેન્ટ્રી શરૂ કરી, ‘ઔર એક બાર ફિર અડવાણી અપની મંજિલ પાને મેં નાકામ દિખ રહે હૈ!’

ચતુરસેને શાણા ખેલાડીની જેમ બાઉન્સર બૉલને ઇગ્નોર કરવાની સ્ટાઇલમાં કહ્યું, ‘કંઈક નવા સમાચાર હોય તો આપ...’

અમ્પાયરની આડોડાઈ પર ખિજાઈ જતાં ખેલાડીની જેમ ફાંકેરામ ચતુરસેન પર અકળાઈ ઊઠ્યો, ‘તમે જાણો છો કે હું ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનો શોખીન નથી, આપણે તો છાપું કહે તે સાચું.... ન્યૂઝ ચેનલ બતાડે એ પાક્કું!’

વાઇડ બૉલનો ઈશારો કરતા અમ્પાયર જેવા હાવભાવ સાથે ચતુરસેન બોલ્યા, ‘તારા જેવા ઇતિહાસ સરખો વાંચતાં નથી અને પછી સંસ્કૃતિ કે વારસાના નામે કૂદાકૂદ કરતા હોય છે. ઇતિહાસને વાંચો નહીં, સમજો નહીં અને પછી ધોકા લઈને નીકળી પડો... આમાં દેશનો વિકાસ ક્યાં થાય?’

આગળના બૉલ પર છગ્ગો પડ્યા પછી બૉલર જે કચકચાવીને દડો ફેંકે એમ ફાંકેરામે રોકડું પરખાવ્યું,
‘દેશનો વિકાસ તો થઈ ને જ રહેશે. અર્થશાસ્ત્રીઓ અને અંકશાસ્ત્રીઓ ગમે તે કહે દેશની પ્રગતિને હવે કોઈ રોકી શકવાનું નથી.’

સ્પિનરની જેમ મુદ્દાને ટર્ન આપીને ચતુરસેને કહ્યું, ‘વિકાસની વાત તારી સાથે કરવાનો કોઈ અર્થ નથી. તું અડવાણીનું શું કહેતો હતો?’

ફુલટોસ બૉલ મળતાં તેના પર પ્રહાર કરતાં બેટ્સમેનની ત્વરાથી ફાંકેરામ કહે, ‘અરે તમે જાણતા નથી?  સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ મામલે અડવાણી સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. લાલજીનું હવે રાષ્ટ્રપતિ બનવાનું સપનું પણ રોળાઈ શકે છે.’

‘જો ફાંકેરામ, યે તો હોના હી થા! પીએમ ઇન વેઇટિંગ જ રહી ગયા પછી પણ અડવાણી જો ખરેખર ખુદને પ્રેસિડેન્ટ ઇન વેઇટિંગ માનતા હોય તો એ એમનો પ્રશ્ન છે.’

‘અાટલી દીર્ઘ રાજકીય યાત્રા પછી કોઈ પણને ઊંચા પદની અપેક્ષા તો રહે જ ને!’

‘અપેક્ષાઓ-મહત્ત્વાકાંક્ષાઓ તો ઠીક છે, પણ સમયનો તકાદો તો સમજવો જોઈએ કે નહીં?’

‘અડવાણીને એમ હશે કે મને-કમને પણ વડાપ્રધાન પદની લાલસા જતી કરી એટલે કદાચ રાષ્ટ્રપતિ બનવા મળી શકે છે.’

‘ફાંકેરામ, બસ આ ‘મને-કમને’ જ તેમને નડી ગયું છે. અડવાણીએ સમજી લેવું જોઈએ કે હવે તેમણે ‘અચ્છે દિન’ની આશાઓ છોડી દેવી જોઈએ. સાચું કહું તો તેમણે હવે રાજકારણ છોડીને રામધુન જ ગાવી જોઈએ!’

‘અડવાણીના દિલમાં ક્યારે રામ વસે અને રામધુન ગાવા માંડે એ તો હું જાણતો નથી, પણ અત્યારે તો તેઓ કદાચ ‘હમારી અધૂરી કહાની...’ કે પછી જૂનું અને જાણીતું દિલ કે અરમાન આંસુઓં મેં બહ ગયે...’ એવું કોઈ ગીત ગણગણતા હશે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 21મી એપ્રિલના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, January 20, 2017

તિવારીની ગુલાંટ : વારસ કરાવે ફારસ!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન સૌજન્ય : સંતાબંતા.કોમ)


‘શિયાળો બરાબરનો જામ્યો છે... ભલભલાના હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડી ઉડાડવી કઈ રીતે?’ બુઢીયાટોપીધારી ચતુરસેનના ગળામાંથી આવતો અવાજ પણ વચ્ચે વચ્ચે થીજી જતો હતો.

‘તમને ગામ આખાની ઠંડી લાગતી હશે... ટાઢ તો છે પણ એટલી બધી નહીં! આજકાલ રાજકારણની ગરમાગરમ ખબરો-ગોસિપો વાંચવા કે જોવાનું બંધ કર્યું છે કે શું?’ ઠંડીને કારણે ફાંકેરામના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા, છતાં વિરોધ પક્ષની જેમ તેણે ચતુરસેનની વાતનો ધરાર વિરોધ નોંધાવ્યો.

‘ફાંકેરામ, નથી તને ભાજપે ટિકિટ આપી દીધી કે નથી હું નવજોતસિંહ સિદ્ધુની જેમ કૉંગ્રેસમાં જોડાયો, તોપણ વગર કારણે મારો વિરોધ કરવાનો શું મતલબ? બોલ!’

‘એમ તો હું પણ કહી શકું કે શિયાળો હોય એટલે ઠંડી પડે જ, એમાં આટલો હાયહોબાળો કરવાનો શું મતલબ? ખેર, ઠંડીની વાત છોડોને થોડી રાજકારણની ગરમાગરમ વાતો કરો. તમે કૉંગ્રેસમાં 'ઘરવાપસી' કરનારા સિદ્ધુને યાદ કર્યો પણ બુઢ્ઢા થયા છતાં ગુલાંટ મારવાનું ન ભૂલેલા પેલા તિવારીસાહેબને કેમ ભૂલી ગયા?’

‘વિકાસપુરુષની છબીમાંથી ધીમે ધીમે વિલાસીપુરુષ તરીકેની ઇમેજ સર્જનારા નારાયણ દત્ત તિવારીની વાત કરો છોને? એમને તો કોણ ભૂલી શકે!’ ચતુરસેને પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

‘હા, તિવારી જેણે રાજભવનમાં પણ કામાંધતાની બીમારીને છોડી નહોતી!’

‘89 વર્ષે ફરી વરઘોડો કાઢનારા એન.ડી. તિવારીએ કામાંધતાને છોડી પણ આખરે કૉંગ્રેસને જરૂર છોડી દીધી.’

‘આ તો વારસ કરાવે ફારસ! મારું તો માનવું છે કે તિવારી 'ડીએનએપ્રૂફ' પુત્રના પ્રેમને કારણે ભાજપસીધાવ્યા લાગે છે.’

‘મને હસવું વાતે આવે છે કે એક તરફ મોદીજી કહે છે કે સગાંવહાલાં માટે ટિકિટ માગવી નહીં અને અહીં તો દીકરાને ટિકિટ અપાવવા માટે તિવારી ભાજપના ખોળે બેઠા છે.’

‘ચતુરસેન, આનું નામ રાજકારણ! બ્રાહ્મણ મતો માટે કૉંગ્રેસ છેક દિલ્હીથી શીલા દીક્ષિત લઈ આવે તો ભાજપ યુપીના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તિવારીને શા માટે મેદાનમાં ઉતારે?’

‘તિવારી મત અપાવશે કે કપાવશે, હું જાણતો નથી, પણ હા, નાક જરૂર કપાવી શકે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 20મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)