Showing posts with label Modi. Show all posts
Showing posts with label Modi. Show all posts

Friday, February 23, 2018

બડે બડે બેન્ક મેં છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ!

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન www.manoramaonline.com પરથી લીધું છે.)

‘ચતુરસેન, આપણને તો ટ્રમ્પ ગમ્યા! તેઓ જે બોલે છે તે કરે છે અને કરે છે, એવું બોલે છે.’  ફાંકેરામે અમેરિકી પ્રમુખ પર પ્રશંસાનાં ફૂલ નહિ તો ફૂલની પાંખડીઓ વેરી.

‘ટ્રમ્પ આપણા નેતાઓ જેવા દંભી નથી, એ તો ખરું. નેતાના આચાર-વિચાર એકસમાન હોય તે સારી વાત છે, છતાં આચાર-વિચાર એક સરખા હોવા અને એક સરખા સારા જ હોવા વચ્ચે ઘણો ભેદ છે.’

‘તમારો મૂળ રસ ભેદ છે, એનો અમને ખૂબ ખેદ છે!’ ફાંકેરામને વાક્ય પૂરું કર્યા પછી લાગ્યું કે ‘કહીં હમ કવિ ન બન જાએ એ...’

જોકે, ચતુરસેન એમ ફાંકેરામને પ્રાસની ડાળીએ ચડીને કવિ હોવાના કેફમાં રાચવા દેવા તૈયાર નહોતા. તરત બોલ્યા, ‘જે શબ્દરમતોમાં કેદ છે, બુદ્ધિ પર ચડ્યો જેને મેદ છે... ફાંકેરામ, શબ્દચાળા છોડ અને વિચારોના બંધ ડાબલા ખોલ!’

‘ચતુરસેન તમારે તો કવિ બનવા જેવું હતું. કેટલા સરસ પ્રાસ-અનુપ્રાસ બેસાડી દો છો!’

‘કવિ બનવા સુધીની વાત કરી એ સારું કર્યું બાકી આજકાલ પ્રાસ-અનુપ્રાસવાળા લોકોની નેતાઓનાં ભાષણો લખવા માટે ભારે ડિમાંડ છે.’

‘ચતુરસેન હું તો ટ્રમ્પની વાત કરતો હતો. તેમણે ફ્લોરિડાની સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં એક વિદ્યાર્થીએ ઓપન ફાયરિંગ કરીને ડઝનેક વિદ્યાર્થીઓનો ભોગ લઈ  લીધો હતો. ત્યાં જઈને ટ્રમ્પે જોરદાર વાત કરી કે આ રીતે સ્કૂલમાં શૂટઆઉટની ઘટના વધી રહી છે ત્યારે શિક્ષકોને પણ શસ્ત્રો આપવા જોઈએ તથા તેમને સ્થિતિને કાબૂમાં લેવા માટે તાલીમ પણ આપવી જોઈએ.’

‘ટ્રમ્પનું ચાલે તો આખા દેશને ગન પકડાવીને વિશ્વવિજય માટે નીકળી પડે! તું અહીં બેન્ક લૂંટીને ભાગી ગયેલા  નીરવ મોદી વગેરેની વાત કરને... આડીઅવળી વાતો ક્યાં માંડે છે.’

‘એમાં શું વાત કરવાની? સીબીઆઈ, સરકાર પોતાની કાર્યવાહી કરી જ રહી છે અને આગળ જતાં કોર્ટ તેનું કામ કરશે. આ કંઈ રાષ્ટ્રીય સમસ્યા છે? બડે બડે બેેન્ક મેં છોટી છોટી બાતેં હોતી રહેતી  હૈ!’

‘નીરવ મોદીએ બેન્કને કેટલા કરોડનો ચૂનો ચોંટાડ્યો છે, એનો આંકડો જાણી લે પછી છોટી છોટી બાતેંવાળો ડાયલોગ ફટકાર... તુંય કેન્દ્રીય મંત્રીઓની જેમ ઠંડે કલેજે જવાબો ન આપ.’

‘ચતુરસેન, આ નીરવ મોદીનો મામલો છે, નરેન્દ્ર મોદીનો નહિ, આટલા બધા ઉત્સાહમાં ન આવી જાવ.’

‘હું ઉત્સાહમાં નથી આવ્યો, પણ તમે આટલા બધા બચાવમાં કેમ આવી ગયા છો? એનો જવાબ  તો આપો.’

ફાંકેરામ પાસે કોઈ જવાબ કે દલીલ ન બચતાં મોદીનો જ માર્ગ અપનાવીને તે મૂંગા મોંઢે ભાગી નીકળ્યો.

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર તા. 23 ફેબ્રઆરી, 2018ના રોજ પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, November 11, 2016

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક

દિવ્યેશ વ્યાસ

 

( તસવીર  http://blogs.icemd.com પરથી લીધી છે.)

ચતુરસેન તેમના નામ પ્રમાણે ચતુર તો હતા જ પણ સાથે સાથે ચોવટાઈ કરવામાં પણ પાછા પડતા નહોતા. તેમની ચોવટ કરવાની વૃત્તિ એટલી તીવ્ર હતી કે તેમનો ચતુરાઈનો ગુણ મોટા ભાગના લોકોને ધ્યાને જ ન આવતો. ચતુરસેનનો એક ખાસ માણસ હતો. ચતુરસેન પોતે તેને ખાસ માણસ જ માનતા હતા, પરંતુ અન્ય લોકો તેને ચતુરસેનના ફોલ્ડર તરીકે ઓળખતા હતા. નવી પેઢી લોકો ક્યારેક તેના માટે સર્કિટનો કોડવર્ડ પણ વાપરતા હતા. એ ખાસ માણસ, એ ફોલ્ડર કે એ સર્કિટનું નામ હતું ફાંકેરામ.

અણ્ણા હજારેથી બહુ પ્રભાવિત એવા ફાંકેરામ પણ પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ ઉપરાંત ગોડફાધર સમાન ચતુરસેનની જેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. ફાંકેરામ ફેંકવામાં અને ફાંકા-ફોજદારી કરવામાં કદી પાછો ન પડે. અણ્ણા હજારે પછી તે વિગત વર્ષોમાં નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો હતો. એટલું જ નહિ મોદીસાહેબનો ટ્વિટર પરના ફેક પ્રકારનો નહિ પણ સાચો ફૉલોઅર હતો. ફાંકેરામનું લોહી ગરમ હતું, અથવા તો કહી શકો કે તેના લોહીનું ઉત્કલનબિંદુ બહુ નીચું હતું. વાતે વાતે તેને ગુસ્સો આવી જશો.


ફાંકેરામ એવું માનતો કે તેનો ગુસ્સો જ તેની અસલી તાકાત છે. પોતાની રોષાગ્નિથી તે ભલભલાને ઢીલા પાડી શકે છે. ચતુરસેન તેને ઘણી વખત સમજાવતા કે ‘ફાંકેરામ, વ્યક્તિ માટે ગુસ્સો સારો નહીં. માણસ જ્યારે પિત્તો ગુમાવે છે ત્યારે તેની વિવેકબુદ્ધિ બહેર મારી જતી હોય છે. અને આપણી પાસે જે ઓછું હોય તેને સાચવી રાખવું જોઈએ! વળી, ગુસ્સામાં જ્યારે ડાબેરી થયા વિના જ રાતાચોળ થઈ જઈએ અને ઉશ્કેરાટ વધી જાય તો આડુંઅવળું પગલું ભરાઈ જતું હોય છે. તું જ્યાં ને ત્યાં વારંવાર ભેરવાઈ જાય છે, એના મૂળમાં તારો ગુસ્સો જ જવાબદાર છે.’

પણ, બચાવમાં ફાંકેરામનો એક જ જવાબ હોય, ‘સાહેબ તમને કેટલી વાર સમજાવું કે ક્યાંક ભરાઈ પડ્યો હોઉં અને બુદ્ધિ પણ ચાલતી ન હોય ત્યારે આ જ ગુસ્સાએ મને કેટલી વાર બચાવ્યો છે!’ ફાંકેરામને આનાથી વધારે સલાહ આપવા જતાં તેને ગુસ્સો આવી જશે, એવા ડરે ચતુરસેન ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત સ્મરી લેતા અને ક્યારેક મનોરંજન ખાતર ‘ભેંસ આગળ ભાગવત’નું સ્મરણ કરીને મનમાં ને મનમાં જરાક હસી લેતા!

ફાંકેરામની એક વિશેષતા એ હતી કે તેને નવા નવા અખતરા કરવા બહુ ગમતા.  અખતરામાં કેટલા ખતરા છે, એ જોવાનું એણે ચતુરસેન પર છોડેલું. ‘પ્રારંભે શૂરા’ એ જાણે તેનો જીવનમંત્ર હતો. ફાંકેરામને કોઈ આઇડિયા જોરદાર લાગે એટલે તે લાગી પડતો અને આજુબાજુવાળાની વાટ લગાડી દેતો અને તેની પહેલી અને સીધી અસર ચતુરસેન પર પડતી.

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક ઝર્યા કરતી, જેમાં ચતુરસેનને ક્યારેક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના દર્શન થતાં તો ક્યારેક ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ હોવાનો વહેમ સંતોષાતો. ચતુરસેન અને ફાંકેરામ વચ્ચેની ચર્ચાની ચકમકના તણખાં તમારા સુધી દર પખવાડિયે પહોંચતાં રહેશે, સાબદા રહેજો!

(‘દિવ્ય ભાસ્કર’ના 11મી નવેમ્બર, 2016ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ-બિનસંપાદિત. )