Showing posts with label ભ્રષ્ટાચાર. Show all posts
Showing posts with label ભ્રષ્ટાચાર. Show all posts

Friday, February 9, 2018

ક્યારેક ભજન ક્યારેક ભજિયાં, ક્યારે અટકશે આ કજિયા?

દિવ્યેશ વ્યાસ



‘ભજિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી, કૈસી યે રોજગારી સંભાલી...!’ ફાંકેરામ આવું કંઈક ગીત ગણગણતા પધાર્યા.

‘યે વિવાદો, યે વાદો, યે બાતોં કી દુનિયા... યે ભજિયા અગર મીલ ભી જાયે તો ક્યાં હૈ... યે કજિયા અગર થંભ ભી જાયે તો ક્યા હૈ...’ ચતુરસેને પણ સામું લલકાર્યું.

‘ચતુરસેન, તમને તો મજા પડી ગઈ હશે ને! ભજિયાનો વિવાદ સાંભળીને વિરોધ પક્ષો કરતાં તો તમારા જેવાના મોંમાં વધારે પાણી આવી ગયું હશે... તરત જ વિવાદો, વાદો અને બાતોં કી દુનિયા સાંભરી ગઈ.’

‘આવી દુનિયા સંભારવાની જ ક્યાં જરૂર છે!’

‘હા હા, જે વસ્તુ ભુલાય જ નહીં, તેને કઈ રીતે સંભારવી... ખરું ને?’

‘ભૂલવા-સંભારવાની વાત નથી, જે વસ્તુ અને વાસ્તવિકતા નરી આંખે રોજેરોજ જોવા મળે છે, તેને ન તો ભૂલી શકાય, ન સંભારી શકાય. હા, કાં તો તેનો સ્વીકાર થઈ શકે કે પછી તેની અવગણના. તારા જેવા ભક્તો અવગણનાનો આસાન માર્ગ અપનાવી રહ્યા છે.’

‘અવગણના તો તમારા જેવા બૌદ્ધિકો લોકમતની કરી રહ્યા છે. આખો દેશ ખોટો અને માત્ર તમે એક જ સાચા? લોકશાહી છે, લોકો માને એ થાય!’

‘તારા જેવા ભક્તો બસ ભજન ગાઈને રાજી રહે અને ગરમાગરમ ભજિયા જેવી  વાતોથી ઓડકાર પર ઓડકાર ખાધા કરે, બાકી લોકોનો મત તો લોકપાલ લાવવાનો નહોતો? કોણે કરી તેની અવગણના?’ ચતુરસેને ફાંકેરામની દુખતી રગ પર હાથ મૂક્યો.

‘ચતુરસેન, તમે લોકપાલની વાત લાવીને મને ઇમોશનલી બ્લેકમેલ ન કરશો. લોકપાલની જરૂર જ ન રહે, એવું શાસન આવ્યું છે, પછી એની શું ચિંતા કરવાની.’

‘વાહ મારા ફાંકેરામ... તને ક્યાંથી સમજાવવાનું શરૂ કરું, એ જ મને સમજાતું નથી. નાગરિક તરીકે વિચારતો તું ક્યારે થઈશ?’

‘70 વર્ષમાં આ દેશના લોકો રૈયત મટીને નાગરિક બની શક્યા નથી. આ મામલે તમે કૉગ્રેસને તો  દોષિત નહીં જ ઠેરવો, ખરું ને? પાછા તમે હજું કૉંગ્રેસનું શાસન ફરી આવે એવી કામના રાખતા હશો. સાચું ને?’

‘ભાજપનો વિરોધ એટલે કૉંગ્રેસને સપોર્ટ એવું ગણિત માંડો તો મારી જેવી વ્યક્તિએ 70 વર્ષથી ભાજપને જ સપોર્ટ કર્યો, એવું  સાબિત થઈ જાય! કૉંગ્રેસ હોય કે ભાજપ, આપણે તેનાં ભજનો ગાવાનું છોડીને તેના શાસનની મૂલવણી-ચકાસણી કરવાની હોય. આપણે દેશનું વિચારવાનું હોય, કોઈ વ્યક્તિ કે પક્ષનું નહીં.’

‘હવે દેશ યાદ આવશે, બંધારણ યાદ આવશે, કાયદો અને વ્યવસ્થા યાદ આવશે.... ખરા છો તમે!’

‘તમે મોંઘવારી ભૂલી જાવ, બેરોજગારી ભૂલી જાવ, ભ્રષ્ટાચાર ભૂલી જાવ, ખેડૂતોની આત્મહત્યા ભૂલી જાવ, સૈનિકોની શહીદી ભૂલી જાવ, લોકપાલ ભૂલી જાવ... તમે ય ખરા છો!’

‘આપણે ખરા જ છીએ, ખોટા કજિયા છોડીએ... બોલો, ચા-નાસ્તો કરવો છેને?’

‘હા, મગાવો, ગરમાગરમ ચા અને ભજિયા!’ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ફેબ્રુઆરી, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, July 28, 2017

નીતી(ના)શનો છગ્ગો, ફૂટ્યો ગઠબંધનનો ફુગ્ગો

દિવ્યેશ વ્યાસ

(આ રેખાંકન કાર્ટૂનિસ્ટ શ્યામના બ્લોગ http://shyamcartoonist.blogspot.in પરથી લીધું છે.)


‘ચતુરસેન, જોયું ને? ચૂંટણી હોય કે ન હોય, ભાજપ એક પછી એક રાજ્ય સર કરતું જાય છે ને? વધુ એક રાજ્ય હવે કૉંગ્રેસ મુક્ત! આને કહેવાય રાજનીતિ.’ ફાંકેરામના મોં પર હાસ્યના બારેય મેઘ ખાંગા થઈ ગયા હતા.

‘ફાંકેરામ, તમે ખુશ ખબર લાવ્યા અને સાથે મીઠાઈ ન લાવ્યા?’

‘નીતીશકુમારે બિહારમાં સીએમ પદનો છગ્ગો લગાવ્યો અને એ પણ મોદીસાહેબના પક્ષ સાથે મળીને, એટલે મને મીઠાઈ લાવવાની ઇચ્છા તો બહુ હતી, પણ રસ્તામાં પાણી ભરાયાં હતાં.’

‘બધા રસ્તાઓ પર થોડા પાણી ભરાયા હોય? ખોટાં બહાનાં ન કાઢ.’

‘ના, એકાદ રસ્તે પાણી નહોતા ભરાયાં, પરંતુ ખાડા એટલા બધા પડ્યા હતા કે મને મારા બાઇકની દયા આવી ગઈ.’

‘તારે ખરેખર તો તારી બુદ્ધિની દયા ખાવી જોઈએ.’

‘મારી બુદ્ધિ ઠેકાણે જ છે. વાત આડે પાટે ન ચડાવો, હું બિહારની વાત કરતો હતો. હા, તમને પહેલેથી જ કહી રાખું કે  નીતીશકુમાર ભલે સાઠીમાં આવી ગયા હોય તોય તેમની બુદ્ધિ હજુ નાઠી નથી. તેમને સમજાઈ ગયું છે કે સત્તાના મહાસાગરમાં મગરમચ્છ જોડે દુશ્મની કરવા કરતાં દોસ્તી કરવામાં વધારે સલામતી છે.’

‘નીતીશકુમાર તો માસ્ટરસ્ટ્રોકકુમાર ગણાય છે, તેમની રાજકીય સમજ અંગે મને પહેલેથી માન છે, પરંતુ તું આટલો બધો કેમ ફુલાઈ રહ્યો છે?’

‘લાલુ જેવા ભ્રષ્ટાચારી સાથે નીતીશે ગઠબંધનનો ફુગ્ગો ફોડી નાખ્યો છે, એનાથી ખુશ છું. મારા અણ્ણાસાહેબ પણ ખુશ થયા હશે.’

‘અણ્ણાસાહેબ તો દેશમાં લોકપાલ નિમાશે ત્યારે ખુશ થશે!’

‘લોકપાલ-લોકપાલ શું માંડ્યું છે, તેમના પટ્ટશિષ્ય અરવિંદ કેજરીવાલ પણ લોકપાલને ભૂલી ગયા છે અને તમે છાલ છોડતા નથી!’

‘આમ તો અણ્ણાસાહેબ પણ લોકપાલ મુદ્દે ચૂપ જ છે, પણ તું એક સવાલનો જવાબ આપ, આ રોડરસ્તામાં ભ્રષ્ટાચાર ન થતો હોત તો શું તારે તારી બાઇકની દયા ખાવી પડી હોત?’

‘ના, ભ્રષ્ટાચાર ન થતો હોત તો રસ્તાની સાવ આવી હાલત ન થઈ હોત.’

‘ફાંકેરામ, હવે બીજો સવાલ, ઘાસચારો ખાઈ જનારો ભ્રષ્ટાચારી તો રોડરસ્તા ખાઈ જનારાને શું કહીશું?’

‘તમે ક્યાંની વાત ક્યાં જોડો છો... વરસાદ વધ્યો છે, હું ભાગું છું!’

‘તારા જેવા ભક્તોનો આ જ વાંધો છે, સવાલોનો વરસાદ વરસે એટલે ભાગવા માંડો છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 28મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, July 14, 2017

મૂછો ફૂટવાની વેળા, ભ્રષ્ટાચારમાં સૌ ભેળા

દિવ્યેશ વ્યાસ


(કૌભાંડી પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે તેજસ્વી યાદવ, તસવીર પીટીઆઈની છે.)

‘ફાંકેરામ, શ્રાવણ મહિનો હવે નજીકમાં છે. તું તો આ વર્ષે પણ દાઢી-મૂછો વધારવાનો છે ને?’

‘આપણું તો ફિક્સ જ હોય છે! જટાધારી શિવનું સ્મરણ કરીને એક મહિનો વાળ વધવા દેવાના.’

‘પણ આ વર્ષે રહેવા દેજે. આ વખતે દાઢી-મૂછો ન વધારતો...’

‘આ વર્ષે તો ક્યારેય ન વધારતાં હોય એવા લોકો પણ પોતાને ધાર્મિક અને ભક્તજન ગણાવવા માટે દાઢી-મૂછો વધારે તો નવાઈ નહીં!’

‘બધા ભલે વધારે તું ન વધારતો...’

‘ચતુરસેન, તમારા જેવા ઉદારવાદી બૌદ્ધિક ગણાતા વ્યક્તિમાં પહલાજ નિહલાની ક્યારથી ઘૂસી ગયો? પ્રતિબંધની લાકડી કેમ પછાડવા માંડ્યા છો?’

‘તારા ભલા માટે કહું છું. મૂછનો દોરો હવે યુવાનીની સાથે સાથે ભ્રષ્ટતાનું પણ પ્રતીક બની ગયું છે!’

‘ચતુરસેન, મજાક છોડો અને કોઈ મુદ્દાની વાત કરો.’

‘મુદ્દાની વાત તો એ છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા લાલુપુત્ર તેજસ્વીએ એવી ધારદાર દલીલ કરી છે કે આ એ વખતના ભ્રષ્ટાચારની વાત છે, જ્યારે મારો તો મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો!’

‘મૂછના દોરા કે માથામાં ધોળાને ભ્રષ્ટાચાર સાથે શું લેવાદેવા... દાઢી-મૂછ ન રાખનારા પણ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તો સામે દાઢી-મૂછ ઉપરાંત જટા રાખનારા પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછા પડતા નથી.’

‘એ ખરું પણ આમ જોવા જઈએ તો તેજસ્વીની દલીલમાં થોડો દમ પણ છે. આજથી દસ વર્ષ પહેલાં ક્રિકેટમાં કારકિર્દી ઘડવાનાં સપનાં જોતાં તરુણ તેજસ્વીને કૌભાંડ કરવાની સૂઝ ક્યાંથી હોય.’

‘એને સૂઝ ન હોય પણ તેના પિતાશ્રીએ તો ‘આવું તારું કરી નાંખું’ સ્ટાઇલમાં બેટાના નામે કરી નાખ્યું હોય, એવું બને ને!’

‘ખરું, સંપત્તિ કે પદના વારસાની જેમ ભ્રષ્ટાચારના આરોપો પણ વારસામાં મળે જ ને!’

‘આ દેશમાં કયો એવો નેતા હશે, જેમણે ભ્રષ્ટાચારથી પેદા કરેલી સંપત્તિ તેનાં સંતાનોને નહીં મળતી હોય?’

‘કોઈ અપવાદ હોય તો આપણી આંખ ઠરે, બાકી અત્યારે તો લાલુ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે!’

‘લાલુ તો એ જ લાગના છે, પરંતુ લાલુ જેવી જ કાર્યવાહી અન્ય ભ્રષ્ટાચારી નેતાઓ સામે કેમ નથી થતી? એ મોટો સવાલ છે.’

‘નાનો હોય કે મોટો, એસટી અંગે હોય કે જીએસટી અંગે, આવા સવાલનું હવે કોઈ લેવાલ નથી!’

(‘દિવ્ય ભાસ્કરના 14મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)