Friday, September 8, 2017

બ્લૂ વ્હેલ ગેમના શોખીન બૌદ્ધિકો

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, તમનેય જીવ બહુ જ વહાલો છે, એની મને ખબર પડી ગઈ.’

‘ફાંકેરામ, જાન હૈ તો જહાં હૈ. મર્યા પછી શું થાય છે, કોને ખબર!’

‘પણ, આમાં એટલા બધા ગભરાઈ જવાની કે ડરી જવાની જરૂર નથી કે તમે તમારી વહાલી અભિવ્યક્તિની આઝાદીને પણ મ્યાન કરી દો...’

‘મેં ક્યાં મારી અભિવ્યક્તિની આઝાદીને મ્યાન કરી છે?’

‘મ્યાન જ કરી છે, બાકી ગૌરી લંકેશ નામની પત્રકાર મહિલાને ગોળી મારીને ઠાર મારવામાં આવી, છતાં તમારી કલમ તો મૌન જ રહી. કોઈ મરી જાય ત્યારે બે મિનિટનું મૌન રાખવાનું હોય તમે તો બે દિવસે પણ એ અંગે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી.’

‘અરે સમાચાર મળ્યા ત્યારથી હું એ ઘટનાને વખોડી રહ્યો છું.’

‘અંગત વાતચીતમાં વખોડતા હશો, પરંતુ સોશિયલ મીડિયામાં તો મૌન જ પાળ્યું છે. ટ્રોલબલીઓથી ડરી ગયા કે શું?’

‘એમાં ડરવાનું શું! સાચું કહું તો હમણાંથી મારું નેટ અમદાવાદના રસ્તાઓ પર ચાલતી રીક્ષા જેવું સાવ ધીમું ધીમું અને હડદોલા લેતું ચાલે છે. નેટવર્ક વારંવાર ખોરવાઈ જાય છે, એટલે હમણાં સોશિયલ સાઇટ્સ પર કંઈ મૂકી શક્યો નથી. બીજી એક મારા મનની વાત કહી દઉં તો હવે સોશિયલ મીડિયા પર કંઈ મૂકવાનું મન થતું નથી.’

‘સોશિયલ મીડિયાથી વૈરાગ્ય આવી ગયો છે કે પછી કોઈ છૂપો ડર મનમાં ઘર કરી ગયો છે?’

‘વૈરાગ કે ડરની વાત નથી, પણ જો હું ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપું તો કેટલાક લોકો કૂદી પડે છે કે સરહદ પર સૈનિકો શહીદ થયા હતા ત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં પેટમાં ચૂક આવતી હતી? અગાઉ છગન-મગન-જગન મરી ગયા ત્યારે શ્રદ્ધાંજલિ આપવાનું નહોતું સૂઝ્યું અને હવે આંખો સૂઝી જાય એટલા આંસુડાં કેમ સારો છો? તું જ કહે આવા શિંગડાહીન અસામાજિક પ્રાણીઓ સાથે ક્યાં સુધી શિંગડા ભરાવવા?’

‘તોપણ ગૌરી લંકેશ જેવા પત્રકારની કરપીણ હત્યા થઈ જાય ત્યારે તમારા જેવા ન બોલે તે કેમ ચાલે? તમારું મૌન તો તમારી અભિવ્યક્તિની આઝાદીને લજવે!’

‘તું અત્યારે મોટી મોટી વાત કરવાનું રહેવા દે. ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપત તો તું જ તરત કહેત, ગૌરી લંકેશ કંઈ માત્ર પત્રકાર થોડી હતી, એ તો કર્મશીલ પણ હતી. એણે જે કર્મ કર્યાં એ ભોગવ્યાં! તમારા જેવા માટે બૌદ્ધિક, કર્મશીલ, માનવ અધિકારવાદી, આંદોલનકારીઓ... બધાનો એક જ અર્થ થાય છે - દેશદ્રોહીઓ!’

‘ચતુરસેન, સાવ સાચું કહું તો દેશના બૌદ્ધિકો-કર્મશીલો હવે બ્લૂ વ્હેલ ગેમના શોખીન બની ગયા છે. એક પછી એક આકરા સવાલો પૂછીને ગેમના લેવલ વટાવતા જાય છે અને મોતને સામેથી બોલાવે છે, પછી બીજું શું થાય!’

‘બૌદ્ધિકોનું તો જે થવાનું હશે એ થશે, એમની ચિંતા છોડો, તમે ખરેખર દેશપ્રેમી હોય તો કોઈ વિચારધારા કે પક્ષની નહિ, દેશની ચિંતા કરો.’

(‘દિવ્ય ભાસ્કર’ના 8મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

No comments:

Post a Comment