Friday, April 7, 2017

ભક્તે ભગવાન બદલી નાખ્યા કે શું?

દિવ્યેશ ‌‌વ્યાસ


(ઇલસ્ટ્રેશન ધ ક્વિન્ટ.કોમમાંથી લીધું છે.)

‘યોગીજી તારો.... યોગીજી તારો.... યોગીજી તારો સંન્યાસ વખાણું કે પછી તારું શાસન વખાણું....’ અઠંગ ભજનિકની અદાથી આ એક જ પંકિત ગાતાં ગાતાં ફાંકેરામ આવી પહોંચ્યો. તેના ચહેરા પર જાણે કેસૂડાનાં હજારો ફૂલો ખીલી ઊઠ્યા હતા. ફાંકેરામની ખુશી તેના વ્યક્તિત્વની બહાર જાણે છલકાઈ રહી હતી. એક ભક્તને શોભે એવા ભોળા ભાવ અને માસૂમ પ્રસન્નતા તેના ચહેરા પરથી જાણે ટપકી રહ્યા હતા.

‘શું વાત છે! ભક્તે પોતાના ભગવાન બદલી નાખ્યા કે શું?’ ચતુરસેને તરત સવાલ કર્યો.

‘એક ભજન જરા બદલાવ્યું, એમાં ભગવાન બદલી નાખવાની વાત ક્યાં આવી? પાણીમાંથી પોરા કાઢવાનું તો કોઈ બૌદ્ધિકો પાસેથી શીખે.’

‘હા, અમારા બૌદ્ધિકો પાસેથી તો ઘણું શીખવાનું છે, પણ ઓછી બુદ્ધિના લોકોએ પહેલાં સ્વીકારવું તો જોઈએ કે આ બુદ્ધિશાળી લોકો છે, શાણા લોકો છે, એમની વાત કાને ધરવી જોઈએ અને દિમાગે કસવી જોઈએ. પણ અક્કલ ઓછી ને અહંકાર (જેને ‘ગૌરવ’ જેવું લોભામણું નામ પણ મળેલું છે) ઝાઝો હોય ત્યાં બૌદ્ધિકોને તો કોણ પૂછે?’

‘બૌદ્ધિકોને તો અમારે પૂછવું’ય નથી, એટલે એની તો વાત જ જવા દો. પણ તમને એવું કેમ લાગ્યું કે અમે ભગવાન બદલી નાખ્યા?’

‘પહેલાં તું મને બૌદ્ધિક ગણાવે છે, પછી કહે છે કે બૌદ્ધિકોને અમારે પૂછવું નથી અને વળી પાછો મને જ પ્રશ્ન પૂછે છે. હું બૌદ્ધિક છું કે નહીં ખબર નથી, પણ તું અક્કલમઠ્ઠો હોવાનું કેમ પુરવાર કરી રહ્યો છે?’

 ‘એવા રે અમે એવા રે તમે અક્કમઠ્ઠા કહો તો એવા રે! બસ સંતોષ થયો? હવે તો પૂછેલા પ્રશ્નનો જવાબ આપો.’

‘ફાંકેરામ, તું તો મોદીનો ભક્ત હતો, હવે યોગીનો ભક્ત થઈ ગયો હોય એવું લાગે છે.’

‘કોઈ રાજનેતા પ્રત્યેની ચાહનાને તમારે ભક્તિ ગણવી હોય તો ગણો, મને કોઈ ફરક નથી પડતો રહી વાત મોદી કે યોગીની, તો યોગીજી નવા નવા સત્તા પર આવ્યા છે અને તમે તો જાણો જ છો કે જેની જાન હોય એનાં જ ગાણાં ગવાય!’

‘હે ભગવાન! આ દેશને ફાંકેરામ જેવા ચિયરલીડર્સથી બચાવી લેજો!!’

‘ચાહક કહો કે ચિયરલીડર્સ, પણ તમારે અને તમારી બુદ્ધિએ એટલું તો સ્વીકારવું જ પડશે કે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનીને સપાટો બોલાવ્યો છે. ધડાધડ નિર્ણયો કરીને ઉત્તર પ્રદેશના શાસનને
ધમધમતું કરી દીધું છે.’

‘તારે મન શાસન એટલે કડક ચા જેવાં ‘કિક’ આપતાં ભાષણો, કડક નિયમો, આડેધડ પ્રતિબંધો અને ઉપરથી પ્રચારમારાનો વઘાર... આટલું જ હશે ને?’

‘આમાં ખેડૂતોની લોનમાફીને કેમ ગુપચાવી દો છો, એ શું સારો નિર્ણય નથી?’

‘લોનમાફી કરીને ગરીબ ખેડૂતને રાહત જરૂર પહોંચાડાશે, પરંતુ તેને કારણે કંઈ ખેડૂતોના અચ્છે દિન આવી જવાના નથી. ખેડૂતો માટે લાંબા ગાળાની નીતિ અને ભ્રષ્ટાચારમુક્ત અમલીકરણ જરૂરી છે.’

‘એ પણ થશે. થોડી રાહ જુઓ, યોગી આદિત્યનાથને સત્તા પર બેસીને થોડાં શ્વાસ તો લેવા દો!’

‘મને અત્યારે એક ટિખળ સૂઝી રહી છે, આ યોગી તો હનિમૂન પિરિયડમાં નહીં જ માનતા હોય ને!’

‘યોગી કર્મનિષ્ઠ નેતા છે. તમને રમૂજો સૂઝે છે, પણ તેઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પુરવાર થશે.’

‘ઓકે, વાત શ્રેષ્ઠ મુખ્યમંત્રી સુધીની હશે ત્યાં સુધી વાંધો નથી, ભાવિ વડાપ્રધાન બનવાનાં ખ્વાબ જોશે, એ દિવસથી પડતી પાક્કી!’

(‘દિવ્ય ભાસ્કર’ના 7મી એપ્રિલ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કટાર-બિનસંપાદિત)

No comments:

Post a Comment