Friday, December 9, 2016

લાઇનલેસ ઇન્ડિયાનાં લપસણાં સપનાંઓ

દિવ્યેશ વ્યાસ


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)


‘એશ કરો કે ટેસ કરો, દેશ બનશે કેશલેસ રે,
છાશ પીવો કે વાઇન, દેશ બનશે લાઇનલેસ રે...’
બેન્કની બહાર લાઇનમાં ઊભેલા ફાંકેરામે 10 નંબરી ટોકનને પંપાળતાં પંપાળતાં તાજો શેર ફટકાર્યો.

‘આવો વાહિયાત શેર તો તારો જ હશે ને?’

‘ચતુરસેન, આ શેરને વાહિયાત ન કહેતા પ્લીઝ! ફેસબુક પર ભલભલા સાહિત્યકારોએ લાઇક્સ અને કૉમેન્ટ્સ આપીને વધાવ્યો છે. કોઈએ છંદ-બંદનોય વાંધો પાડ્યો નથી.

‘છંદની છોડ, નોટબંધીના એક મહિના પછી પણ આપણે બેન્કની બહાર લાઇનમાં ઊભા છીએ તોય તું લાઇનલેસ બનવાની વાત કઈ રીતે કરી શકે? લાઇનમાં ઊભા રહેવાનોય વાંધો નથી પણ કેશ મળવાની કોઈ ખાતરી ખરી?’

‘નેગેટિવ નહીં બનવાનું! કેશ જરૂર મળશે.’

‘પોઝિટિવિટીના પુજારી, કેશ મળવાની ખાતરી હોય તો લગાવ શરત, જો કેશ મળે તો હું તને તારું ફેવરિટ પીણું ચા પીવડાવીશ, નહિ તો તારે ઉધાર રાખતા કેશકર્તન સેન્ટરમાં તારા કેશ મુંડાવી નાખવાના.’

‘આવી કોઈ શરત માટેનો કોન્ફિડન્સ તો અરુણભાઈ કે ઉર્જિતભાઈ પણ નહીં ધરાવતા હોય ત્યારે મારું શું ગજું? પણ એટલી ખાતરી જરૂર આપું કે દેશમાં અત્યારે જોવા મળતી લાઇનો ઇતિહાસની છેલ્લી લાઇનો છે, હવે પછી દેશમાં કોઈ લાઇનો નહીં લાગે. માનનીય વડાપ્રધાને કહ્યું એટલે ફાઇનલ!’

‘લાઇનલેસ ઇન્ડિયા... વાહ, ક્યાં આઇડિયા હૈ!’ ચતુરસેન અહોભાવ દર્શાવતા હાવભાવ સાથે મૂછમાં હસ્યા.

‘લાઇનલેસ ઇન્ડિયા... ચતુરસેન મને હવે જાતભાતનાં સપનાં આવે છે. દેશ તો હવે ડિજિટલ થઈ જશે, એટલે રાશનની દુકાને પણ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, તમારા સ્માર્ટફોનમાં મેસેજ આવી જશે કે તમારે કઈ તારીખે કેટલા વાગ્યે રાશન લેવા આવવાનું છે.’

‘તને તો એવા સપનાં પણ આવવા જોઈએ કે લગ્નના ભોજન સમારંભોમાં હવે ન તો ભોજન માટે લાઇનમાં ઊભા રહેવું પડશે, ન ચાંદલો લખાવવા. ચાંદલાની રકમ કંકોતરીમાં છપાયેલા એકાઉન્ટ નંબરમાં એડવાન્સમાં જ જમા કરાવી દેવાની અને દર્શનાભિલાસીઓ તમને જણાવી દેશે કે તમને કેટલા વાગ્યે ભોજનની ડિશ મળી જવાની છે.’

‘જોકે, અફસોસ એ વાતનો છે કે હવે કોઈ સુપરસ્ટાર એવો ફાંકો નહીં રાખી શકે કે પ્રોડ્યુસરો તેના ઘરની બહાર લાઇનો લગાવે છે.... વળી, મજા એ વાતની આવશે કે કોઈ પત્ની પણ પતિને એવું મહેણું નહીં મારી શકે કે પાડ માનો મેં તમને પસંદ કર્યા, બાકી મને પરણવા ઉત્સુક છોકરાઓની લાંબી લાઇનો હતી!’
‘મતદાન કરવા માટે પણ લાઇનો નહીં લગાવવી પડે?’

‘રાહુલબાબાના યોગદાનથી દેશ કૉંગ્રેસમુક્ત થઈ જવાનો અને દેશપ્રેમની આગમાં દેશ એટલો સમરસ થઈ જશે કે પછી મતદાન કરવાની જરૂર જ ક્યાં રહેવાની?!’

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ડિસેમ્બર, 2016ના અંકમાં તંત્રી પેજ પર પ્રકાશિત કૉલમ-બિનસંપાદિત)

No comments:

Post a Comment