Showing posts with label અરવિંદ કેજરીવાલ. Show all posts
Showing posts with label અરવિંદ કેજરીવાલ. Show all posts

Monday, March 26, 2018

આક્ષેપોની તલવાર, માફીની ઢાલ, લડીશ હું ધરાર

દિવ્યેશ વ્યાસ

(આ ઉદયશંકરે દોરેલું કેજરીવાલનું આ કાર્ટૂન www.pinsdaddy.com પરથી લીધું છે.)

‘ચતુરસેન, તમને બૌદ્ધિક બૌદ્ધિક કહીને મેં બહુ ચીડવેલા છે. ક્યારેક ગુસ્સામાં આવીને દેશ-વિરોધી પણ ગણાવી દીધા હશે. સ્યુડો સેક્યુલર ગણાવીને તમને ઉતારી પણ પાડ્યા હશે. આજે હું મારાં આ કડવાં વચનો અને આક્ષેપો માટે માફી માગું છું. મને માફ કરી દો....’ ફાંકેરામે આવીને તરત ઓશિયાળા ચહેરે માફીનામું રજૂ  કરી દીધું.

‘અમે આપણે તો ચર્ચાના માણસો, ક્યારેક ચકમક ઝરતી રહે, રોષના તણખા ખર્યા કરે, એમાં માફી શું માગવાની?’ ચતુરસેને ફાંકેરામને માફી પાછી ખેંચી લેવાની તક આપી.

‘ના, માફી માગવી જ પડે, મારી ભૂલોને ભૂલી જાવ અને મને માફ કરો.’ ફાંકેરામ કરગરવા માંડ્યો.

‘ગાંડા, આજે તને શું થયું છે? શેનાં નાટક માંડ્યાં છે?’ ચતુરસેન અકળાયા.

‘નાટક નથી ચતુરસેન, જરાય નાટક નથી. બસ ઇચ્છા થઈ ગઈ, એટલે નમ્રતાપૂર્વક માફી માગું છું.’

‘લાગે છે, આજે તારામાં કેજરીવાલનો આત્મા ઘૂસી ગયો છે. કેજરીવાલ આજકાલ એક પછી એક માફીનામાં બહાર પાડી રહ્યા છે. તેના સમાચારો પણ બહુ ચગી રહ્યા છે, એના ટ્રાન્સમાં તો તું નથી આવી ગયો ને? કે પછી કેજરીવાલની નકલ કરી રહ્યો છે?’

‘કેજરીવાલ તે કાંઈ મોટા કિંગ છે? કે એમની નકલ કરું?’

‘કેજરીવાલ ગમે તેમ તોય દિલ્હીના મુખ્યમંત્રી એટલે કિંગ તો ગણાય!’

‘કિંગ હશે એ દિલ્હીના, મારે શું? નકલ કરવી જ હોય તો મોદીની કરું કેજરીની શા માટે?’

‘નકલ પછી કરજે, પહેલા એક સ્પષ્ટતા કર, કયા મોદીની નકલ? નીરવ કે નરેન્દ્ર મોદી? મારી પાસેથી સાઇકલ લેવા તે 600 રૂપિયાની લોન લીધેલી છે, એટલે પૂછવું જરૂરી છે.’

‘તમે મજાક છોડો, બોલો, મને માફ કરો છો કે નહીં?’

‘જો તું ગંભીરતાથી માફી માગતો હોય તો સાંભળી લે, બોલતાં પહેલાં ધ્યાન રાખો તો માફી માગવાનો વારો ન આવે. બાકી કેજરીવાલની જેમ આક્ષેપોની તલવાર, માફીની ઢાલ અને લડવું ધરાર હોય તો પછી મારે માફીની ફોર્માલિટીનો કોઈ મતલબ નથી.’

‘કેજરીવાલને તો લીગાલિટીનો પ્રશ્ન છે, આપણે એવું નથી. તેમને તો માનહાનિના કેસોથી છૂટકારો મેળવવો છે, પણ મારે એવો કોઈ સવાલ નથી. તમે માફ કરી દો, જેટલી જેવું ન કરશો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્....’

‘મારે નથી વીરનું ભૂષણ જોઈતું કે નથી પદ્મ ભૂષણ બનવું... હવેથી બોલતા પહેલાં ધ્યાન રાખજે. છેલ્લે સાચું કહી દે, માફી માગવાનું કેમ સૂઝ્યું?’

‘આજે જ્યોતિષની કૉલમમાં વાંચ્યું હતું કે માફી માગી લેજો, બાકી હેરાનગતિ વધશે.’

‘માફી તો દિલમાં ઊગવી જોઈએ, તું તો જ્યોતિષનું માનીને માફી માગે છે? જા નથી આપવી માફી.’

‘ચતુરસેન, હો સકે તો મુજે માફ કરના, ગલતી મારે સે હો ગઈ!!’

(‘દિવ્ય ભાસ્કર’ના 23મી માર્ચ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)