Friday, March 10, 2017

હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા!

દિવ્યેશ વ્યાસ

(તસવીર સૌજન્ય : આઈ ન્યૂઝ)



‘દિવસો નઠારા જાય છે, એ જરૂર જશે પતન સુધી.... દિવસો નઠારા જાય છે....’ ફાંકેરામ ગીત લલકારતો લલકારતો ચતુરસેન પાસે આવી પહોંચ્યો.

‘અચ્છે દિનની વાતો કરી કરીને ફૂલીને ફાળકો થનારો આજે નઠારા દિવસોનું રોદણું કેમ રડવા લાગ્યો છે?’ ચતુરસેને શબ્દસળી ચાંપી.

‘મારા દિવસો તો જોરદાર જાય છે. કાલે લોકો હોળીની તૈયારી કરતા હશે ને બંદા તો રંગેચંગે દિવાળી મનાવતા હશે, મતબલ કે ફટાકડા ફોડતા હશે.’

‘કાલે કોઈના લગનમાં ફટાકડા ફોડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે કે શું?’

‘ચતુરસેન, કાલે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું રિઝલ્ટ નથી? પરિણામ તો શું આવવાનું છે, એ આખો દેશ જાણે છે.... અને તમે કેમ અજાણ્યા બનો છો? પરિણામ તો તમેય જાણતા જ હશો પણ તમારું મન નહીં માનતું હોય, નહીં?’

‘કાલનાં પરિણામ તો કાલે જ જાણવા મળશે. તું કેમ એગ્ઝિટ પોલવાળાઓની જેમ કૂદી રહ્યો છે? ખેર, દેશમાં તારી જેમ પૂરું જાણ્યા-સમજ્યા વિના કૂદનારા-કૂદી પડનારાઓની કોઈ કમી નથી. પણ તું કોના નઠારા દિવસોની વાત કરતો હતો, એ તો કહે...’

‘હું રાહુલ ગાંધીની વાત કરતો હતો. રાહુલબાબાની હાલત તો દિવસે દિવસે પતલી થતી જાય છે.’

‘રાહુલની ચિંતા કરનારાં તેમનાં માતુશ્રી, તેમનાં બહેનબા અને હમણાં હમણાં સોશિયલ મીડિયા પર સળવળાટ કરનારા જીજાજી પણ છે. તું રહેવા દે!’


‘હું એમની ચિંતા શા માટે કરું? હું તો માત્ર ચર્ચા કરું છું કે પહેલા આ મહાશયને એકલાને જ ‘યુવરાજ’નું બહુમાન મળતું હતું, પણ છેલ્લાં વર્ષોમાં એક પછી એક યુવરાજો ઉમેરાતાં જ જાય છે. મુલાયમસિંહના અખિલેશ, લાલુપ્રસાદના તેજપ્રતાપ અને તેજસ્વી, કરુણાનિધિના સ્ટાલિન અને અલાગિરી... અને હવે તેમાં નવો ઉમેરો થયો છે, ચંદ્રાબાબુ નાયડુના સુપુત્ર નારા લોકેશનો... નારા લોકેશ તો એવા ન્યૂઝ સાથે જ ચમક્યો છે કે માત્ર પાંચ મહિનામાં તેની સંપત્તિમાં 23 ગણો વધારો થઈ ગયો છે. નારા લોકેશ હવે ચંદ્રાબાબુના રાજકીય વારસદાર અને આંધ્રપ્રદેશના ભાવિ સીએમ તરીકે સ્થાપિત થઈ ગયો છે.’

‘ફાંકેરામ, તમે રાજનાથસિંહના દીકરા પંકજ સિંહ, વસુંધરા રાજેના દીકરા દુષ્યંતસિંહ, ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે, પ્રકાશસિંહ બાદલના દીકરા સુખબીરસિંહ બાદલ, બાળાસાહેબના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના દીકરા આદિત્ય..... વગેરે નામો કેમ ગુપચાવી જાવ છો?’

‘ગગ.. પપપ.. ગુપચાવ્યાં નહોતાં.. પણ એમ તો યાદી કેટલી લાંબી થાય?’

‘ટૂંકી યાદીમાં પણ સંતુલન જાળવી શકાય, કોઈને ટાર્ગેટ કરવાનું ટાળી શકાય, દોસ્ત...!’

‘સંતુલન જાળવવાનું હું તમારી પાસેથી શીખી લઈશ. પણ મને પ્રશ્ન એ થાય છે કે મુલાયમ સિંહનું ઉદાહરણ તાજું છે છતાં રાજકારણીઓ ધૃતરાષ્ટ્રગીરી કેમ છોડતાં જ નથી?’

‘સાચી વાત છે. જોકે, રાજકારણીઓ કંઈ શીખે-સમજે કે નહીં, લોકોએ તો સમજવું જોઈએ!’

‘લોકો તો સમજે ત્યારે સાચા, પણ તમે જોજો, રાહુલ ગાંધીની હવે કોઈ આ મુદ્દે પણ ચર્ચા નહીં કરે!’

‘રાહુલની ચર્ચા કરે કે ન કરે પણ વંશવારસના રાજકારણની ચર્ચા તો કરવી જ પડશે. બાકી તો હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા... ચાલ્યા કરશે. સંતાનવાદ બાબતે કોઈક પક્ષે તો પાર્ટી વિથ ડિફરન્સ બનવું પડશે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 10મી માર્ચ, 20174ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ - બિનસંપાદિત)

Friday, February 24, 2017

અમર વિચિત્રકથા : રાજકારણમાં કૉમેડી

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, આજે તને એક સાવ સહેલો સવાલ પૂછવો છે.’ ચતુરસેને વાતની માંડણી કરી.

‘નેકી ઓર પૂછ-પૂછ! પૂછો, તમારે જે પૂછવું હોય તે પૂછો, પરંતુ અઘરો સવાલ હશે તો તમારે ચાર વિકલ્પો આપવા પડશે.’ ફાંકેરામે પાણી પહેલા પાળ બાંધી.

‘સવાલ સહેલો જ છે, પરંતુ તારા જેવા ગધેડાને અઘરો લાગે તો બચ્ચન સ્ટાઇલમાં ચાર વિકલ્પ આપીશ, ઓકે?’

‘તમે પણ રાજકારણીઓ જેમ ભાષાનું સ્તર નીચું કેમ લાવો છો? આપણે ત્યાં તો ચૂંટણીની હજુ વાર છે અને હું કંઈ તમારો પ્રતિસ્પર્ધી બનવાનો નથી!’

‘ઠીક છે. તો આ રહ્યો સવાલ તારા કાનના કિનારા પર... જણાવો, આપણા દેશમાં સૌથી મોટો કૉમેડી રાજકારણી કોણ છે?’


‘સવાલ ખરેખર એકદમ સહેલો છે. ભૂલથી પણ વિકલ્પ ન આપતા હું ગૂંચવાઈ જઈશ.’

‘હું વિકલ્પ નથી આપતો, તું જવાબ તો આપ.’

‘જવાબ સિમ્પલ છે - રાહુલ ગાંધી. અમારા સાહેબે હમણાં જ કહ્યું હતું કે સૌથી વધુ જોક્સ આ રાજકારણી પર બને છે.’

 ‘સૌથી વધારે જોક્સ તો રાહુલ ગાંધી પર જ બનતા હશે, પણ જવાબથી મને સંતોષ નથી.’

‘અખંડ અસંતુષ્ટ એવા અરવિંદ કેજરીવાલના નામથી તમે સંતુષ્ટ થશો?’

‘મને આશ્ચર્ય એ વાતનું છે કે તું લાલુ પ્રસાદ યાદવ, ઉમા ભારતી, બેનીપ્રસાદ વર્મા, સાક્ષી મહારાજ, શરદ પવાર, શરદ યાદવ અને ખુદ ગબ્બર - તારા સાહેબના નામ અંગે તો વિચાર જ ન કર્યો!’

‘મારા સાહેબ હમણાંથી મિમિક્રી જરૂર કરી લે છે અને તેમનાં પર કાર્ટૂનો પણ બહુ બને છે, પરંતુ લોકો તેમની વાતને હસી નાખતા નથી, એ પણ ધ્યાને લેવું જોઈએ ને!’

‘એ ખરું. આ યાદીમાં બીજા બે મોટાં નામ પણ જોડી શકાય - સુબ્રહ્મણ્યમ સ્વામી અને અમરસિંહ.’

‘સ્વામી તો હસાવવા કરતાં રડાવવાનું વધારે કરતા હોય છે, પરંતુ અમરસિંહના નામ સાથે હું સહમત છું. અમરસિંહે હજુ હમણાં જ ધડાકો કર્યો છે કે મુલાયમસિંહ અને તેમના દીકરા અખિલેશ યાદવ વચ્ચેનો ઝઘડો તો સ્પોન્સર્ડ અને સ્ક્રીપ્ટેડ જ હતો.’

‘મને તો એવી શંકા છે કે એની સ્ક્રીપ્ટ કદાચ અમરસિંહે જ લખી હશે. અમરસિંહ તો હવે ભક્ત બનવા તલપાપડ છે. અમર વિચિત્રકથાઓનો તો કોઈ અંત જ નથી.’

‘અંતહીન આડી વાતો છોડો, મને જવાબ આપો કે સૌથી કૉમેડી નેતા કોણ છે?’

‘કૉમેડી તો કોણ નથી કરતું? ભલભલા અભિનેતાઓ અને કૉમેડિયન્સ પણ રાજકારણીઓના પરફોર્મન્સ જોઈને લઘુતાગ્રંથિમાં આવી જતા હોય છે. આમાં કોને વખાણીએ કોને વખોડીએ?’

‘રાજનેતાઓ કૉમેડી કરે એ તો સારું કહેવાય, લોકોને મનોરંજન તો મળે!’

‘ફાંકેરામ, મનોરંજન કરનારા ઘણા છે, રાજકારણીઓએ પોતાનું કામ કરવું જોઈએ. તેઓ કૉમેડી કરીને જ લોકોના મન મોહી લે છે અને પોતાના મત કઢાવી લે છે. આ જ તો દેશની સૌથી મોટી ટ્રેજેડી છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 24 ફેબ્રુઆરી, 20174ના રોજ તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ મૂળ પ્રત )

Thursday, February 9, 2017

તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું!

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, જોયું ને... મારા સાહેબે વિરોધી નેતાઓને રસ્તા પર લાવી દીધા છે ને?’ ફાંકેરામે આદત મુજબ ભક્તગુંજન શરૂ કર્યું.

‘રસ્તા પર જ લાવ્યા છે, જેલમાં નથી પૂરી દીધા, એટલી તો એમની મહાનતા મારે સ્વીકારવી જ પડશે!’ ચતુરસેન પણ પોતાની ટોન્ટમાર આદતને અભિવ્યક્ત કર્યા વિના ન રહી શક્યા.

‘વાહ, ચતુરસેન તમારા સુર આજે કંઈક બદલાયેલા બદલાયેલા લાગે છે. સાહેબની પ્રશંસા... તમને પણ પદ્મ પુરસ્કાર મેળવવાની ઝંખના જાગી લાગે છે.’

‘મારે નથી પદ્મ પુરસ્કાર જોઈતો કે નથી છદ્મ પુરસ્કાર જોઈતો, મારે તો થોડી શાંતિ જોઈતી હતી, એટલે મિલે સુર મેરા તુમ્હારાવાળી કરેલી, પણ હવે મને છંછેડ્યો છે તો સાંભળી જ લે. આ તારા સાહેબે જ નોટબંધી લાદીને લોકોને બેન્કની બહાર રસ્તા પર લાંબી લાંબી લાઇનમાં લાવી દીધા હતા ને? હવે કહે, સાહેબે કયા નેતાને રસ્તા પર લાવી દીધો? મારે તો એ પણ ખાતરી કરવી પડશે કે વિરોધી નેતા એટલે પાર્ટી બહારના વિરોધી કે અંદરના?’

‘નોટબંધીની વાત જૂની થઈ, હવે શું છે? ભૂલી જાવ!’



‘ગરીબીની સમસ્યા પણ જૂની છે, ભૂલી જાવ. ભૂખમરાની સમસ્યા જૂની છે, ભૂલી જાવ. સ્વચ્છ ભારત અભિયાન જૂનું થયું, ભૂલી જાવ. રમખાણો-એન્કાઉન્ટરોનો મુદ્દો જૂનો થયો, ભૂલી જાવ. સીઝફાયરનું ઉલ્લંઘન જૂની સમસ્યા છે, ભૂલી જાવ. પઠાણકોટ-ઉરી પરના આતંકી હુમલા બહુ દિવસો પહેલા થયા હતા, ભૂલી જાવ. કાળાં નાણાંનો મામલો જૂનો થયો, ભૂલી જાવ. 15 લાખનું વચન જૂનું થયું, ભૂલી જાવ. લોકપાલ આંદોલન ભૂતકાળ બન્યું, લોકપાલને ભૂલી જાવ....  બધું ભૂલવાડી જ દેવાનું!’

‘ના... ના.... તમે યાદ રાખો. કટોકટી યાદ રાખો, ચીન-પાકિસ્તાનના યુદ્ધ યાદ રાખો, કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન યાદ રાખો... બધું ભૂલી નથી જવાનું.’

‘મને ખબર છે તારે શું યાદ રખાવવું છે ને ભૂલવાડવું છે. મારે આ મુદ્દે માથાફોડ નથી કરવી. મને સાહેબે કયા નેતાને રોડ પર લાવી દીધા, એ જાણવામાં રસ છે.’

‘આજકાલ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ઉપરાછાપરી રોડ શૉ કરી રહ્યા છે. બોલો બન્નેને કેવા રોડ પર લાવી દીધા છે!’

‘ચર્ચાનો પહાડ ખોટો ખોદાવ્યો. ભલા માણસ, રોડ શૉ તો બધા નેતાઓ કરે છે, સાહેબ પોતે પણ કરે જ છે, કારણ કે શૉબાજી હવે રાજકારણનું અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. અલબત્ત, રાહુલ અને અખિલેશનો રોડ શૉ સત્તાના સિંહાસન સુધી નહીં પહોંચે તોપણ તેઓ રોડ પર આવી જશે, એ વાત ભૂલી જજે!’

‘ઓકે, પણ આપણો આજનો ઝઘડો તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું.’

‘દોસ્ત, હવે તું રાજકારણી બનવા માટે એકદમ લાયક બની ગયો છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 10મી ફેબ્રુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’- મૂળ પ્રત )

Friday, January 20, 2017

તિવારીની ગુલાંટ : વારસ કરાવે ફારસ!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન સૌજન્ય : સંતાબંતા.કોમ)


‘શિયાળો બરાબરનો જામ્યો છે... ભલભલાના હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડી ઉડાડવી કઈ રીતે?’ બુઢીયાટોપીધારી ચતુરસેનના ગળામાંથી આવતો અવાજ પણ વચ્ચે વચ્ચે થીજી જતો હતો.

‘તમને ગામ આખાની ઠંડી લાગતી હશે... ટાઢ તો છે પણ એટલી બધી નહીં! આજકાલ રાજકારણની ગરમાગરમ ખબરો-ગોસિપો વાંચવા કે જોવાનું બંધ કર્યું છે કે શું?’ ઠંડીને કારણે ફાંકેરામના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા, છતાં વિરોધ પક્ષની જેમ તેણે ચતુરસેનની વાતનો ધરાર વિરોધ નોંધાવ્યો.

‘ફાંકેરામ, નથી તને ભાજપે ટિકિટ આપી દીધી કે નથી હું નવજોતસિંહ સિદ્ધુની જેમ કૉંગ્રેસમાં જોડાયો, તોપણ વગર કારણે મારો વિરોધ કરવાનો શું મતલબ? બોલ!’

‘એમ તો હું પણ કહી શકું કે શિયાળો હોય એટલે ઠંડી પડે જ, એમાં આટલો હાયહોબાળો કરવાનો શું મતલબ? ખેર, ઠંડીની વાત છોડોને થોડી રાજકારણની ગરમાગરમ વાતો કરો. તમે કૉંગ્રેસમાં 'ઘરવાપસી' કરનારા સિદ્ધુને યાદ કર્યો પણ બુઢ્ઢા થયા છતાં ગુલાંટ મારવાનું ન ભૂલેલા પેલા તિવારીસાહેબને કેમ ભૂલી ગયા?’

‘વિકાસપુરુષની છબીમાંથી ધીમે ધીમે વિલાસીપુરુષ તરીકેની ઇમેજ સર્જનારા નારાયણ દત્ત તિવારીની વાત કરો છોને? એમને તો કોણ ભૂલી શકે!’ ચતુરસેને પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

‘હા, તિવારી જેણે રાજભવનમાં પણ કામાંધતાની બીમારીને છોડી નહોતી!’

‘89 વર્ષે ફરી વરઘોડો કાઢનારા એન.ડી. તિવારીએ કામાંધતાને છોડી પણ આખરે કૉંગ્રેસને જરૂર છોડી દીધી.’

‘આ તો વારસ કરાવે ફારસ! મારું તો માનવું છે કે તિવારી 'ડીએનએપ્રૂફ' પુત્રના પ્રેમને કારણે ભાજપસીધાવ્યા લાગે છે.’

‘મને હસવું વાતે આવે છે કે એક તરફ મોદીજી કહે છે કે સગાંવહાલાં માટે ટિકિટ માગવી નહીં અને અહીં તો દીકરાને ટિકિટ અપાવવા માટે તિવારી ભાજપના ખોળે બેઠા છે.’

‘ચતુરસેન, આનું નામ રાજકારણ! બ્રાહ્મણ મતો માટે કૉંગ્રેસ છેક દિલ્હીથી શીલા દીક્ષિત લઈ આવે તો ભાજપ યુપીના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તિવારીને શા માટે મેદાનમાં ઉતારે?’

‘તિવારી મત અપાવશે કે કપાવશે, હું જાણતો નથી, પણ હા, નાક જરૂર કપાવી શકે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 20મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, January 6, 2017

ફાધર હોય કે ગોડફાધર, શિષ્યો-સંતાનો કરે ફાયર

દિવ્યેશ વ્યાસ





‘કળિયુગ... ઘોર કળિયુગ....’ આ શબ્દો બોલતાં ફાંકેરામના હાવભાવ એવા હતા જાણે તેનામાં ‘ઓ..મા.... માતાજી....!’ પોકારતાં દયાભાભી પ્રવેશી ગયાં હોય!

‘ઉદ્્ગારો અને એક્ટિંગમાં તું ઉસ્તાદ છે, એનું પ્રદર્શન વારંવાર કરવાનું રહેવા દે. મુદ્દાની વાત કર, કેશલેસના જમાનામાં તને કળિયુગ ક્યાં ભટકાઈ ગ્યો?’ ચતુરસેને વિલંબિત ઉદ્્ગારો અટકાવીને સ્પષ્ટતા માગી.

‘કળિયુગ તો ક્યાં ક્યાં નથી ભટકાતો, ક્યાં ક્યાં નથી પડઘાતો!’ ફાંકેરામે પ્રાસ-અનુપ્રાસપ્રેમી કથાકારની અદાથી ઉત્તર વાળ્યો.

‘તું આજે કોઈ મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે કે પછી તારી એક્ટિંગનો રિયાઝ કરવા? મુદ્દાની વાત કર બાકી તને
 ‘હજારની નોટ’ બનાવી દેતાં વાર નહીં લાગે!’ ચતુરસેને અઘરી ચીમકી આપી.

‘હજારની નોટ તો બને મારા અને મારા દેશના દુશ્મનો! હા, આજકાલ વૃદ્ધ-વરિષ્ઠ નેતાઓની હાલત હજારની નોટ જેવી જરૂર થઈ ગઈ છે.’

‘હા, સાચી વાત છે. જે અમેરિકાના યુવા નેતાઓનાં ઉદાહરણો આપી આપીને આપણે આપણા બુઢ્ઢા નેતાઓને કોસતા હતા, એ જ અમેરિકાએ ઇતિહાસનો સૌથી વૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ ચૂંટ્યો છે, પરંતુ આપણે ત્યાં વૃદ્ધ નેતાઓની વેલ્યૂ સતત ડાઉન થતી જાય છે. અડવાણી-જોષી પછી આ યાદીમાં આજકાલ નવું નામ ઉમેરાવા જઈ રહ્યું છે, મુલાયમસિંહ યાદવ!’

‘મુલાયમ તો એ જ લાગના છે! હું કળિયુગની વાત કરતો હતો, એ તેમના સંદર્ભે જ કહેતો હતો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એવી કહેવતને મુલાયમે પોતાના નામની જેમ જ ખોટી પાડીને કઠોરતાપૂર્વક દીકરા ટીપુ ઉર્ફે અખિલેશને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો.’

‘હાંકી કાઢ્યો હતો, પરંતુ પછી પાછો પણ લઈ લીધો ને!’

‘એ તો લેવો જ પડે ને? ટીપુએ હવે ટીપુ મટીને સમાજવાદી પક્ષમાં સાગર જેટલો વ્યાપ વિસ્તારી દીધો છે. અખિલેશ હવે સમાજવાદી પક્ષનો ચહેરો બની ગયો છે.’

‘તારો આ જ પ્રોબ્લેમ છે, ચહેરા-મોહરાની માયા જ નથી છૂટતી. લોકપ્રિયતાની આડમાં નાખો સિનિયરોને ભાડમાં!!’ ચતુરસેન તમતમી ઊઠ્યા.

‘વેપારી એવું શીખવાડે કે વેપારમાં તો સગા બાપનોય વિશ્વાસ ન કરાય, પણ આજકાલ જમાનો એવો આવ્યો છે કે રાજકારણમાં સગા બાપ તો શું દીકરાનો ય વિશ્વાસ ન કરાય!’

‘ફાંકેરામ, જોવાની વાત એ છે કે ફાધર હોય કે ગોડફાધર, તેઓ પોતાનાં શિષ્યો કે સંતાનોના હાથે જ ફાયર થઈ રહ્યા છે અને માર્ગદર્શક બનવાના નામે મૂકદર્શક (કોઈક કિસ્સામાં તો મૂર્ખદર્શક) બનીને રહી ગયા છે.’

‘ચતુરસેન, તમે એક વાત નોંધી, ‘કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે.’ એ કહેવત તો સાલી કળિયુગમાં પણ ટકી રહી છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 જાન્યુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, December 9, 2016

લાઇનલેસ ઇન્ડિયાનાં લપસણાં સપનાંઓ

દિવ્યેશ વ્યાસ


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)


‘એશ કરો કે ટેસ કરો, દેશ બનશે કેશલેસ રે,
છાશ પીવો કે વાઇન, દેશ બનશે લાઇનલેસ રે...’
બેન્કની બહાર લાઇનમાં ઊભેલા ફાંકેરામે 10 નંબરી ટોકનને પંપાળતાં પંપાળતાં તાજો શેર ફટકાર્યો.

‘આવો વાહિયાત શેર તો તારો જ હશે ને?’

‘ચતુરસેન, આ શેરને વાહિયાત ન કહેતા પ્લીઝ! ફેસબુક પર ભલભલા સાહિત્યકારોએ લાઇક્સ અને કૉમેન્ટ્સ આપીને વધાવ્યો છે. કોઈએ છંદ-બંદનોય વાંધો પાડ્યો નથી.

‘છંદની છોડ, નોટબંધીના એક મહિના પછી પણ આપણે બેન્કની બહાર લાઇનમાં ઊભા છીએ તોય તું લાઇનલેસ બનવાની વાત કઈ રીતે કરી શકે? લાઇનમાં ઊભા રહેવાનોય વાંધો નથી પણ કેશ મળવાની કોઈ ખાતરી ખરી?’

‘નેગેટિવ નહીં બનવાનું! કેશ જરૂર મળશે.’

‘પોઝિટિવિટીના પુજારી, કેશ મળવાની ખાતરી હોય તો લગાવ શરત, જો કેશ મળે તો હું તને તારું ફેવરિટ પીણું ચા પીવડાવીશ, નહિ તો તારે ઉધાર રાખતા કેશકર્તન સેન્ટરમાં તારા કેશ મુંડાવી નાખવાના.’

‘આવી કોઈ શરત માટેનો કોન્ફિડન્સ તો અરુણભાઈ કે ઉર્જિતભાઈ પણ નહીં ધરાવતા હોય ત્યારે મારું શું ગજું? પણ એટલી ખાતરી જરૂર આપું કે દેશમાં અત્યારે જોવા મળતી લાઇનો ઇતિહાસની છેલ્લી લાઇનો છે, હવે પછી દેશમાં કોઈ લાઇનો નહીં લાગે. માનનીય વડાપ્રધાને કહ્યું એટલે ફાઇનલ!’

‘લાઇનલેસ ઇન્ડિયા... વાહ, ક્યાં આઇડિયા હૈ!’ ચતુરસેન અહોભાવ દર્શાવતા હાવભાવ સાથે મૂછમાં હસ્યા.

‘લાઇનલેસ ઇન્ડિયા... ચતુરસેન મને હવે જાતભાતનાં સપનાં આવે છે. દેશ તો હવે ડિજિટલ થઈ જશે, એટલે રાશનની દુકાને પણ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, તમારા સ્માર્ટફોનમાં મેસેજ આવી જશે કે તમારે કઈ તારીખે કેટલા વાગ્યે રાશન લેવા આવવાનું છે.’

‘તને તો એવા સપનાં પણ આવવા જોઈએ કે લગ્નના ભોજન સમારંભોમાં હવે ન તો ભોજન માટે લાઇનમાં ઊભા રહેવું પડશે, ન ચાંદલો લખાવવા. ચાંદલાની રકમ કંકોતરીમાં છપાયેલા એકાઉન્ટ નંબરમાં એડવાન્સમાં જ જમા કરાવી દેવાની અને દર્શનાભિલાસીઓ તમને જણાવી દેશે કે તમને કેટલા વાગ્યે ભોજનની ડિશ મળી જવાની છે.’

‘જોકે, અફસોસ એ વાતનો છે કે હવે કોઈ સુપરસ્ટાર એવો ફાંકો નહીં રાખી શકે કે પ્રોડ્યુસરો તેના ઘરની બહાર લાઇનો લગાવે છે.... વળી, મજા એ વાતની આવશે કે કોઈ પત્ની પણ પતિને એવું મહેણું નહીં મારી શકે કે પાડ માનો મેં તમને પસંદ કર્યા, બાકી મને પરણવા ઉત્સુક છોકરાઓની લાંબી લાઇનો હતી!’
‘મતદાન કરવા માટે પણ લાઇનો નહીં લગાવવી પડે?’

‘રાહુલબાબાના યોગદાનથી દેશ કૉંગ્રેસમુક્ત થઈ જવાનો અને દેશપ્રેમની આગમાં દેશ એટલો સમરસ થઈ જશે કે પછી મતદાન કરવાની જરૂર જ ક્યાં રહેવાની?!’

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ડિસેમ્બર, 2016ના અંકમાં તંત્રી પેજ પર પ્રકાશિત કૉલમ-બિનસંપાદિત)