Friday, November 3, 2017

વિચારોનો અગ્નિપથ વિ. શ્રદ્ધાનો ભક્તિપથ

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, કોઈ સારો ડોગ ટ્રેનર તારા ધ્યાનમાં છે?’

‘આજકાલ તો ડોન ટ્રેનરની ડિમાન્ડ વધી છે, ત્યારે તમને ડોગ ટ્રેનરની જરૂર કેમ પડી?’ ફાંકેરામે પોતાની જૂની આદત મુજબ સવાલની સામે જવાબ આપવાને બદલે નવો સવાલ પૂછી લીધો.

ચતુરસેને સામો સવાલ પૂછીને બદલો લીધો, ‘ડોન ટ્રેનર? એ વળી કોણ? એમનું શું કામ?’

‘ચૂંટણી આવી રહી છે ને!’

‘આમાં તું ચૂંટણી ક્યાંથી લઈ આવ્યો?’

‘મારી વાત તો પૂરી સાંભળો... જુઓ, ચૂંટણીમાં ડોનલોગની ડિમાંડ તો વધી જ જતી હોય છે, એ તો તમે જાણો છો અને વળી, છેલ્લાં દાયકાઓથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ડોનબંધુઓ હવે બીજા માટે મહેનત કરવાને બદલે પોતે જ રાજકારણમાં સ્થાન ઊભું કરવા મથતા હોય છે. ભાઈલોગમાંથી રાતોરાત ભલા  માણસની છાપ ઊભી કરવા માટે જાહેરમાં કઈ રીતે વર્તવું, કેવી રીતે ભાષણ કરવા, કેવાં વસ્ત્રો ધારણ કરવાં વગેરેની તાલીમ માટે ડોન ટ્રેનરની જરૂર ઊભી થતી હોય છે.’

‘મેં તો ડોન ટ્રેનર વિશે ક્યાંય સાંભળ્યું નથી. ઠીક છે, જવા દે એ વાત. તું કોઈ સારો ડોગ ટ્રેનર શોધી આપને.’

‘તમે ક્યાં કોઈ કૂતરો પાળ્યો છે? તમારે ડોગ ટ્રેનરની શું જરૂર?’

‘અમારી ગલીના કૂતરા રાજા અને ચાંદની કૂતરીને તાલીમ અપાવવી છે.’

‘શેની તાલીમ?’

‘સ્માર્ટ ફોન ચલાવવાની અને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવાની! રાજા અને ચાંદનીને ટ્વિટર, ફેસબુક તથા વૉટ્સએપ કોઈ શીખવાડી દે એટલે ભયોભયો..’

‘ઓહો.... ચતુરસેન હવે રાહુલ ગાંધીને રસ્તે વળવા માગે છે કે શું? તમને સેક્યુલરોને તો રાહુલ જ વહાલો છે ને!’

‘આમાં વહાલા દવલાની વાત નથી. હું તો ચેક કરવા માગું છું કે રાહુલ કહે છે કે મારા વતી મારો ડોગ પીડી ટ્વિટ કરે છે, એ વાતમાં કેટલું તથ્ય છે? કોઈ કહે અને હું માની લઉં નહીં.’

‘વાહ બૌદ્ધિક વાહ... રાહુલની જેમ તમેય કૂતરા પાસે સોશિયલ મીડિયા ચલાવડાવજો અને આઇકીડો શીખીને બ્લેક બેલ્ટ મેળવી લેજો!’

‘અલ્યા હું તો રાહુલના દાવાની ખરાઈ કરવાની વાત કહું છું અને તું તો આક્ષેપો કરવા માંડ્યો કે હું એમનો ફેન હોઉં.’

‘સોરી સોરી, તમને બૌદ્ધિકોને તો કોઈના ફેન હોવાનું સ્વીકારતા શરમ આવે, નહીં?’

‘મુદ્દો શરમનો નથી, સમજનો છે. લોકશાહીમાં નાગરિકને કોઈના ફેન બનવું પોષાય નહીં. નેતા માટે માન હોય પણ શ્રદ્ધાભાવ જાગે ત્યારે તટસ્થતાપૂર્વક વિચારવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય અને આ જોખમી બાબત છે.’

‘તમે ગમે તે કહો, હું તો અણ્ણાજી અને મોદીસાહેબનો ફેન છું છું અને છું જ!’

‘ભલે રહ્યો... મને વાંધો નથી. અમને અમારી વિચારશક્તિના અગ્નિપથ પર શાંતિથી ચાલવા દે તને તારો ભક્તિપથ મુબારક!’

(‘દિવ્ય ભાસ્કર’ના 03 નવેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું  ડહાપણ’)

Friday, October 20, 2017

સંકલ્પ કરી લે તું બે-ચાર, વાયદાનો તું’ય કર વેપાર

દિવ્યેશ વ્યાસ


(આ ક્લિપાર્ટ ગૂગલ ઇમેજ પરથી મેળવ્યું છે.)


‘રામ રામ ચતુરસેન!’ રોકેટ-સ્ટાઇલે ફાંકેરામ આવી પહોંચ્યા.

‘રામ રામ ફાંકેરામ... રામ રામ!’ ચતુરસેન ઉત્સાહથી ફાંકેરામને ભેટી પડ્યા.

‘મારું તો નવું વર્ષ સુધરી ગયું... તમારા જેવા બૌદ્ધિકોના મોંમાં રામ નામ સાંભળીને હું ધન્ય થઈ ગયો.’ ફાંકેરામે ટેટો ફોડ્યો.

‘ફાંકેરામ, વર્ષ આખું બદલાઈ ગયું પણ તું જરાય ન બદલાયો! ખેર, કહ્યું જ છે તો સાંભળી લે, હું રામનો જરાય વિરોધી નથી, રામાયણનો ચાહક છું, પણ મારો વિરોધ રામના નામે જે રાજકારણીઓ ચરી ખાય છે, એની સામે છે. બાકી અમારા ગામડાંમાં તો અમે કદી નૂતન વર્ષાભિનંદન કે હેપી ન્યૂ યર બોલ્યા જ નથી. અમે તો બેસતા વરસે ગામમાં નાના-મોટા સૌને રામ રામ કરીને જ નવા વર્ષને વધાવતા હતા.’

‘જે હોય તે, મને તો બહુ ગમ્યું...’

‘તને ગમ્યું એટલે ગંગા નાહ્યા! તારી લાગણીનો વિચાર કરીને મેં સાલ મુબારક કહેવાનું ટાળ્યું. તારા જેવા ભક્તોને કેનેડાના વડાપ્રધાને દિવાલી મુબારક કહ્યું, એમાં પેટમાં દુખવા માંડ્યું હતું. તમે તો શબ્દોમાં પણ સંવેદના-લાગણીને બદલે ધર્મને શોધી લેતા હોવ છો. બહુ સાચવવું પડે, ભાઈ!’

‘એવો ડર લાગતો હોય તો નવા વર્ષે બૌદ્ધિક સુરક્ષા યાત્રાનું આયોજન કરો. જરૂર હોય તો મીણબત્તીઓ હું લાવી આપીશ...’ ફાંકેરામે શબ્દોનો સુતળી બૉમ્બ ફોડ્યો.

‘અમારે કોઈ યાત્રાઓ કાઢવી નથી, કારણ કે અમારે કોઈના મત જોઈતા નથી. હા, નવા વર્ષે થોડા સંકલ્પો લેવાનો વિચાર કરું છું.’

‘સંકલ્પો... એ તો મારે પણ લેવાના છે.’

‘તું તો દર વર્ષે સંકલ્પો લે જ છે ને? ચૂંટણીના વાયદાઓની જેમ તારે ક્યાં સંકલ્પો પાળવાના હોય છે, પછી લઈ લે ને બે-ચાર!’

‘કૉંગ્રેસ 60 વર્ષના શાસનમાં દેશમાં કાંઈ કરી શકી નથી તો હું કંઈ રાતોરાત થોડાં તીર મારી દેવાનો.’ ફાંકેરામ અડધી વાટે ફૂટ્યા.

‘અચ્છા તો તારો રોલમૉડલ કૉંગ્રેસ છે? તેં શું 60 વર્ષનો ડોસો થાય ત્યાં સુધી કશું ન કરવાનો સંકલ્પ લીધો છે?’

‘સવાલોનો રોકેટમારો બંધ કરો. આમાં કૉંગ્રેસની કોઈ વાત જ નથી.’

‘હું એ જ કહેવા માગું છું કે તારે સંકલ્પો લેવાના છે, તારે તેને પાળવાના છે, એમાં વચ્ચે કૉંગ્રેસ કે કોઈ પાર્ટીને શા માટે ઘુસાડે છે. તું સંકલ્પ લે અને પાળી બતાવ, બાકી નબળા અને નિષ્ફળ દાખલા તો હજારો મળશે. શાસકો જેવો લૂલા બચાવ ન કરીશ. પહેલો સંકલ્પ તો એ લઈ લે કે ભાષણો સાંભળીને તાનમાં નહીં આવી જવાનું!’

‘વાહ મારા બૌદ્ધિક! નવા વર્ષે તમે તો ભારે ડહાપણ ડહોળ્યું.’

‘ડહાપણ નહોતું ડહોળવું, માત્ર શુભેચ્છાઓ જ આપવી હતી, પણ તું છંછેડ્યા વિના રહેતો નથી.’

‘નવા વર્ષે એક પાક્કો સંકલ્પ લેવો છે, તમને છંછેડ્યા કરવા, જેથી ડાહી ડાહી વાતો સાંભળવા મળે.’

‘ડાહી વાતો કાજુકતરી જેવી મીઠી ન પણ હોય... લે કાજુકતરી ખા અને મોં મીઠું કર.’

(‘દિવ્ય ભાસ્કર’ના 20મી ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, October 6, 2017

અણ્ણા ફરી જાગ્યા, તીર કોને કોને વાગ્યા

દિવ્યેશ વ્યાસ

(અણ્ણાજીનું આ ઇલસ્ટ્રેશન www.manumartin.blogspot.in પરથી લીધું છે.)

‘ફાંકેરામ, બહુ દિવસે દેખાણો.... ક્યાં છે આજકાલ? કોઈ નવી નોકરી મળી ગઈ છે કે શું?’ ફાંકેરામ જેવો આવ્યો કે તરત ચતુરસેને સવાલોનો મારો ચલાવ્યો.

‘બહુ દિવસે આવ્યો છું તો સ્વાગત તો કરો. પુષ્પમાળા પહેરાવો, ન હોય તો છેવટે પુષ્પગુચ્છ આપી અભિવાદન કરો, એકાદું આવકાર ગીત ગાવ, મારા માટે સારા સારા વિશેષણો વાપરો, મારી સાચી-ખોટી પ્રશંસા કરો, મોંઘેરા મહેમાનની જરા મહેમાનગતિ કરો... આમ કોરા સવાલો કરશો તો બે મિનિટ પર ઊભા રહેવાનું મન નહીં થાય.’

‘સાહેબની જેમ તને પણ સવાલો ક્યાં ગમે છે! ખેર, તું આટલેથી અટકી ગયો એ સારું કર્યું બાકી તું તો ફૂડ પેકેટ પણ માગી શકે છે!’ ચતુરસેને સહેજ પણ વિલંબ વિના ટોણો મારી લીધો.

ગૂગલી બૉલ પર સિક્સર વાગતાં ફાંકેરામ હેબતાઈ ગયો. બે ક્ષણ હેંગ રહ્યા પછી બોલ્યો, ‘મેં ફૂડ પેકેટ માગ્યું? આજે તો હું ઘરે જ જમીને આવ્યો છું.’

પોતે શું બોલી ગયો, એનું ફાંકેરામને ભાન હતું કે નહીં ખબર નહીં, પરંતુ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.એટલે ગિન્નાઈને ફાંકેરામ બોલ્યો, ‘ગાંડાની જેમ હસો છો કેમ?’

માંડ માંડ હસવું રોકીને ચતુરસેન બોલ્યા, ‘તો શું તાળીઓનો ગડગડાટ કરું?’

‘હા, તાળીઓ પાડો તો જરા માહોલ બને!’ ફાંકેરામ જરા મૂડમાં આવ્યો.

‘ફાંકેરામ, હજુ તો ચૂંટણી જાહેર પણ નથી થઈ ત્યાં તારી આવી હાલત છે, આગળ જતાં તારું શું થશે?’

‘સારું જ થશે. લાગે છે કે આમ ને આમ ગુજરાત ભ્રમણ થઈ જશે. નોકરી-ધંધો નથી, છતાં રોજગારી મળી ગઈ છે. સરકારી એસટીમાં ફરવાનું અને ફૂડ પેકેટ ખાવાનું. સૂત્રો પોકારવાનાં અને તાળીઓ પાડવાની...  મારા
જેવા નવરા માટે તો બેઠા કરતાં ચૂંટણી સભાઓ ભલી.’

‘બે-ત્રણ મહિના તો આ બધું બખડજંતર ચાલશે, પણ પછી શું કરીશ? ફૂડ પેકેટ ખાવાની ટેવ પડી જશે તો ઘરનું ખાવાનું પછી નહીં ભાવે.’

‘ફૂડ પેકેટો ખાધા પછી તો ઉપવાસ જ કરવાના છે ને?’

‘કેમ ઉપવાસ?’

‘અણ્ણાસાહેબ ફરી લોકપાલનું આંદોલન ઉપાડે એવાં એંધાણ છે.’

‘હા, અણ્ણાજી આખરે ત્રણ વર્ષે જાગ્યા છે ખરા અને હવે જનલોકપાલ માટે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.’

‘અત્યાર સુધી કંઈ સૂતા નહોતા, એ કંઈ કુંભકર્ણ નથી!’

‘કુંભકર્ણ તો છ મહિને જાગી જતો હતો, આમને તો ત્રણ વર્ષ લાગ્યાં, બોલ હવે કંઈ કહેવું છે?’

‘ચતુરસેન, તમે અણ્ણા વિશે આવું આડુંઅવળું ન બોલો. અણ્ણાના આંદોલનને યોગેન્દ્ર યાદવના રાજકીય પક્ષ સ્વરાજનો પણ ટેકો મળ્યો છે.’

‘ફાંકેરામ, મને અણ્ણા પર માન છે, તેમની પ્રતિબદ્ધતા સામે કોઈ શંકા નથી, પણ તેમને ક્યારે વિકાસ દેખાઈ જાય અને ક્યારે ઘોટાલા દેખાય, એનું કંઈ ઠેકાણું હોતું નથી.’

‘આ વખતે તેઓ એવું આંદોલન કરશે કે લોકપાલ લાવવા જ પડશે.’

‘એવું તો હું પણ ઇચ્છું છું, પણ લોકાયુક્તનો કિસ્સો તારી જેમ ભૂલી નથી ગયો. છતાં પણ અણ્ણા ખરેખર કંઈ કરી શકશે તો તારા કરતાં પણ વધારે રાજી તો હું જ થઈશ.’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, September 22, 2017

સીઝન શરૂ થશે ન્યારી, ચૂંટણી લાવશે રોજગારી

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, ગમે તે કરો, આપણને પાસપોર્ટ કઢાવી આપો.’

‘તારું આધાર કાર્ડ તો નીકળી ગયું છે ને? આધાર કાર્ડ તો હાથીનું પગલું અને ઘોડાનું પૂછડું! એમાં બધાનાં પગલાં આવી જાય અને એમાંજ બધાની પૂંછડીઓ દબાઈ જાય. આધાર હોય પછી બીજાની શું ઓશિયાળી!’

‘આધાર કાર્ડ તો ક્યારનુંય કઢાવી લીધું છે, છૂટકો છે કાંય? પણ મારા સાહેબ, પાસપોર્ટ વિના વિઝા કોણ આપવાનું?’

‘ઓહો... બડ્ડે બડ્ડે પ્લાન.... કોઈ મસમોટું કૌભાંડ કરીને માલ્યાગીરી કરવાનો તો વિચાર નથી ને?’

‘અણ્ણાનો ચાહક છું, હું તો સપનામાં પણ કૌભાંડ ન કરું.’

‘તો પછી તું પણ બૌદ્ધિકો-કર્મશીલોની જેમ દેશમાં અસહિષ્ણુતા ભાળી ગયો છે? તુંય હવે પરદેશમાં વસી જવાનો પ્લાન ઘડવા માંડ્યો છે?’

‘દેશમાં અસહિષ્ણુતા વ્યાપી હોય કે એથીય ખરાબ હાલત હોય, હું મારી માતૃભૂમિ છોડીને ક્યાંય જવાનો નથી.’

‘તો પછી વિઝા કેમ લેવા છે? કયા દેશમાં જવું છે તારે?’
ફાંકેરામે પોતાના ખ્વાબનું લોકાર્પણ કરતા કહ્યું, ‘હું અમેરિકા જવા માગું છું.’

‘કેમ અચાનક અમેરિકા જવાનું ભૂત સવાર થયું?’

‘રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ અંગેના સમાચારો અને ચર્ચાઓ વાંચીને થાય છે કે અમેરિકાના હવા-પાણીમાં કંઈક જાદુ છે.’

‘કેવો જાદુ?’

‘રાહુલ ગાંધી કેવી ડાહીડમરી વાતો કરવા માંડ્યા છે અને જોરદાર નિવેદનો આપવા માંડ્યા છે કે સ્મૃતિ ઈરાનીથી વાત ન બની તો ખુદ ભાજપ પ્રમુખ અમિત શાહે મેદાનમાં આવવું પડ્યું છે. આવી વાતો અહીં કરી હોત તો કૉંગ્રેસની આ હાલત ન થઈ હોત.’

‘અમેરિકાની હવાના જાદુથી કોઈ માણસ ડાહીડમરી વાતો કરવા માંડતો હોય તો ટ્રમ્પ નામની ઘટના પેદા જ ન થઈ હોત!’

‘અહીંના મોદી નથી ગમતા ત્યાંના ટ્રમ્પ નથી ગમતા, તમને ગમે છે કોણ?’

‘તને રાહુલની વાતો ડાહીડમરી લાગી, એ ગમ્યું... બાકી તારે તો કાયમ સાહેબ કહે તે સાચું!’

‘રાહુલે મોદીજીની ભાષણકળાના વખાણ કર્યા એ ગમ્યું અને સાથે બેરોજગારીની સમસ્યાની વાત કરી, એમાં દમ લાગ્યો.’

‘આ સત્ય તને બેરોજગાર થયો પછી સમજાયું ને? બાકી હું તો એક વર્ષથી આ મુદ્દે ગાંગર્યા કરું છું, પણ તું ભજન-કીર્તનમાંથી ઊંચો આવતો નહોતો. અને સાંભળી લે, અમેરિકામાં રોજગારી માટે જતો હોય તો ત્યાં હવે પણ સ્થિતિ કફોડી છે.’

‘મારે રોજગારી માટે અમેરિકા લાંબા થવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં ચૂંટણી આવી જ રહી છે. એકેય પક્ષને સભાઓમાં ભીડ ભેગી કર્યા વિના ચાલવાનું નથી. એટલે મને તો રોજગારી મળી જ રહેવાની છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 22મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, September 8, 2017

બ્લૂ વ્હેલ ગેમના શોખીન બૌદ્ધિકો

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, તમનેય જીવ બહુ જ વહાલો છે, એની મને ખબર પડી ગઈ.’

‘ફાંકેરામ, જાન હૈ તો જહાં હૈ. મર્યા પછી શું થાય છે, કોને ખબર!’

‘પણ, આમાં એટલા બધા ગભરાઈ જવાની કે ડરી જવાની જરૂર નથી કે તમે તમારી વહાલી અભિવ્યક્તિની આઝાદીને પણ મ્યાન કરી દો...’

‘મેં ક્યાં મારી અભિવ્યક્તિની આઝાદીને મ્યાન કરી છે?’

‘મ્યાન જ કરી છે, બાકી ગૌરી લંકેશ નામની પત્રકાર મહિલાને ગોળી મારીને ઠાર મારવામાં આવી, છતાં તમારી કલમ તો મૌન જ રહી. કોઈ મરી જાય ત્યારે બે મિનિટનું મૌન રાખવાનું હોય તમે તો બે દિવસે પણ એ અંગે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી.’

‘અરે સમાચાર મળ્યા ત્યારથી હું એ ઘટનાને વખોડી રહ્યો છું.’

‘અંગત વાતચીતમાં વખોડતા હશો, પરંતુ સોશિયલ મીડિયામાં તો મૌન જ પાળ્યું છે. ટ્રોલબલીઓથી ડરી ગયા કે શું?’

‘એમાં ડરવાનું શું! સાચું કહું તો હમણાંથી મારું નેટ અમદાવાદના રસ્તાઓ પર ચાલતી રીક્ષા જેવું સાવ ધીમું ધીમું અને હડદોલા લેતું ચાલે છે. નેટવર્ક વારંવાર ખોરવાઈ જાય છે, એટલે હમણાં સોશિયલ સાઇટ્સ પર કંઈ મૂકી શક્યો નથી. બીજી એક મારા મનની વાત કહી દઉં તો હવે સોશિયલ મીડિયા પર કંઈ મૂકવાનું મન થતું નથી.’

‘સોશિયલ મીડિયાથી વૈરાગ્ય આવી ગયો છે કે પછી કોઈ છૂપો ડર મનમાં ઘર કરી ગયો છે?’

‘વૈરાગ કે ડરની વાત નથી, પણ જો હું ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપું તો કેટલાક લોકો કૂદી પડે છે કે સરહદ પર સૈનિકો શહીદ થયા હતા ત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં પેટમાં ચૂક આવતી હતી? અગાઉ છગન-મગન-જગન મરી ગયા ત્યારે શ્રદ્ધાંજલિ આપવાનું નહોતું સૂઝ્યું અને હવે આંખો સૂઝી જાય એટલા આંસુડાં કેમ સારો છો? તું જ કહે આવા શિંગડાહીન અસામાજિક પ્રાણીઓ સાથે ક્યાં સુધી શિંગડા ભરાવવા?’

‘તોપણ ગૌરી લંકેશ જેવા પત્રકારની કરપીણ હત્યા થઈ જાય ત્યારે તમારા જેવા ન બોલે તે કેમ ચાલે? તમારું મૌન તો તમારી અભિવ્યક્તિની આઝાદીને લજવે!’

‘તું અત્યારે મોટી મોટી વાત કરવાનું રહેવા દે. ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપત તો તું જ તરત કહેત, ગૌરી લંકેશ કંઈ માત્ર પત્રકાર થોડી હતી, એ તો કર્મશીલ પણ હતી. એણે જે કર્મ કર્યાં એ ભોગવ્યાં! તમારા જેવા માટે બૌદ્ધિક, કર્મશીલ, માનવ અધિકારવાદી, આંદોલનકારીઓ... બધાનો એક જ અર્થ થાય છે - દેશદ્રોહીઓ!’

‘ચતુરસેન, સાવ સાચું કહું તો દેશના બૌદ્ધિકો-કર્મશીલો હવે બ્લૂ વ્હેલ ગેમના શોખીન બની ગયા છે. એક પછી એક આકરા સવાલો પૂછીને ગેમના લેવલ વટાવતા જાય છે અને મોતને સામેથી બોલાવે છે, પછી બીજું શું થાય!’

‘બૌદ્ધિકોનું તો જે થવાનું હશે એ થશે, એમની ચિંતા છોડો, તમે ખરેખર દેશપ્રેમી હોય તો કોઈ વિચારધારા કે પક્ષની નહિ, દેશની ચિંતા કરો.’

(‘દિવ્ય ભાસ્કર’ના 8મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, July 28, 2017

નીતી(ના)શનો છગ્ગો, ફૂટ્યો ગઠબંધનનો ફુગ્ગો

દિવ્યેશ વ્યાસ

(આ રેખાંકન કાર્ટૂનિસ્ટ શ્યામના બ્લોગ http://shyamcartoonist.blogspot.in પરથી લીધું છે.)


‘ચતુરસેન, જોયું ને? ચૂંટણી હોય કે ન હોય, ભાજપ એક પછી એક રાજ્ય સર કરતું જાય છે ને? વધુ એક રાજ્ય હવે કૉંગ્રેસ મુક્ત! આને કહેવાય રાજનીતિ.’ ફાંકેરામના મોં પર હાસ્યના બારેય મેઘ ખાંગા થઈ ગયા હતા.

‘ફાંકેરામ, તમે ખુશ ખબર લાવ્યા અને સાથે મીઠાઈ ન લાવ્યા?’

‘નીતીશકુમારે બિહારમાં સીએમ પદનો છગ્ગો લગાવ્યો અને એ પણ મોદીસાહેબના પક્ષ સાથે મળીને, એટલે મને મીઠાઈ લાવવાની ઇચ્છા તો બહુ હતી, પણ રસ્તામાં પાણી ભરાયાં હતાં.’

‘બધા રસ્તાઓ પર થોડા પાણી ભરાયા હોય? ખોટાં બહાનાં ન કાઢ.’

‘ના, એકાદ રસ્તે પાણી નહોતા ભરાયાં, પરંતુ ખાડા એટલા બધા પડ્યા હતા કે મને મારા બાઇકની દયા આવી ગઈ.’

‘તારે ખરેખર તો તારી બુદ્ધિની દયા ખાવી જોઈએ.’

‘મારી બુદ્ધિ ઠેકાણે જ છે. વાત આડે પાટે ન ચડાવો, હું બિહારની વાત કરતો હતો. હા, તમને પહેલેથી જ કહી રાખું કે  નીતીશકુમાર ભલે સાઠીમાં આવી ગયા હોય તોય તેમની બુદ્ધિ હજુ નાઠી નથી. તેમને સમજાઈ ગયું છે કે સત્તાના મહાસાગરમાં મગરમચ્છ જોડે દુશ્મની કરવા કરતાં દોસ્તી કરવામાં વધારે સલામતી છે.’

‘નીતીશકુમાર તો માસ્ટરસ્ટ્રોકકુમાર ગણાય છે, તેમની રાજકીય સમજ અંગે મને પહેલેથી માન છે, પરંતુ તું આટલો બધો કેમ ફુલાઈ રહ્યો છે?’

‘લાલુ જેવા ભ્રષ્ટાચારી સાથે નીતીશે ગઠબંધનનો ફુગ્ગો ફોડી નાખ્યો છે, એનાથી ખુશ છું. મારા અણ્ણાસાહેબ પણ ખુશ થયા હશે.’

‘અણ્ણાસાહેબ તો દેશમાં લોકપાલ નિમાશે ત્યારે ખુશ થશે!’

‘લોકપાલ-લોકપાલ શું માંડ્યું છે, તેમના પટ્ટશિષ્ય અરવિંદ કેજરીવાલ પણ લોકપાલને ભૂલી ગયા છે અને તમે છાલ છોડતા નથી!’

‘આમ તો અણ્ણાસાહેબ પણ લોકપાલ મુદ્દે ચૂપ જ છે, પણ તું એક સવાલનો જવાબ આપ, આ રોડરસ્તામાં ભ્રષ્ટાચાર ન થતો હોત તો શું તારે તારી બાઇકની દયા ખાવી પડી હોત?’

‘ના, ભ્રષ્ટાચાર ન થતો હોત તો રસ્તાની સાવ આવી હાલત ન થઈ હોત.’

‘ફાંકેરામ, હવે બીજો સવાલ, ઘાસચારો ખાઈ જનારો ભ્રષ્ટાચારી તો રોડરસ્તા ખાઈ જનારાને શું કહીશું?’

‘તમે ક્યાંની વાત ક્યાં જોડો છો... વરસાદ વધ્યો છે, હું ભાગું છું!’

‘તારા જેવા ભક્તોનો આ જ વાંધો છે, સવાલોનો વરસાદ વરસે એટલે ભાગવા માંડો છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 28મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, July 14, 2017

મૂછો ફૂટવાની વેળા, ભ્રષ્ટાચારમાં સૌ ભેળા

દિવ્યેશ વ્યાસ


(કૌભાંડી પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે તેજસ્વી યાદવ, તસવીર પીટીઆઈની છે.)

‘ફાંકેરામ, શ્રાવણ મહિનો હવે નજીકમાં છે. તું તો આ વર્ષે પણ દાઢી-મૂછો વધારવાનો છે ને?’

‘આપણું તો ફિક્સ જ હોય છે! જટાધારી શિવનું સ્મરણ કરીને એક મહિનો વાળ વધવા દેવાના.’

‘પણ આ વર્ષે રહેવા દેજે. આ વખતે દાઢી-મૂછો ન વધારતો...’

‘આ વર્ષે તો ક્યારેય ન વધારતાં હોય એવા લોકો પણ પોતાને ધાર્મિક અને ભક્તજન ગણાવવા માટે દાઢી-મૂછો વધારે તો નવાઈ નહીં!’

‘બધા ભલે વધારે તું ન વધારતો...’

‘ચતુરસેન, તમારા જેવા ઉદારવાદી બૌદ્ધિક ગણાતા વ્યક્તિમાં પહલાજ નિહલાની ક્યારથી ઘૂસી ગયો? પ્રતિબંધની લાકડી કેમ પછાડવા માંડ્યા છો?’

‘તારા ભલા માટે કહું છું. મૂછનો દોરો હવે યુવાનીની સાથે સાથે ભ્રષ્ટતાનું પણ પ્રતીક બની ગયું છે!’

‘ચતુરસેન, મજાક છોડો અને કોઈ મુદ્દાની વાત કરો.’

‘મુદ્દાની વાત તો એ છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા લાલુપુત્ર તેજસ્વીએ એવી ધારદાર દલીલ કરી છે કે આ એ વખતના ભ્રષ્ટાચારની વાત છે, જ્યારે મારો તો મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો!’

‘મૂછના દોરા કે માથામાં ધોળાને ભ્રષ્ટાચાર સાથે શું લેવાદેવા... દાઢી-મૂછ ન રાખનારા પણ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તો સામે દાઢી-મૂછ ઉપરાંત જટા રાખનારા પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછા પડતા નથી.’

‘એ ખરું પણ આમ જોવા જઈએ તો તેજસ્વીની દલીલમાં થોડો દમ પણ છે. આજથી દસ વર્ષ પહેલાં ક્રિકેટમાં કારકિર્દી ઘડવાનાં સપનાં જોતાં તરુણ તેજસ્વીને કૌભાંડ કરવાની સૂઝ ક્યાંથી હોય.’

‘એને સૂઝ ન હોય પણ તેના પિતાશ્રીએ તો ‘આવું તારું કરી નાંખું’ સ્ટાઇલમાં બેટાના નામે કરી નાખ્યું હોય, એવું બને ને!’

‘ખરું, સંપત્તિ કે પદના વારસાની જેમ ભ્રષ્ટાચારના આરોપો પણ વારસામાં મળે જ ને!’

‘આ દેશમાં કયો એવો નેતા હશે, જેમણે ભ્રષ્ટાચારથી પેદા કરેલી સંપત્તિ તેનાં સંતાનોને નહીં મળતી હોય?’

‘કોઈ અપવાદ હોય તો આપણી આંખ ઠરે, બાકી અત્યારે તો લાલુ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે!’

‘લાલુ તો એ જ લાગના છે, પરંતુ લાલુ જેવી જ કાર્યવાહી અન્ય ભ્રષ્ટાચારી નેતાઓ સામે કેમ નથી થતી? એ મોટો સવાલ છે.’

‘નાનો હોય કે મોટો, એસટી અંગે હોય કે જીએસટી અંગે, આવા સવાલનું હવે કોઈ લેવાલ નથી!’

(‘દિવ્ય ભાસ્કરના 14મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)