દિવ્યેશ વ્યાસ
(અણ્ણાજીનું આ ઇલસ્ટ્રેશન www.manumartin.blogspot.in પરથી લીધું છે.)
‘ફાંકેરામ, બહુ દિવસે દેખાણો.... ક્યાં છે આજકાલ? કોઈ નવી નોકરી મળી ગઈ છે કે શું?’ ફાંકેરામ જેવો આવ્યો કે તરત ચતુરસેને સવાલોનો મારો ચલાવ્યો.
‘બહુ દિવસે આવ્યો છું તો સ્વાગત તો કરો. પુષ્પમાળા પહેરાવો, ન હોય તો છેવટે પુષ્પગુચ્છ આપી અભિવાદન કરો, એકાદું આવકાર ગીત ગાવ, મારા માટે સારા સારા વિશેષણો વાપરો, મારી સાચી-ખોટી પ્રશંસા કરો, મોંઘેરા મહેમાનની જરા મહેમાનગતિ કરો... આમ કોરા સવાલો કરશો તો બે મિનિટ પર ઊભા રહેવાનું મન નહીં થાય.’
‘સાહેબની જેમ તને પણ સવાલો ક્યાં ગમે છે! ખેર, તું આટલેથી અટકી ગયો એ સારું કર્યું બાકી તું તો ફૂડ પેકેટ પણ માગી શકે છે!’ ચતુરસેને સહેજ પણ વિલંબ વિના ટોણો મારી લીધો.
ગૂગલી બૉલ પર સિક્સર વાગતાં ફાંકેરામ હેબતાઈ ગયો. બે ક્ષણ હેંગ રહ્યા પછી બોલ્યો, ‘મેં ફૂડ પેકેટ માગ્યું? આજે તો હું ઘરે જ જમીને આવ્યો છું.’
પોતે શું બોલી ગયો, એનું ફાંકેરામને ભાન હતું કે નહીં ખબર નહીં, પરંતુ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.એટલે ગિન્નાઈને ફાંકેરામ બોલ્યો, ‘ગાંડાની જેમ હસો છો કેમ?’
માંડ માંડ હસવું રોકીને ચતુરસેન બોલ્યા, ‘તો શું તાળીઓનો ગડગડાટ કરું?’
‘હા, તાળીઓ પાડો તો જરા માહોલ બને!’ ફાંકેરામ જરા મૂડમાં આવ્યો.
‘ફાંકેરામ, હજુ તો ચૂંટણી જાહેર પણ નથી થઈ ત્યાં તારી આવી હાલત છે, આગળ જતાં તારું શું થશે?’
‘સારું જ થશે. લાગે છે કે આમ ને આમ ગુજરાત ભ્રમણ થઈ જશે. નોકરી-ધંધો નથી, છતાં રોજગારી મળી ગઈ છે. સરકારી એસટીમાં ફરવાનું અને ફૂડ પેકેટ ખાવાનું. સૂત્રો પોકારવાનાં અને તાળીઓ પાડવાની... મારા
જેવા નવરા માટે તો બેઠા કરતાં ચૂંટણી સભાઓ ભલી.’
‘બે-ત્રણ મહિના તો આ બધું બખડજંતર ચાલશે, પણ પછી શું કરીશ? ફૂડ પેકેટ ખાવાની ટેવ પડી જશે તો ઘરનું ખાવાનું પછી નહીં ભાવે.’
‘ફૂડ પેકેટો ખાધા પછી તો ઉપવાસ જ કરવાના છે ને?’
‘કેમ ઉપવાસ?’
‘અણ્ણાસાહેબ ફરી લોકપાલનું આંદોલન ઉપાડે એવાં એંધાણ છે.’
‘હા, અણ્ણાજી આખરે ત્રણ વર્ષે જાગ્યા છે ખરા અને હવે જનલોકપાલ માટે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.’
‘અત્યાર સુધી કંઈ સૂતા નહોતા, એ કંઈ કુંભકર્ણ નથી!’
‘કુંભકર્ણ તો છ મહિને જાગી જતો હતો, આમને તો ત્રણ વર્ષ લાગ્યાં, બોલ હવે કંઈ કહેવું છે?’
‘ચતુરસેન, તમે અણ્ણા વિશે આવું આડુંઅવળું ન બોલો. અણ્ણાના આંદોલનને યોગેન્દ્ર યાદવના રાજકીય પક્ષ સ્વરાજનો પણ ટેકો મળ્યો છે.’
‘ફાંકેરામ, મને અણ્ણા પર માન છે, તેમની પ્રતિબદ્ધતા સામે કોઈ શંકા નથી, પણ તેમને ક્યારે વિકાસ દેખાઈ જાય અને ક્યારે ઘોટાલા દેખાય, એનું કંઈ ઠેકાણું હોતું નથી.’
‘આ વખતે તેઓ એવું આંદોલન કરશે કે લોકપાલ લાવવા જ પડશે.’
‘એવું તો હું પણ ઇચ્છું છું, પણ લોકાયુક્તનો કિસ્સો તારી જેમ ભૂલી નથી ગયો. છતાં પણ અણ્ણા ખરેખર કંઈ કરી શકશે તો તારા કરતાં પણ વધારે રાજી તો હું જ થઈશ.’
(‘દિવ્ય ભાસ્કર’ના 6 ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)


No comments:
Post a Comment