Friday, June 30, 2017

અભિ‘નેતા’ઓના ટોળામાં આઇટમ ગર્લ

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન વિક્રમ નંદવાણીએ બનાવેલું છે.)


‘ચતુરસેન, આજકાલ GST - GST બહુ ચાલ્યું છે. છાપાંના લેખોથી માંડીને વૉટ્સએપ પર ફરતી જોક્સ પણ GSTની જ વાંચવા મળી રહી છે. કંઈક તો ફોડ પાડો.’

‘કરવેરાના ભલભલા જાણકારોથી માંડીને જાણભેદુઓ પણ કંઈ ફોડ પાડતા નથી, એમાં હું શું બોલું. GSTનું ગુજરાતી થાય, માલ અને સેવા કર. નામ પરથી અને સાંભળેલી વાતો પરથી મને તો એટલી જ ખબર છે કે પહેલી જુલાઈથી ફોડ પડાવવાનું એટલે કે સલાહ-સૂચન મેળવવાની સેવા પણ મોંઘી બની શકે છે.’

‘શું વાત કરો છો? આજે મોંઘવારી ઓછી છે તે તમે વધવાના વરતારા બહાર પાડો છો?’

‘વરતારા નથી, વાસ્તવિકતા છે.’

‘આ તો દુષ્કાળમાં અધિક માસ જેવું થશે.’

‘દુષ્કાળ અને એની ઉપર અધિક માસ વીતશે, પણ પછી તો સારો વરસાદ આવશે. FDIનો વરસાદ, રોજગારીનો વરસાદ...’

‘તમેય રાજકારણીઓની જેમ ધોળા દિવસે તારા બતાવવાનું ક્યારથી શરૂ કર્યું?’

‘લોકો ધોળા દિવસે સૂરજને ગાળો દે અને સિતારા માટે વલખાં મારે ત્યારે બીજું તો શું કરી શકાય!’


‘ખેર, સિતારાની વાત નીકળી છે ત્યારે મને આઇટમ ગર્લ યાદ આવી જાય છે!’

‘અણ્ણા હઝારેનો ચાહક અચાનક આઇટમ ગર્લના મોહમાં કાં ફસાઈ ગ્યો?’

‘સાચું કહું તો આઝમ ખાને ફસાવ્યો છે. હમણાં જ આઝમ ખાનનું નિવેદન સાંભળ્યું: મૈં બીજેપી કા આઇટમ ગર્લ હૂં. ઉનકે પાસ કોઈ ઔર શખ્સ નહીં હૈ, જિસકે બારે મેં બાત કરકે વોટ બટોરેં જા સકે.... બીજેપી કે લિયે મૈં નફરત કા એજન્ડા હૂં. મેરે ખિલાફ નફરત ફૈલાકર બીજેપી કો વોટ મિલતે હૈ. મુઝ સે પ્યાર કીજિયે, નફરત મત કીજિયે...’

‘આઝમ ખાન નિખાલસ કહેવાય કે પોતે આઇટમ ગર્લ બની રહ્યાનું કબૂલી લીધું. બાકી કેજરીવાલ હોય કે લાલૂ, એમનો પણ કંઈક આવો જ ઉપયોગ થતો રહ્યો છે.’

‘કેટલાક બબાલવીર નેતાઓ એવા પણ છે, જે સામેથી પોતાના નામના વિવાદોના પરપોટા ફોડ્યા કરે છે અને સમાચારોમાં ચમક્યા કરે છે.’

‘રાજકારણીઓ માટે લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જાણે સમાચારમાં ચમકવું અનિવાર્ય બની ગયું છે. નેતાઓ ભાષણ કળાની સાથે સાથે અભિનય કળામાં માહેર થવા મથી રહ્યા છે.’

‘સાચી વાત છે, નેતાઓ હવે અભિનેતાની અદાથી છવાઈ રહ્યા છે અને એમાં વચ્ચે વચ્ચે આઇટમ ગર્લની એન્ટ્રીઓથી લોકોનું મનોરંજન થતું રહે છે.’

‘આ મનોરંજનની માયાજાળમાં GST જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ ભુલાઈ જાય છે, એનું રોદણું ક્યાં રડવું?’

(‘દિવ્ય ભાસ્કર’માં 30મી જૂન, 2017ના તંત્રીપાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 16, 2017

‘વિજય’ને જોતાં યાદ આવે આપણો ‘પરાજય’

દિવ્યેશ વ્યાસ

(વિજય માલ્યાનું કાર્ટૂન BCCLની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, તમને ખબર છે કે મારે અત્યારે ક્યાં હોવું જોઈએ?’

‘બીજે ક્યાં હોવું જોઈએ, એ તારે વિચારી લેવાનું પણ મને તો લાગે છે કે એટલિસ્ટ સવાર સવારમાં તો મારા ઘરે તારે ન જ હોવું જોઈએ?’

‘આંગણે આવેલા અતિથિનું આવું અપમાન? તમે બૌદ્ધિકોને માનવ અધિકારનો મુદ્દો આવે તો ઉછળી પડો, પણ માનવ સંવેદનાનો જરાય વિચાર ન કરો! તમે તો મૂડ ભાંગી નાંખ્યો.’

‘ફાંકેરામ, હું તો મજાક કરતો હતો! તું ચૂંટણીનાં વચનોનેય ગંભીરતાથી લેતો નથી ત્યાં મારી મજાકને કેમ આટલી સિરીયસલી લઈ લીધી? ખેર, બોલ બોલ... તું અત્યારે ક્યાં હોવો જોઈતો હતો?’

‘અત્યારે હું ઇંગ્લેન્ડમાં હોવો જોઈતો હતો.’

‘ઓહો... એટલે આપશ્રી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો સગી આંખે જોવાની ઇચ્છા ધરાવો છે.’

‘ક્રિકેટ મેચ જોવા કરતાંય મને વિજય માલ્યાને જોઈ લેવાની ઇચ્છા થઈ રહી છે.’

‘અણ્ણાના આંદોલનોમાં સામેલ થવા આતુર રહેનારો ફાંકેરામ વિજય-પંથે ક્યારથી ચડી ગયો છે?’

‘ચતુરસેન, તમે મારી વાત સમજ્યા નહીં. મને વિજય માલ્યાને ‘જોવા’ની ઇચ્છા નથી થઈ રહી ‘જોઈ લેવાની’ ઇચ્છા થઈ રહી છે. ભારતની મેચ હોય ત્યાં લાજશરમ વિના મહાલવા લાગતા માલ્યાનું ઓવલ સ્ટેડિયમ ખાતે લોકોએ હૂટિંગ કરીને જલસો પાડી દીધો. મને તો ભારતે દ. આફ્રિકાને હરાવ્યું, એના કરતાં પણ લોકોએ માલ્યાને ‘ચોર ચોર’ કહીને સ્ટેડિયમમાંથી ભગાવી દીધો, એમાં મજા પડી!’

‘ફાંકેરામ કેટલાક ‘વિજય’ એવા પણ હોય છે, જેમાં આપણને આપણા ‘પરાજય’ના દર્શન થઈ જાય.

‘પરાજયના મુદ્દે જ મારું તો લોહી ઉકળી ઊઠે છે. હું ઓવલ સ્ટેડિયમમાં હોત તો ઝાલ્યો ન રહ્યો હોત...’

‘કોઈ ખરેખર ગુનેગાર હોય તોપણ તેને સજા તો કોર્ટે આપવાની હોય, આપણે નહીં. તારા જેવા લોકો વધી રહ્યા છે, એટલે જ દેશમાં મારીપીટીને માણસને મારી નાખવાની અમાનવીય ઘટનાઓ વધતી જાય છે.’

‘ફરી તમે તમારી ઓકાત-માનવ અધિકાર પર આવી ગયા ને?’

‘આ તો ન્યાય વ્યવસ્થાની સાદી સમજ છે, માનવ અધિકાર તો મોટો શબ્દ છે. પણ તારા જેવાને કેમ સમજાવવા?’

‘તમારે સમજાવવું હોય તો વિજય માલ્યા જેવાને સમજાવો ને?’

‘મારે કોઈને સમજાવવું નથી, મારે બસ થોડુંઘણું સમજવું છે. તને સમજાવવાની ભૂલ થઈ ગઈ... માફ કર ભઈલા!’

(‘દિવ્ય ભાસ્કર’ના 16મી જૂન, 2017ના તંત્રીપેજ પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 2, 2017

દિમાગનું દહીં અને સત્તાનું માખણ

દિવ્યેશ વ્યાસ


(ગૂગલ ઇમેજ પરથી મળેલું રેખાચિત્ર)


‘આ ગાયનો એક વિવાદ ઓછો હતો તે હવે મોરનો લઈ આવ્યા!’ ચતુરસેનના ચહેરા પરની અકળામણ તેમની વાણીમાં પણ ભળેલી હતી.

‘યુનો, યે દિલ માંગે મોર!’

‘શું મોર? કંકોડા?’

‘કંકોડા નહિ, કકળાટ... રેડિયો પર કકળાટ, ટીવી પર કકળાટ, મોબાઇલ પર કકળાટ, અખબારોમાં કકળાટ, સડક પર કકળાટ અને સંસદમાં પણ કકળાટ.... બીજું કંઈ થાય કે ન થાય, બસ કકળાટ-દેકારો ચાલું રહેવો જોઈએ.’

‘એક તરફ ગરમીનો ઉકળાટ અને બીજી તરફ નીતનવા મુદ્દે પેદા થતો આ કકળાટ. મને તો એ નથી સમજાતું કે કકળાટ કરીને શું કાંદા કાઢી લેવાના છે?’

‘કાંદા કોઈને કાઢવા નથી, ભાવ ન મળતાં ખેડૂતો આમ પણ રસ્તા પર કાંદા ફેંકી દેતા હોય છે. કાંદા જેવી મામૂલી નહિ, પણ કોહિનૂર જેવી કીમતી એવી સત્તાના આ ખેલ છે.’

‘સત્તાના આ ખેલ તો હું સારી રીતે સમજું છું, પણ આ કકળાટને કારણે મારા દિમાગનું દહીં થઈ જાય છે.’

‘બસ, એ જ તો જોઈએ છે રાજકારણીઓને. લોકોના દિમાગનું દહીં થઈ જવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખતા દિમાગ બહુ ખતરનાક પુરવાર થઈ શકે છે. આવાં દિમાગ સત્તાધીશો પાસે હિસાબ માગી શકે છે, નઠારા સત્તાધીશોના તખતાઓ ઊથલાવી શકે છે, સ્વતંત્રપણે વિચારીને અણિયાળા સવાલો પૂછી શકે છે, સત્તાપક્ષ-વિપક્ષોના રાજકારણીઓની અંદરોઅંદરની મિલીભગતના ભાંડા ફોડી શકે છે, પણ દિમાગનું દહીં થઈ જાય તો પછી સાવ શાંતિ! લોકોના દિમાગનું એક વખત દહીં થઈ જાય પછી તેને મનફાવે તેમ વલોવી વલોવીને સત્તા રૂપી માખણ આસાનીથી તારવી શકાય.’

‘દિમાગનું દહીં અને સત્તાનું માખણ... વાહ ફાંકેરામ, જબરું લાવ્યો!’

‘ચતુરસેન, તમારી સાથે રહી રહીને થોડુંક તો હું પણ શીખી ગયો છું.’

‘માખણ મારવાનું રહેવા દે અને એમ કહે કે આ કકળાટનું કરવાનું શું?’

‘નાના મોંઢે મોટી વાત કરું તો માફ કરજો, પણ માહોલ જોતાં તો મને એવું લાગે છે કે તમારે કકળાટ સહન કરવાની આદત કેળવવી પડશે!’

‘ફાંકેરામ, તારી વાત તો સાચી છે. આજે દેશના સત્તાધીશો ‘ગજકેસરી’ યોગમાં મહાલી રહ્યા છે. વિમર્શલાયક મુદ્દાઓ પર પણ વાહિયાત સ્તરના વાદવિવાદના દોર ચાલી રહ્યા છે ત્યારે શાંતિ-સુમેળભર્યું વાતાવરણ સર્જાવાના યોગ જણાતા નથી.’

‘એટલે તો કહું છું કકળાટને જોઈને તમારા દિમાગનું દહીં થવા ન દેશો.’

‘ચિંતા ન કરીશ, મારા દિમાગનું દહીં થશે તોપણ માખણ બીજો કોઈ લઈ જાય, એવો ફુહડ તો હું નથી જ!’



(‘દિવ્ય ભાસ્કર’ના 2જી જૂન, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 19, 2017

જેને કોઈ ન પહોંચે તેને જેઠમલાણી પહોંચે!

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન આઉટલુકની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, નોટબંધી પછી કાળાં-ધોળાં નાણાંના ખેલમાં માહેર સીએની બોલબાલા જોઈને મને થયું હતું કે મારે સીએ જ થવા જેવું હતું.... પણ હમણાં હમણાંથી સમાચારો વાંચીને થાય છે કે આ જમાનામાં બનવું હોય તો વકીલ જ બનાય!’

‘તારા જેવા એટીકેટી સાથે માંડ માંડ બીએ પાસ થયેલાએ સીએ બનવાનાં સપનાં ન જોવાય...’

‘અરે ભાઈ, મારે તો કંઈ ભણવું નથી કે બનવું નથી. ડિગ્રી હોય કે ન હોય, તેની કેટલી બધી ઉપાધિ હોય છે! આ તો ખાલી વાત કરતો હતો કે વકીલો આજકાલ ભારે ચર્ચામાં રહે છે.’

‘તારું તો એવું છે કે જે ચર્ચામાં આવે તે તારું ચિતડું ચોરી લે છે... બહું ભોળું ને મોળું છે તારું મન... ખેર કયા વકીલનો ભક્ત બની ગયો?’

‘ભક્ત-બક્ત કોઈનો નથી બન્યો, પણ પેલા એડવોકેટ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ માટે જે જોરદાર દલીલો કરીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.. એ જોઈને હું આફરીન પોકારી ગયો.’

‘ફાંકેરામ, તું અત્યારે હરીશ સાલ્વે પર આફરીન થયો છે એ તો ઠીક બાકી મને એમ કે તું રામ જેઠમલાણીની ધારદાર દલીલોથી ઘાયલ થઈ ગયો હોઈશ.’


‘જેઠમલાણીની તો વાત જ જવા દો... કોઈ નહીં ને કેજરીવાલનો કેસ લડી રહ્યા છે!’

‘આ જ જેઠમલાણી જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારા વતી કેસ લડી રહ્યા હતા ત્યારે સારા લાગતા હતા... હર્ષદ મહેતા અને કેતન મહેતા જેવા કૌભાંડીના કેસ લડતા હતા ત્યારેય તમને વાંધો નહોતો. અડવાણીનો હવાલા કાંડવાળો કેસ લડેલા ત્યારે પણ પ્યારા લાગતા હતા. યેદ્દિયુરપ્પાનો કેસ લડ્યા ત્યારેય તમે રાજી હતા, હવે કેજરીવાલનો કેસ લડે છે ત્યારે પેટમાં કેમ દુ:ખે છે.’

‘ઓહો... તમે તો જેઠમલાણીની આખી કુંડળી કાઢી નાખી...’

‘આ તો હજું અડધી જ કુંડળી છે. આ જ જેઠમલાણીએ ડોન હાજી મસ્તાન, જેસિકા લાલના હત્યારા મનુ શર્માથી માંડીને અફઝલ ગુરુના બચાવમાં પણ દલીલો કરેલી છે. ગંદા હૈ પર ધંધા હૈ યે!’

‘તમે તો મૂડ મારી નાખ્યો... હરીશ સાલ્વેની કામગીરી જોઈને તો મને અહેસાસ થઈ ગયેલો કે એક સૈનિક નહીં, વકીલ પણ દેશભક્તિ કરી શકે છે!’

‘કોઈ પણ કામ સારી રીતે કરો, એ દેશભક્તિ જ છે! જેઠમલાણીએ પણ ઘણા સારા કેસો લડેલા જ છે, પણ તેઓ ક્યારે કોના માટે કેસ લડે એનું કંઈ કહેવાય નહીં. માત્ર ભાજપના જ નહીં અન્ય પક્ષોના નેતાઓના કેસો પણ તેઓ લડી જ ચૂક્યા છે.’

‘જેઠમલાણીએ તો અરુણ જેટલીને ‘ધૂતારા’ જ કહી દીધા! જબરું બોલે છે, આ માણસ અને એ પણ ભરી અદાલતમાં...’

‘એટલે તો તેઓ જોખમી જેઠમલાણી કહેવાય છે. કોઈ ન પહોંચે એને જેઠમલાણી પહોંચે! ભાજપની સ્થાપનામાં સહયોગ કરનારા આ માણસે એક સમયે વાજપેયી વિરુદ્ધ પણ ચૂંટણી લડી છે! આ એવા ‘રામ’ છે, જે ભાજપને ભારે પડે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 19મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 5, 2017

કવિ શું કહેવા માગે છે, એ સમજાય ત્યારે...

દિવ્યેશ વ્યાસ

(કુમાર વિશ્વાસનું કાર્ટૂન http://www.theforthright.com પરથી લીધું છે.)


‘હું કહું એ મારું શાસન, મારા શબ્દો મારું શાસન, સખણો રહેજે, છે મારું શાસન, સૌથી શ્રેષ્ઠ છે મારું શાસન’ ફાંકેરામ શાસન શબ્દની આજુબાજુ કવિતા રચવા શબ્દાસનોના અખતરા કરી રહ્યો હતો.

‘ફાંકેરામ, બાહુબલીનો ‘મેરા વચન હી મેરા શાસન’ ડાયલોગ તારા દિમાગની દીવાલ પર ચ્યુઇંગમની જેમ ચોંટી ગયો લાગે છે. રાજકારણ પછી સાહિત્ય ક્ષેત્રમાં પણ તારો ઇન્ટરેસ્ટ વધતો જતો હોય એવું મને છેલ્લા કેટલાક દિવસોથી લાગવા માંડ્યું છે.’

‘તમે જબરું પકડ્યું! મને ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં રસ પડવા માંડ્યો છે, કારણ કે હવે મને લાગે છે કે ત્યાં ભાષા કે સાહિત્ય કરતાં પણ રાજકારણમાં ફાવટ હોય તો સાહિત્યક્ષેત્રે વધારે સફળતા મળે છે. મારામાં ક્રિએટિવિટી વધારે-ઓછી હશે પણ કાવાદાવામાં તો આપણે પાવરધા છીએ જ... એટલે સાહિત્યમાં ઝંપલાવવાની ઝંખના જાગી રહી છે.’

‘સાહિત્ય ક્ષેત્રમાં રાજકારણ કરી કરીનેય લઈ શું લેવાનું? વધીને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવો કે પછી સરકાર મહેરબાન થાય તો તારા જેવા પણ પહેલવાન બનીને અકાદમીના પ્રમુખ બની શકે. જોકે, આમાં સ્પર્ધા એટલી ગળાકાપ છે કે આપણા જેવા નવાણિયા તો ક્યાંક કુટાઈ જાય!’



‘ચતુરસેન, તમે સમજ્યા નહીં... સાહિત્ય સંસ્થાઓના પ્રમુખ પદની કોને પડી છે? આપણે તો બસ રાજકારણની નેટ પ્રેક્ટિસ કરવી છે. વળી, જો પ્રાસ-અનુપ્રાસની સાથે સાથે થોડી શબ્દરમતો શીખી જવાઈ તો આપણે પણ ફાંકડું ભાષણ કરવા માંડીએ અને રાજકારણમાં જામી જઈએ...’

‘વાહ ફાંકેરામ! તમે શેખચલ્લીના વારસો જરૂર જાળવશો! સાહિત્યકાર ગણો કે શબ્દબાજ, એ બિચારો ગૌરવ પુરસ્કાર અને વધીને મહામહેનતે પદ્મશ્રી મેળવતો હોય છે. તું જ વિચાર કયો કવિ રાજકારણમાં જામી શક્યો અને સાંસદ કે મુખ્યમંત્રી બન્યો?’

‘બન્યો નથી પણ બનજે જરૂર!’

‘કોણ તું?’ ચતુરસેન હસવા માંડ્યા.

‘મારે તો થોડી વાર લાગશે પણ કુમાર વિશ્વાસ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. કેજરીવાલ સામે વાંધો પાડ્યા પછી હવે આ કવિને રાજસ્થાનના પ્રભારી બનાવી દેવાયા છે, જ્યાં આગામી વર્ષે ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીમાં સફળ થશે તો સીએમ પદ પાક્કું!’

‘કવિ હોવા છતાં કુમાર વિશ્વાસે પણ તારા જેવી મનોહર કલ્પનાઓ નહીં કરી હોય!’

‘કવિ એની કવિતામાં શું કહેવા માગે એ ન સમજાય પણ રાજકારણનું લોહી ચાખી ગયેલા કુમાર વિશ્વાસ શું કહેવા માગે છે, એ કેજરીવાલ સમજી ગયા અને રાજસ્થાન સોંપી દીધું! હવે જોજો કુમારનો કમાલ!’

‘કુમારનું શું થાય છે, એ તો સમય જ કહેશે. મારે તો એટલું જ કહેવું છે કે તું શાસનવાળી કવિતાને વહેલામાં વહેલી તકે કચરાટોપલીમાં પધરાવી દે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 5મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)

Friday, April 21, 2017

અડવાણીની આજકાલ : હમારી અધૂરી કહાની!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન આઉટલુક ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલું છે.)

ફાંકેરામ બાઉન્સર બૉલની જેમ ધસી આવ્યો. ચતુરસેનના હોંશકોંશની વિકેટ ખેરવવાના ઈરાદે કોમેન્ટ્રી શરૂ કરી, ‘ઔર એક બાર ફિર અડવાણી અપની મંજિલ પાને મેં નાકામ દિખ રહે હૈ!’

ચતુરસેને શાણા ખેલાડીની જેમ બાઉન્સર બૉલને ઇગ્નોર કરવાની સ્ટાઇલમાં કહ્યું, ‘કંઈક નવા સમાચાર હોય તો આપ...’

અમ્પાયરની આડોડાઈ પર ખિજાઈ જતાં ખેલાડીની જેમ ફાંકેરામ ચતુરસેન પર અકળાઈ ઊઠ્યો, ‘તમે જાણો છો કે હું ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનો શોખીન નથી, આપણે તો છાપું કહે તે સાચું.... ન્યૂઝ ચેનલ બતાડે એ પાક્કું!’

વાઇડ બૉલનો ઈશારો કરતા અમ્પાયર જેવા હાવભાવ સાથે ચતુરસેન બોલ્યા, ‘તારા જેવા ઇતિહાસ સરખો વાંચતાં નથી અને પછી સંસ્કૃતિ કે વારસાના નામે કૂદાકૂદ કરતા હોય છે. ઇતિહાસને વાંચો નહીં, સમજો નહીં અને પછી ધોકા લઈને નીકળી પડો... આમાં દેશનો વિકાસ ક્યાં થાય?’

આગળના બૉલ પર છગ્ગો પડ્યા પછી બૉલર જે કચકચાવીને દડો ફેંકે એમ ફાંકેરામે રોકડું પરખાવ્યું,
‘દેશનો વિકાસ તો થઈ ને જ રહેશે. અર્થશાસ્ત્રીઓ અને અંકશાસ્ત્રીઓ ગમે તે કહે દેશની પ્રગતિને હવે કોઈ રોકી શકવાનું નથી.’

સ્પિનરની જેમ મુદ્દાને ટર્ન આપીને ચતુરસેને કહ્યું, ‘વિકાસની વાત તારી સાથે કરવાનો કોઈ અર્થ નથી. તું અડવાણીનું શું કહેતો હતો?’

ફુલટોસ બૉલ મળતાં તેના પર પ્રહાર કરતાં બેટ્સમેનની ત્વરાથી ફાંકેરામ કહે, ‘અરે તમે જાણતા નથી?  સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ મામલે અડવાણી સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. લાલજીનું હવે રાષ્ટ્રપતિ બનવાનું સપનું પણ રોળાઈ શકે છે.’

‘જો ફાંકેરામ, યે તો હોના હી થા! પીએમ ઇન વેઇટિંગ જ રહી ગયા પછી પણ અડવાણી જો ખરેખર ખુદને પ્રેસિડેન્ટ ઇન વેઇટિંગ માનતા હોય તો એ એમનો પ્રશ્ન છે.’

‘અાટલી દીર્ઘ રાજકીય યાત્રા પછી કોઈ પણને ઊંચા પદની અપેક્ષા તો રહે જ ને!’

‘અપેક્ષાઓ-મહત્ત્વાકાંક્ષાઓ તો ઠીક છે, પણ સમયનો તકાદો તો સમજવો જોઈએ કે નહીં?’

‘અડવાણીને એમ હશે કે મને-કમને પણ વડાપ્રધાન પદની લાલસા જતી કરી એટલે કદાચ રાષ્ટ્રપતિ બનવા મળી શકે છે.’

‘ફાંકેરામ, બસ આ ‘મને-કમને’ જ તેમને નડી ગયું છે. અડવાણીએ સમજી લેવું જોઈએ કે હવે તેમણે ‘અચ્છે દિન’ની આશાઓ છોડી દેવી જોઈએ. સાચું કહું તો તેમણે હવે રાજકારણ છોડીને રામધુન જ ગાવી જોઈએ!’

‘અડવાણીના દિલમાં ક્યારે રામ વસે અને રામધુન ગાવા માંડે એ તો હું જાણતો નથી, પણ અત્યારે તો તેઓ કદાચ ‘હમારી અધૂરી કહાની...’ કે પછી જૂનું અને જાણીતું દિલ કે અરમાન આંસુઓં મેં બહ ગયે...’ એવું કોઈ ગીત ગણગણતા હશે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 21મી એપ્રિલના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, April 7, 2017

ભક્તે ભગવાન બદલી નાખ્યા કે શું?

દિવ્યેશ ‌‌વ્યાસ


(ઇલસ્ટ્રેશન ધ ક્વિન્ટ.કોમમાંથી લીધું છે.)

‘યોગીજી તારો.... યોગીજી તારો.... યોગીજી તારો સંન્યાસ વખાણું કે પછી તારું શાસન વખાણું....’ અઠંગ ભજનિકની અદાથી આ એક જ પંકિત ગાતાં ગાતાં ફાંકેરામ આવી પહોંચ્યો. તેના ચહેરા પર જાણે કેસૂડાનાં હજારો ફૂલો ખીલી ઊઠ્યા હતા. ફાંકેરામની ખુશી તેના વ્યક્તિત્વની બહાર જાણે છલકાઈ રહી હતી. એક ભક્તને શોભે એવા ભોળા ભાવ અને માસૂમ પ્રસન્નતા તેના ચહેરા પરથી જાણે ટપકી રહ્યા હતા.

‘શું વાત છે! ભક્તે પોતાના ભગવાન બદલી નાખ્યા કે શું?’ ચતુરસેને તરત સવાલ કર્યો.

‘એક ભજન જરા બદલાવ્યું, એમાં ભગવાન બદલી નાખવાની વાત ક્યાં આવી? પાણીમાંથી પોરા કાઢવાનું તો કોઈ બૌદ્ધિકો પાસેથી શીખે.’

‘હા, અમારા બૌદ્ધિકો પાસેથી તો ઘણું શીખવાનું છે, પણ ઓછી બુદ્ધિના લોકોએ પહેલાં સ્વીકારવું તો જોઈએ કે આ બુદ્ધિશાળી લોકો છે, શાણા લોકો છે, એમની વાત કાને ધરવી જોઈએ અને દિમાગે કસવી જોઈએ. પણ અક્કલ ઓછી ને અહંકાર (જેને ‘ગૌરવ’ જેવું લોભામણું નામ પણ મળેલું છે) ઝાઝો હોય ત્યાં બૌદ્ધિકોને તો કોણ પૂછે?’

‘બૌદ્ધિકોને તો અમારે પૂછવું’ય નથી, એટલે એની તો વાત જ જવા દો. પણ તમને એવું કેમ લાગ્યું કે અમે ભગવાન બદલી નાખ્યા?’

‘પહેલાં તું મને બૌદ્ધિક ગણાવે છે, પછી કહે છે કે બૌદ્ધિકોને અમારે પૂછવું નથી અને વળી પાછો મને જ પ્રશ્ન પૂછે છે. હું બૌદ્ધિક છું કે નહીં ખબર નથી, પણ તું અક્કલમઠ્ઠો હોવાનું કેમ પુરવાર કરી રહ્યો છે?’

 ‘એવા રે અમે એવા રે તમે અક્કમઠ્ઠા કહો તો એવા રે! બસ સંતોષ થયો? હવે તો પૂછેલા પ્રશ્નનો જવાબ આપો.’

‘ફાંકેરામ, તું તો મોદીનો ભક્ત હતો, હવે યોગીનો ભક્ત થઈ ગયો હોય એવું લાગે છે.’

‘કોઈ રાજનેતા પ્રત્યેની ચાહનાને તમારે ભક્તિ ગણવી હોય તો ગણો, મને કોઈ ફરક નથી પડતો રહી વાત મોદી કે યોગીની, તો યોગીજી નવા નવા સત્તા પર આવ્યા છે અને તમે તો જાણો જ છો કે જેની જાન હોય એનાં જ ગાણાં ગવાય!’

‘હે ભગવાન! આ દેશને ફાંકેરામ જેવા ચિયરલીડર્સથી બચાવી લેજો!!’

‘ચાહક કહો કે ચિયરલીડર્સ, પણ તમારે અને તમારી બુદ્ધિએ એટલું તો સ્વીકારવું જ પડશે કે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનીને સપાટો બોલાવ્યો છે. ધડાધડ નિર્ણયો કરીને ઉત્તર પ્રદેશના શાસનને
ધમધમતું કરી દીધું છે.’

‘તારે મન શાસન એટલે કડક ચા જેવાં ‘કિક’ આપતાં ભાષણો, કડક નિયમો, આડેધડ પ્રતિબંધો અને ઉપરથી પ્રચારમારાનો વઘાર... આટલું જ હશે ને?’

‘આમાં ખેડૂતોની લોનમાફીને કેમ ગુપચાવી દો છો, એ શું સારો નિર્ણય નથી?’

‘લોનમાફી કરીને ગરીબ ખેડૂતને રાહત જરૂર પહોંચાડાશે, પરંતુ તેને કારણે કંઈ ખેડૂતોના અચ્છે દિન આવી જવાના નથી. ખેડૂતો માટે લાંબા ગાળાની નીતિ અને ભ્રષ્ટાચારમુક્ત અમલીકરણ જરૂરી છે.’

‘એ પણ થશે. થોડી રાહ જુઓ, યોગી આદિત્યનાથને સત્તા પર બેસીને થોડાં શ્વાસ તો લેવા દો!’

‘મને અત્યારે એક ટિખળ સૂઝી રહી છે, આ યોગી તો હનિમૂન પિરિયડમાં નહીં જ માનતા હોય ને!’

‘યોગી કર્મનિષ્ઠ નેતા છે. તમને રમૂજો સૂઝે છે, પણ તેઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પુરવાર થશે.’

‘ઓકે, વાત શ્રેષ્ઠ મુખ્યમંત્રી સુધીની હશે ત્યાં સુધી વાંધો નથી, ભાવિ વડાપ્રધાન બનવાનાં ખ્વાબ જોશે, એ દિવસથી પડતી પાક્કી!’

(‘દિવ્ય ભાસ્કર’ના 7મી એપ્રિલ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કટાર-બિનસંપાદિત)