Showing posts with label Statue. Show all posts
Showing posts with label Statue. Show all posts

Friday, March 9, 2018

જાગી જા, નહિતર પૂતળાં જ નહિ, તનેય પતાવી નાંખશે

દિવ્યેશ વ્યાસ


(ત્રિપુરામાં લેનિનનું પૂતળું તોડી પડાયું, એ સમયની તસવીર શ્રેણી ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

‘ચતુરસેન, મારી એક ઇચ્છા હતી, પરંતુ મનની ઇચ્છાના ભ્રૂણને મનમાં જ મારી નાંખવો પડશે.’

‘મહિલા દિવસનાં લેખો અને ભાષણોની અસર હજું ઊતરી નથી લાગતી. તારા માનસમાંથી ભ્રૂણહત્યા શબ્દોનું ભૂત કાઢવું પડશે.’

‘આમાં મહિલા દિવસને ક્યાં વચ્ચે લાવો છો? તમે તો સાવ દોસ્ત-દ્રોહી છો. એકવાર પણ ન પૂછતા નથી કે મિત્ર, તારી ઇચ્છા શું હતી? ઊલટું ઠેકડી ઉડાડવા માંડ્યા!’ ફાંકેરામે ધોખો કર્યો.

‘વાહ રે વાહ, મને દેશદ્રોહી સાબિત કરવા મથનારા ફાંકેરામને આજે હું દોસ્ત-દ્રોહી લાગવા માંડ્યો? ભાઈબંધ, ગેરસમજને મનમાંથી કાઢી નાંખ, પછી કદાચ મનની ઇચ્છાને મનમાં જ મારવી નહીં પડે.’

‘સલાહની દુકાન બંધ કરો. બોલો, તમને મારી એ ઇચ્છા વિશે જાણવામાં રસ છે કે નહીં?’

‘છે છે, ઇચ્છા છે... મૌખિક ચાલશે કે પછી  ઇચ્છા છે, એવું લેખિતમા આપું?’

‘ચાલશે ચાલશે. હવે મારી ઇચ્છાની વાત કરું તો મારે અણ્ણા હજારેનું મોઓઓહહહહટું પૂતળું બનાવડાવવું હતું. જેથી આવનારી પેઢીઓને યાદ રહે કે એક એવો જનનેતા હતો, જેણે દેશને બીજી આઝાદી એટલે કે ભ્રષ્ટાચારથી આઝાદી અપાવવા સંઘર્ષ કર્યો હતો.’

‘તારા જેવા વ્યક્તિપૂજક ભક્તજનને આનાથી વધારે મોટી ઇચ્છા પણ બીજી શું હોઈ શકે.’

‘હા ચતુરસેન, સાચું કહું છુ, મોટામાં મોટી ઇચ્છા તો આ જ હતી, પણ હવે ઇચ્છાને મારવી પડશે.’

‘કેમ શું થયું?’

‘તમે ન્યૂઝ નથી વાંચ્યા? ત્રિપુરામાં કટ્ટરપંથીઓએ લેનિનનું પૂતળું તોડી પાાડ્યું, પછી તો એવો સિલસિલો  શરૂ થયો કે પેરિયાર, આંબેડકર, શ્યામાપ્રસાદ મુખરજી અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીનાં પૂતળાં પણ કટ્ટરવાદીઓના ઘાએ ચડી ગયાં... પૂતળાતોડ માહોલ વચ્ચે નવું પૂતળું મૂકવાનો વિચાર તો માંડી જ વાળવો પડે ને?’

‘આને દેશમાં વધી રહેલા તાલિબાનીકરણનો સંકેત ગણવો પડે. વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓનાં પૂતળાં તોડાયાં, એમાં ગભરાઈ ગયો? આ જ કટ્ટરવાદીઓએ નરેન્દ્ર દાભોળકર, ગોવિંદ પાનસરે, કલબુર્ગી, શાંતનુ ભૌમિક અન ગૌરી લંકેશ જેવાં વિરોધી વિચારધારા ધરાવતા જીવતાં માણસોની સરેઆમ હત્યાઓ કરી નાખી હતી. એને તારા જેવા લોકોએ બહુ ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ હવે યાદ રાખ, અણ્ણા હઝારે પોતાના આંદોલન દરમિયાન આ લોકોની દૃષ્ટિએ કંઈક આડુંઅવળું બોલી નાંખશે  તો તેમનેય પતાવી દેવામાં આવશે. પછી કહેતો નહીં કે કહ્યું નહોતું.’

‘અણ્ણા હઝારેને તો કંઈ ન થાય.’

‘બીજા ગાંધી બનવા નીકળશે તો ચોક્કસ હતા-નહતા થશે. અને આવું કંઈક થશે ત્યારે ખરેખર શું થયું હતું, એનો અંદાજ પણ નહીં આવે. આજે દેશમાં પૂતળાં તૂટી રહ્યાં છે, કાલે કટ્ટરપંથીઓ તો સંસદ કે સુપ્રીમ કોર્ટ પણ તોડી શકે છે. મોડો જાગીશ તો તુંય ક્યાંય ખોવાઈ ગયો હોઈશ અને તારા અણ્ણા પણ કયાંક ગુમ થઈ ગયા હશે.’

‘તમે આ રીતે ડરાવશો નહીં.’

‘ડરાવતો નથી, ડારો દઈને જગાડું છું. ભક્તિરસમાં તરબોળ ભલામાણસ, હવે જાગી જા!’

‘મારે  જાગીને તરત ચા પીવા જોઈએ છે. પીવડાવશો ને?’

‘ચા તો અત્યારે જ પીવડાવી દઉં, પણ તારી ખરેખર જાગવાની દાનત છે?’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 9મી માર્ચ, 2018ના રોજ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ માટે લખાયેલો અને સંજોગાવસાત્ પ્રકાશિત નહીં થઈ શકેલો વ્યંગ્ય લેખ.)